અમદાવાદમાં સ્કૂલવાન ચાલકો આજે હડતાળ પર ઉતરયા છે. સ્કૂલવાનનુ RTOએ CNG કીટ સાથે પાસિંગ ન કરતા આજે શહેરની 6 હજાર 500 રિક્ષા ચાલકો હડતાળ પર ઉતરીને વિરોધ કર્યો છે. સ્કૂલ વાન ચાલકોએ RTO તંત્ર હેરાન કરતું હોવાના આક્ષેપ સાથે વિરોધ કર્યો છે.
અમદાવાદમાં આજે સાડા પાંચ હજાર સ્કૂલવાનો હડતાળ પર ઉતર્યાં છે. જો કે સ્કૂલ વાન ચાલકોની હડતાળના કારણે વાલીઓને મુશ્કેલીનો સામનો કરવો પડયો છે. વાન ચાલકની અચાનક હડતાળના કારણે વાલીઓએ પોતાના બાળકોને વહેલી સવારે સ્કૂલે મુકવા જવા પડ્યા છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરની નિકોલ સ્કૂલવાનમાંથી બાળકો પડી જવાની ઘટના બાદ આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલ વાન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જો કે સામે પક્ષે સ્કૂલ વાન ચાલકોએ તંત્ર પર આક્ષેપ કરતાં કહ્યું છે કે આરટીઓ તંત્ર વાન ચાલકોને ખોટી રીતે કનડગત કરી રહ્યું છે.
જેને લઇને આજરોજ સ્કૂલવાન ચાલકો હડતાળ પર ઉતરી ગયા છે. છેલ્લા કેટલાક દિવસોથી આરટીઓ તેમજ ટ્રાફિક પોલિસ દ્વારા ડ્રાઇવ કરવામાં આવી છે. જો કે બીજી તરફ અમદાવાદ ડીઈઓ શહેરની તમામ સ્કૂલોમાં તપાસ હાથ ધરશે. જે સ્કૂલો નિયમોનું ઉલ્લંઘન કરતી નજરે પડશે તો તેવી શાળાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાશે.
બે દિવસ પહેલા જ પંચામૃત સ્કૂલની વાનમાંથી બાળકો પડી ગયા હતા. આ દુર્ઘટના બાદ હવે તંત્ર સાબદુ થયુ છે. જેથી હવે જે સ્કૂલો દ્વારા સ્કૂલવાન અને રીક્ષાને લઈને નિયમ પાળવામાં નહીં આવે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.