મોંઘવારીનો માર સહન કરતા વાલીઓ પર વધુ એક બોઝ આવતો અટકી જતાં વાલીઓને રાહત મળી છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાનના ભાડામાં આ વર્ષે વધારો નહીં કરવાનો નિર્ણય સ્કૂલવર્ધીના સંચાલકોએ કર્યો છે.
સ્કૂલ રિક્ષામાં મિનિમમ ભાડું રૂ.પ૦૦ લેવામાં આવશે. દર કિલોમીટરે સ્કૂલ રિક્ષામાં રૂપિયા 50 લેવામાં આવે છે, જ્યારે સ્કૂલ વાનમાં મિનિમમ ભાડું રૂ. ૮પ૦ લેવામાં આવે છે અને પ્રતિકિલોમીટર સ્કૂલ વાનમાં રૂ. ૧૦૦ લેવામાં આવે છે.
અમદાવાદ સ્કૂલવર્ધી એસોસિયેશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આગામી વર્ષ ર૦ર૦માં સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાનના ભાડામાં વધારો કરાશે. અમદાવાદ શહેરમાં અંદાજે ર.પ૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ-બાળકો સ્કૂલ વર્ધી રિક્ષા કે વાન દ્વારા સ્કૂલે જાય છે.
બીજી તરફ શાળાનાં બાળકોને સ્કૂલથી લાવવા-લઈ જવા માટે ખાનગી વાહનો દ્વારા નિયમોનું છડે ચોક ઉલ્લંઘન કરવામાં આવતું હોવાની ફરિયાદો વારંવાર ઊઠતી રહે છે.
દરમિયાન આરટીઓ અધિકારી એસ.એ. મોજણીદારે જણાવ્યું હતું કે સ્કૂલવર્ધી રિક્ષાઓ, વાન કે સ્કૂલ બસનું ચેકિંગ આવતા સપ્તાહથી હાથ ધરાશે, જેમાં બસમાં જીપીએસ સિસ્ટમ, કેમેરા સહિત સ્કૂલવાનની પરમીટ, ક્ષમતાથી વધુ બાળકોની સવારી સહિતના તમામ નિયમની ચકાસણી કરાશે અને નિયમભંગ બદલ કડક પગલાં ભરાશે તથા જરૂર લાગે તેવા સંજોગોમાં વાહન ડિટેઇન પણ કરાશે.