બે વર્ષ બાદ શાળા પ્રવેશોત્સવનું આયોજન, તારીખ આજથી 25 જૂન 3 દિવસ સમગ્ર ગુજરાતની 32013 શાળાઑમાં આ કાર્યક્રમ યોજાશે
રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન
બે વર્ષ બાદ આયોજન
3 દિવસ ચાલશે પ્રવેશોત્સવ
રાજ્યમાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો આજથી 25 જૂન 3 દિવસ સુધી ચાલશે. શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને પગલે તમામ મંત્રીઓને પ્રભારી જિલ્લાની જવાબદારી સોંપી દેવામાં આવી છે. તમામ મંત્રી પ્રભારી જિલ્લામાં જશે. અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમને સુચારું ઢબે પાર પડાવી જરૂરી આયોજનની દેખરેખ રાખી રહ્યા છે.
મુખ્યમંત્રીનો પ્રવેશોત્સવ માટેનો કાર્યક્રમ
રાજ્યસરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ સોમવારે શાળા પ્રવેશોત્સવના આયોજન વિશે વિશેષ માહિતી આપી હતી. વાઘાણીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ બનાસકાંઠાના વડગામ તાલુકાની મેમદપૂરા પ્રાથમિક શાળાથી તા.ર૩ જૂન ગુરૂવારે કરાવશે તેમ પણ શિક્ષણ મંત્રીએ ઉમેર્યુ હતું.તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી શાળા પ્રવેશોત્સવના આ સેવાયજ્ઞના બીજા દિવસે તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તાર નિઝરના રૂમકી તળાવ ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન કરાવશે તેમજ ત્રીજા દિવસે અમદાવાદના મેમનગર ખાતે મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે.
32 હજાર 13 સરકારી શાળાઓ યોજાશે પ્રવેશોત્સવ
2004 અને 2005માં ક્રોસ એન્વાયરોમેન્ટ રેસિયો 95.65 ટકા હતો જે વધીને 99. 06 ટકા થઈ ગયો છે. આ વખતે ખાસ કરીને અલગ અલગ નવા વિષયો પણ ઉમેર્યા છે. રાજ્યની 32 હજાર 13 સરકારી શાળાઓમાં ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અધિકારીઑ અને પદાધિકારીઓને શાળાની પ્રવેશોત્સવની તાલુકા પ્રમાણેની જવાબદારી પણ સોંપી દેવમાં આવી છે.
વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરીની સમીક્ષા થશે
આ પ્રવેશોત્સવમાં અધિકારીઓ અને પદાધિકારીઓ તાલુકા કક્ષાની રિવ્યું બેઠક કરશે. બેઠકમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરી અંગે ચર્ચા થશે તે ઉપરાંત શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓ, ઓફલાઇન અને ઓનલાઇન કામગીરી અંગેની સમીક્ષા થશે. યુનિવર્સિટીઓના કુલપતિઓ પણ આ આયોજનમાં જોડાશે.
પ્રવેશોત્સવની આંકડાકીય માહિતી
શિક્ષણ મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી પદકાળ દરમ્યાન રાજ્યની પ્રાથમિક શિક્ષણની સ્થિતી, ગુણવત્તા અને રેશિયો સુધારવા તથા દિકરીઓના શિક્ષણને વેગ આપવા ર૦૦૩થી શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી રથયાત્રાનો ઉપક્રમ શરૂ કરાવ્યો છે. આના પરિણામે રાજ્યમાં ૧૯૯૦-૯૧માં જે ડ્રોપ આઉટ રેઇટ ૬૪.૪૮ ટકા જેટલો ઊંચો હતો તે ઘટીને ર૦ર૦-ર૧માં ૩.૭ ટકા જેટલો નીચો આવી ગયો છે. એટલું જ નહિ, ર૦૦૪-૦પમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો ૯પ.૬પ ટકા હતો તે વધીને ર૦ર૦-ર૧માં ૯૯.૦ર ટકા જેટલો ઊંચો ગયો છે.
વિધાર્થીઓ અને શિક્ષકોની હાજરીની ચર્ચા
મંત્રીએ આ વર્ષના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની નવી બાબતોની માહિતી આપતા કહ્યુ કે, કલસ્ટર રિવ્યુ અને તાલુકા રિવ્યુ આ પ્રવેશોત્સવમાં નવી બાબત તરીકે ઉમેરવામાં આવી છે. જેમાં શિક્ષણ વિભાગ ધ્વારા હાથ ધરવામાં આવેલા નવા પ્રકલ્પો જેવા કે, લર્નીગ લોસ માટે શિક્ષકોએ આપેલ સમય દાન, વિધાર્થીઓ અને શિક્ષકોની ૧૦૦ ટકા નિયમિત હાજરી, શાળાઓની માળખાકીય સુવિધા, જી.શાળા એપનો વિધાર્થી ધ્વારા ઉપયોગ, એકમ કસોટી અને સત્રાંત કસોટીના પરિણામો, કોરોના કાળમાં શિક્ષણ માટે થયેલ ઓનલાઇન અને ઓફલાઇન કામગીરી જેવી બાબતોની સમીક્ષા કરવામાં આવશે.
મુખ્ય શિક્ષક શાળાનો અહેવાલ રજૂ કરશે
દરેક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તે જ શાળામાં એસ.એમ.સી.(સ્કુલ મોનિટરીંગ કમિટી)ના સભ્યોની હાજરીમાં જે-તે શાળાના મુખ્ય શિક્ષક ધ્વારા શાળાનો અહેવાલ રજુ કરવામાં આવશે. તે ઉપરાંત અધિકારી અને પદાધિકારી ધ્વારા શાળાના એસ.એમ.સી સભ્યો સાથે વાર્તાલાપ કરવામાં આવશે. આ વર્ષે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં વિવિધ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરઓને પણ જોડવામાં આવશે.
એક કલસ્ટરની ૩ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવ
અત્રે ઉલ્લેખનીય છે કે, આ શાળા પ્રવેશોત્સવમાં રાજય કક્ષાથી જનાર પદાધિકારી/ અધિકારીને રાજયકક્ષાએથી તાલુકાની ફાળવણી કરવામાં આવી છે. તેઓ પ્રત્યેક દિવસે તે જ તાલુકાની કોઇ એક કલસ્ટરની ૩ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ કરશે અને ત્રીજી શાળામાં તે કલસ્ટરની શૈક્ષણિક બાબતોની સમીક્ષા કરશે. પદાધિકારી/અધિકારીઓને જિલ્લા કક્ષાએથી શાળાઓની ફાળવણી કરવામાં આવશે. જેમાં ગુણવત્તાયુક્ત સમિક્ષા થઇ શકે તે હેતુથી વધુ વિધાર્થીઓની સંખ્યાવાળી શાળામાં ફાળવવામાં આવશે. એટલુ જ નહિ, તા.૨૪મી જૂને સમગ્ર રાજયમાં સાંજે-૪-૦૦ થી પ-૦૦ દરમ્યાન તાલુકા કક્ષાની રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તે તાલુકામાં રાજયકક્ષાથી ગયેલા પદાધિકારી અને અધિકારીઓ રિવ્યુ બેઠકમાં હાજર રહેશે.