ગુજરાત રાજ્ય ભલે પ્રગતિશિલ ગણાતું હોય, પરંતુ રાજ્યનું ભાવિ આજે જોખમમાં છે. ગુજરાતના મેટ્રો સિટી ગણાતા શહેરોમાં જ વિદ્યાર્થીઓનું અને નાના ભૂલકાઓનું ભાવિ જોખમમાં મુકાયું છે. વીટીવી દ્વારા રાજ્યભરમાં સ્કૂલોની સેફ્ટીને અંગે રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદના મેયર બિજલબેન પટેલે સ્કૂલોની સેફ્ટી બાબતે હાથ અધ્ધર કરતું નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે, સ્કૂલોની મંજૂરી ડીઇઓ ઓફિસ દ્વારા આપવામાં આવે છે અને મનપાએ ડીઇઓને આવી સ્કૂલો બાબતે પત્ર લખ્યો છે.
ત્યારે અહિંયા સવાલ એ છે કે, મનપાની જવાબદારી માત્ર એક પત્ર લખવાથી જ પૂર્ણ થઇ જાય છે? અહિંયા બાળકોના જીવનો સવાલ છે અને તંત્ર એકબીજાના માથે ટોપી પહેરાવી રહ્યું છે. શું મેયર આવી સ્કૂલો સામે કાર્યવાહી કરવાના આદેશ ન આપી શકે? જો મેયર જ આવા નિવેદન આપતા હોય તો અન્ય અધિકારી પાસેથી શું અપેક્ષા રાખવી.
શાળાઓમાં ફાયર સેફ્ટીને લઇ ગ્રામ્ય DEOનું નિવેદન:
અમદાવાદની શાળાઓમાં ફાયર સેફ્ટીના અભાવને લઇ ગ્રામ્ય DEOએ પ્રતિક્રિયા આપી. તેઓએ કહ્યું કે, શાળાઓમાં ફાયરની ચકાસણી કરવાની જવાબદારી અમાપી છે. અને NOC આપવાની જવાબદારી ફાયર વિભાગની છે. સાથે જ બીયૂ અંગેની પરવાનગી કોર્પોરેશન આપતું હોય છે. અને જે શાળામાં બીયૂની પરમિશન નથી તે વર્ષો જૂની હોઇ શકે છે. હાલ બીયૂ પરિમિશન વિના શાળાઓને મંજૂરી આપવામાં નથી આવતી.
VTVના DEOને સવાલ:
શાળાને મંજૂરી આપો છો તો સ્થળ તપાસ કરો છો?
શાળા સંચાલકો કેટલા સ્ક્વેર ફૂટમાં શાળા બનાવશે તે જૂઓ છો?
શાળામાં કેટલા EXIT ડોર છે તે ચકાસો છો?
શાળાની આસપાસ ફેક્ટરી ચાલે છે તે જુઓ છો?
શાળાની આસપાસ શું છે તે ક્યારેય જોવા ગયા છો ખરા?
બાળકો કેવી સ્થિતિમાં ભણે છે તે જોયું ખરું?
મંજૂરી આપવાથી કામ પુરુ થઈ જાય છે?
ભય તળે વિદ્યાર્થીઓ ભણે છે તેની તપાસ ક્યારે કરશો?
દૂર્ઘટના સર્જાયા બાદ જ તપાસના નાટક કેમ?
અધિકારી તરીકે તમે AC ચેમ્બર છોડી બહાર ગયા છો ખરા?
ક્યાં સુધી માસૂમ વિદ્યાર્થીઓને મોતના મુખમાં ધકેલતા રહેશો?
સુરતની તક્ષશિલા આર્કેટની ઘટના બાદ પણ તંત્ર ન જાગ્યું અને સુરતના ભટારમાં શાળામાં આગ લાગી. જે બાદ VTVએ મુહીમ ઉપાડી છે અને મેટ્રો સિટીમાં શાળાઓનું રિયાલિટી ચેક હાથ ધર્યું. જેમાં અમદાવાદના કૃષ્ણનગરના જયભવાની કોમ્પલેક્ષમાં એક, બે નહીં પણ ત્રણ શાળા ધમધમી રહી છે.
