અમદાવાદમાં સ્કૂલ વાન ચાલકો હડતાળ પર ઉતર્યા છે અને RTO દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે સ્કૂલ વાન એસોસિએશને જણાવ્યું કે આજે અને આવતીકાલે સ્કૂલ વાન ચાલકોની હડતાળ રહેશે.
બે દિવસમાં જો RTO દ્વારા અમારી વાનને કાયદેસર નહીં કરી આપવામાં આવે તો અચોક્કસ મુદ્દતની હડતાળ પર જઈશું. એસોશિએશનનો આક્ષેપ છે કે RTOને અમારા વાહનો પાસ કરાવવામાં કોઈ રસ નથી. આ કાર્યવાહી માટે રવિવારે પણ RTO ચાલુ રાખવામાં આવે તેવી માગણી કરી છે. જ્યારે CNG બસો ચાલી શકતી હોય તો વાન કેમ ન ચાલી શકે, અને જો તેમ ન કરવું હોય તો તમામ વાહનોમાંથી CNG બંધ કરી દેવો જોઈએ.
શહેરના નિકોલમાં પંચામૃત સ્કૂલની સ્કૂલ વાનમાંથી ત્રણ બાળકો નીચે પડી ગયાની ઘટના બાદ આરટીઓએ સ્કૂલ વાન સામે લાલ આંખ કરતાં દાદાગીરી પર ઊતરી આવેલા સ્કૂલ વાન માલિકોએ પ્રજાને પરેશાન કરવા અને તંત્રને કાર્યવાહી કરતાં રોકવા માટે આડકતરી ચીમકી સાથે તમામ સ્કૂલ વાનનાં પૈડાં આજે એક દિવસ માટે થંભાવી દીધા છે.
જેના કારણે આજે વહેલી સવારથી વાલીઓએ જાતે પોતાના સંતાનોને સમયસર સ્કૂલે પહોંચાડવા તેમજ લેવા જવા માટે દોડધામ કરવી પડી હતી. સ્કૂલવર્ધી વાન એસોસિયેશનનો દાવો છે કે મંગળવારે અમદાવાદમાં સ્કૂલ વાનમાં બનેલી ઘટના બાદ આરટીઓ વિભાગે વાન અને રિક્ષાના પાસિંગની પ્રક્રિયા અટકાવી દીધી છે, જેથી સ્કૂલ અને વાન ચલાવવી શક્ય નથી.
જેના કારણે સ્કૂલ વાન એસોસિયેશને જ્યાં સુધી તેમને થતી કનડગતનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કામગીરીથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે તેવું સ્કૂલવર્ધી વાન એસોસિયેશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું. હાલમાં એસોસિયેશન સાથે અંદાજે દસ હજાર જેટલી રિક્ષા અને વાન જોડાયેલ છે.
આ અંગે આરટીઓ એસ.પી. મુિનયાએ જણાવ્યું હતું કે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટની સૂચનાથી રાજ્યભરમાં અત્યારે સ્કૂલ વાહનનું ચેકિંગ ચાલે છે. રિક્ષામાં ત્રણ વિદ્યાર્થી અને વાનમાં ૧ર અને ૧૪ની ક્ષમતા હોય છે. દર વર્ષે નવા સત્રમાં મુદત માગવામાં આવે છે, પરંતુ વાનચાલકો સમયસર પાસિંગ કરાવતા નથી. આગામી દિવસોમાં પણ ચેકિંગ ચાલુ રહેશે તેમાં કોઈ છૂટછાટ નહીં અપાય.