ચાણક્યએ કહ્યું છે કે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમે પલતે હે... તો કોઇ મહાનુભાવે એમ પણ ઉમેર્યું છે કે, સાધારણ ક્યારેય શિક્ષક ન હોઈ શકે.
આ વાતને સાચા અર્થમાં સાર્થક કરી રહ્યા છે. રાજકોટના વડોદ ગામની સરકારી સ્કૂલના આચાર્ય ગીરીશભાઈ.
રાજકોટના વડોદની શાળાના આચાર્યની અનોખી કહાની
પિતાના શબ્દોથી મેળવી પ્રેરણા
શાળામાં વિના સંકોચ કરે છે કચરા-પોતા
વેરાન લાગતી શાળામાં વાવ્યા 300થી વધુ વૃક્ષ
કોણ છે ગીરીશભાઈ બાવળીયા ?
ગીરીશભાઈ બાવળીયાએ 2004થી શરૂ કરીને 2017 સુધી એમ 13 વર્ષ સુધી પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી રહ્યા બાદ HTATની પરીક્ષા પાસ કરીને વડોદની શાળામાં આચાર્ય તરીકે સેવામાં જોડાયા.
પિતાના શબ્દોમાંથી મળી પ્રેરણા
'કોઈ કામ નાનું નથી હોતું' અને 'કોઇ કામમાં શરમ ન અનુભવવી જોઈએ'... પિતાએ કહેલી આ વાતથી તેમને પ્રેરણા મળી અને તેમણે પોતે જ્યાં શિક્ષક હતા તે નિશાળમાં 300 વૃક્ષ વાવીને લીલીછમ બનાવી દીધી. ગીરીશભાઈની નિશાળ સમગ્ર પંથકમાં લીટલ કશ્મીર તરીકે જાણીતી બની હતી. આજે તેઓ એક શાળાના આચાર્ય છે પરંતુ પિતાએ કહેલી વાત હજી ભૂલ્યા નથી.
જરૂર પડે તો શાળામાં કચરા પોતા પણ કરે
કોઈ શાળાના આચાર્ય જાતે જ સ્કૂલમાં કચરા વાળતા હોય કે પોતા કરતા હોય તેવું ક્યારેય સાંભળ્યું કે જોયું છે ખરા ? જવાબ ના જ આવે. પરંતુ ગીરીશ ભાઈ રોજ શાળાના સમયથી એક કલાક વહેલા પહોંચીને જરૂર પડે ત્યારે હોદાને એકબાજુએ મુકીને શાળામાં કચરા-પોતા કરવા લાગે છે.
વિજ્ઞાનને લગતા મોડલ બનાવવાનો શોખ ધરાવે છે ગીરીશભાઈ
ગીરીશભાઈને વિજ્ઞાનને લગતા મોડેલ્સનો ખૂબ જ શોખ છે. તેમણે શાળામાં મિસાઈલ મોડલ, ફાઇટર પ્લેન, સોલાર સીસ્ટમ, અર્થ મોડલ, તોપ, ટેલીસ્કોપ તેમજ રોબો મોડલ જેવા પ્રોજેક્ટ બનાવેલ છે. જે હાલ તેમની શાળામાં જોવા મળી શકે છે.
બાળક ગુરુનો અરીસો છે : ગીરીશભાઈ
ગીરીશભાઈનું માનવું છે કે, બાળક ગુરુનો અરીસો છે. જો આપણે તેને સારા સંસ્કાર, શિક્ષણ અને માનવના અર્પણ કરીશું તો તે જીવનમાં ખુબ જ આગળ વધે. તેઓ વધુમાં કહે છે કે, સફાઈકામ હું બાળકો સામે જ કરું છું. જેથી બાળકો મને જોઈને જ સ્વચ્છતા રાખવાની પ્રેરણા મેળવી શકે.
શાળાનો સ્ટાફ પણ થાય છે મદદરૂપ
ગીરીશભાઈને શાળાના વિકાસમાં સ્ટાફ પરિવારના સભ્યોનો પણ મોટો સિંહફાળો છે. જેમાં જીગ્નેશભાઇ એમ. ધોળકિયા નામના શિક્ષક પાસે ચિત્રકામનો ખૂબ જ મોટો અનુભવ અને શાળા માટે કઇક કરી છૂટવાની ભાવના અખૂટ છે. તેઓ દર રવિવારે અને વેકેશનમાં રોજ શાળાએ આવીને મારી શાળાને રંગબેરંગી ક્યાય ન જોયા હોય તેવા ચિત્રો બનાવી શાળાની સુંદરતામાં વધારો કર્યો છે. તેઓનો કાર્યના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે આ સમયમાં શાળા માટે આવા કર્મનિષ્ઠ શિક્ષક આશીર્વાદરૂપ છે.
સાચા અર્થમાં ફાધર્સ ડેની ઉજવણી
આજે વિશ્વભરમાં ફાધર્સ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, વ્હોટ્સેપ સ્ટેટસથી લઈને સોશિયલ મીડિયા પર પિતા માટેની ભાવના વ્યક્ત કરાઈ રહી છે ત્યારે પિતાના શબ્દોથી પ્રેરણા લઈને ગીરીશભાઈ જે કામ કર્યું છે અને હજી પણ કરી રહ્યા છે તેને જોઈને સલામ કરવાનું મન થઈ જાય.