અમદાવાદની કેટલીક સ્કૂલોમાં ફાયરના નિયમોનું ઉલ્લંઘન:
અમદાવાદની કેટલી સ્કૂલોમાં ફાયરના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. પૂર્વ વિસ્તારમાં કેટલીક શાળાઓ દ્વારા હજુ સુધી શેડ દૂર નથી કરવામાં આવ્યા. કૃષ્ણનગરની ઉદગમ વિદ્યાવિહાર સ્કૂલમાં હજુ પણ શેડ જોવા મળી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે છતા પણ સ્કૂલ સંચાલકો દ્વારા શેડને દૂર નથી કરવામાં આવી રહ્યા છે.
કૃષ્ણનગરની અંકુર ઇંગ્લિશ હાઇસ્કૂલ, પી.યુ.રાજ સ્કૂલ ઓફ સાયન્સ, અને જય ઉમિયા પ્રાથમિક શાળામાં પણ શેડ જોવા મળી રહ્યા છે અને સૌથી મોટી વાત તો એ છે કે, એક જ કોમ્પલેક્સમાં 7-7 શાળાઓ ધમધમે છે અને આ સાત શાળાઓ વચ્ચે ફક્ચ 2 સીડીઓ છે. ત્યારે આટલા બાળકો માટે માત્ર બે સીડી હોય તે કેટલું યોગ્ય છે. જો કોઇ અનિશ્ચનિય ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ હશે ?.શું શાળા સંચાલકોને શિક્ષણ વિભાગ, મનપા કે ફાયર વિભાગનો કોઇ ડર જ નથી.
સંચાલકો પાસે નથી જવાબ:
ઈસનપુરમાં મુક્તજીવન સ્કૂલ બાદ હવે ઈમેજ ઈંગ્લિશ સ્કૂલમાં પણ મોટી બેદરકારી સામે આવી છે. આ સ્કૂલમાં 700થી વધુ બાળકો અભ્યાસ કરે છે. જોકે સ્કૂલ નીચે ગેસની એજન્સી આવેલી છે અને કોમર્શિયલ દુકાનો પણ આવેલી છે. સહજાનંદ કોમ્પલેક્ષમાં આવેલી આ શાળામાં બે માળ આવેલા છે. ત્યારે VTVએ રિયાલિટી ચેક દરમિયાન સ્કૂલના સંચાલકો સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે સ્કૂલ સંચાલકો દ્વારા દરવાજો બંધ કરી દેવામાં આવ્યો અને મીડિયાને અંદર જતા માટે અટકાવવામાં આવ્યા હતા. જો સ્કૂલ સંચાલકો નિયમોને પાળતા હોય તો પછી મીડિયાના કવરેજથી શા માટે ડરી રહ્યા છે. અહીં સવાલ એ જ છે કે, આવી શાળાઓને તંત્ર દ્વારા અને સરકાર દ્વારા મંજૂરી કેવી રીતે મળી જાય છે.
VTVના શાળા સંચાલકોને સવાલ:
સ્કૂલ બનાવવાની પરમિશન લઈ લો છો સુવિધાઓ ક્યારે?
શાળાની આસપાસ શું ચાલે છે તેનું ધ્યાન નહીં રાખો?
મોતની ફેક્ટરીઓ અને બોઈલર ચાલે છે તે દેખાતું નથી?
ખુલ્લા વીજવાયરો અને ખુલ્લા મીટરો દેખાતા નથી?
DEO પાસે વગ રાખીને મંજૂરી કેમ લઈ લો છો?
માત્ર મસ મોટી ફી વસુલવામાં જ રસ છે?
પરમિશન લો છો તો ધ્યાન કેમ નથી રાખતા?
વિદ્યાર્થીઓ સુરક્ષિત હોવાના દાવા યોગ્ય છે?
ગેસ એજન્સીઓ, ફેક્ટરીઓ અને દુકાનો કેમ ધમધમે છે?
તમારી સ્કૂલમાંથી શું શીખશે વિદ્યાર્થીઓ?
તમે જ કેમ નિયમ પાળવામાં પાછીપાની કરો છો?
નિયમોને નેવે મુકવા કેટલા યોગ્ય છે?
વડોદરાની પણ કેટલીક સ્કૂલોમાં નથી કોઇ સુવિધા:
વીટીવી દ્વારા રાજ્યભરમાં સ્કૂલોની સેફ્ટીને લઇને રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે. ત્યારે વડોદરામાં પણ કોમર્શિયલ કોમ્પલેક્ષમાં સ્કૂલો ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. વડોદરાની કેટલીક સ્કૂલોમાં બાળકોની સુરક્ષાની કોઇ સુવિધા નથી. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલોને મળતી મંજૂરી પર પણ સવાલો ઊભા થયા છે. વડોદરામાં એક કોમ્પલેક્ષમાં 3 સ્કૂલો આવેલી છે જેમાં કોઇ ફાયર સેફ્ટીની સુવિધા નથી. આ ઉપરાંત કોમ્પલેક્ષમાં ગેસ સિલિન્ડરની એજન્સી પણ આવેલી છે. આ ત્રણ સ્કૂલોમાં 1000થી વધુ બાળકો અભ્યાસ કરે છે ત્યારે માસૂમ બાળકોની જીવ જોખમમાં મૂકી સંચાલકો સ્કૂલો ચલાવી રહ્યા છે.
રાજકોટમાં હજુ પણ તંત્ર ગાઢ નિંદ્રામાં:
તો રાજકોટમાં જ્યાં હજુ પણ તંત્ર ગાઢ નિંદ્રામાં છે. અહીં ગુરુપ્રસાદ ચોકમાં એક જ બિલ્ડિંગમાં અનેક ટ્યૂશન ક્લાસિસ ચાલે છે. જ્યાં સલામતીનો અભાવ છે અને વિદ્યાર્થીઓના જીવ ગમે ત્યારે જોખમમાં મુકાઈ શકે છે. તો મવડી વિસ્તારમાં કોમ્પલેક્ષમાં સ્કૂલ ચાલી રહી છે. સત્કાર કોમર્સમાં ચાલી રહેલી સ્કૂલમાં નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. સ્કૂલમાં મુખ્ય પ્રવેશ સિવાય અન્ય કોઈ રસ્તો નથી.
જો આગ લાગે તો આ શાળામાંથી બાળકો ઝડપથી નીચે ઉતરી શકે તેવો કોઈ અન્ય માર્ગ જ નથી. જેથી અહીં કોઈ દુર્ઘટના સમયે મોટી જાનહાનિ થઈ શકે છે અને બાળકોનું ભાવિ જોખમમાં મુકાઈ શકે છે. ત્યારે આ મામલે મહાનગરપાલિકા કે શિક્ષણ વિભાગને આ સ્કૂલ અંગે કોઈ જ જાણ નથી. તંત્ર ગાઢ નિંદ્રામાં જ પ્રોઢી રહ્યું છે. અને સ્કૂલો ખુલ્લેઆમ ધમધમી રહી છે.
છેલ્લા 20 વર્ષથી આ સ્કૂલ ચાલે છે પણ નથી સેફ્ટી:
સુરતના ઉધનાના પ્રભુનગર સ્કૂલમાં વીટીવી દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું. ત્યારે ભારતીય કલ્યાણ સમિતિ સંચાલિત સ્કૂલમાં કોઇ સુરક્ષા વ્યવસ્થા જોવા નથી મળી. છેલ્લા 20 વર્ષથી આ સ્કૂલ ચાલે છે જેમાં 150થી વધુ બાળકો અભ્યાસ કરે છે. ત્યારે શાળામાં હજુ સુધી શેડને દૂર નથી કરવામાં આવ્યા. બીજા માળે પતરાના શેડથી રૂમ બનાવ્યા છે જે બાળકો માટે જોખમી પૂરવાર થઇ શકે છે. ઉપરાંત બાળકોના અવર-જવર માટે માત્ર એક જ સીડી છે. જેથી આવી સ્કૂલોને કોણ પરવાનગી આપે છે તેને લઇને સવાલ ઉભા થયા છે.
VTVના વાલીઓને સવાલ:
તમને તમારા બાળકની સુરક્ષાની નથી પડી?
આટલી બધી ફી આપો છો તો ચકાસો છો ખરા?
શાળા કેવી સ્થિતિમાં ચાલે છે તે જોયું છે ખરું?
એડમિશન લેતા પહેલા શાળાની સ્થિતિ જોવો છો ખરા?
વિદ્યાર્થીઓ દુર્ઘટનામાં ભોગ બને ત્યારબાદ જ કેમ જાગો છો?
તમે પણ તંત્રને રજૂઆત કેમ નથી કરતા?
વાલીઓ વિદ્યાર્થીઓનું ધ્યાન કેમ રાખવામાં કેમ પાછી પાની કરે છે?