કોઈ પણ દેશના નાગરિકો દેશના વિકાસની પગદંડીમાં જોડાય તે માટે તેઓ શિક્ષિત હોય તે ખુબ જરૂરી છે. શાળાકીય શિક્ષણએ સમાજનો પાયો છે, નીતિ આયોગે એક અહેવાલ મુજબ દેશના રાજ્યોને તેમની શાળાઓ અને તેમાં શિક્ષણની ગુણવત્તાઓ વિવિધ માપદંડોમાં વર્ગીકૃત કરીને તેના આંકડા રજુ કર્યા છે જે સોમવારે પ્રકાશિત થશે. હાલની માહિતી મુજબ રાજસ્થાન, કેરાલા અને કર્ણાટક દેશના શાળાકીય શિક્ષણના માપદંડમાં શ્રેષ્ઠ રાજ્યો તરીકે બહાર આવ્યા છે.
નીતિ આયોગના School Education Quality Index નામના અહેવાલ મુજબ ભારતની આ થીંક ટેંક સંસ્થાએ પહેલવહેલી વખત શાળાની શિક્ષણ ગુણવત્તામાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું પર્ફોર્મન્સ પ્રદર્શિત કર્યું હતું. આ સમગ્ર અહેવાલ સ્કુલ એજ્યુકેશન ક્વોલીટી ઇન્ડેક્સ ૨૦૧૯ના નામથી સોમવારે પ્રકાશિત થશે. આ ઇન્ડેક્સમાં ૩૦ અલગ અલગ ઇન્ડીકેટર્સને અલગ અલગ ભાર આપવામાં આવ્યો છે અને કુલ ૯૬૫માંથી ગુણ આપવામાં આવે છે. આ અહેવાલ મુજબ રાજસ્થાન, કેરાલા અને કર્ણાટકે તમામ કેટેગરીમાં સારા ગુણ સાથે દેશમાં શિક્ષણની દ્રષ્ટિએ સૌથી સારી ગુણવત્તાની શાળાઓ ધરાવતા રાજ્યોમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું.
કેવી રીતે રાજ્યોને વહેચ્યાં છે?
૨૦ મોટા રાજ્યોને એક અને ૮ નાના રાજ્યોને બીજી કક્ષામાં વર્ગીકૃત કર્યા છે. આ ઉપરાંત ૭ કેન્દ્રશાસિત પ્રદેશોને અલગ રાખવામાં આવ્યા છે. નાના રાજ્યોમાં ગોવા સિવાય તમામ ૭ રાજ્યો ઉત્તર પૂર્વના 7 સિસ્ટર્સ રાજ્યો હતા.
અહીં ઉલ્લેખનીય છે કે તમામ રાજ્યોએ વર્ષ ૨૦૧૫-૨૦૧૬ના પરિણામો કરતા સારું પ્રદર્શન કર્યું છે પરંતુ દક્ષિણી રાજ્યો અને રાજસ્થાને અત્યંત સારું પ્રદર્શન કર્યું હતું. જો કે ઉત્તર પ્રદેશ આ યાદીમાં સૌથી નીચેના સ્થાને રહ્યું હતું. પશ્ચિમ બંગાળે આ સર્વેમાં ભાગ લીધો નહોતો.
ચકાસણી કયા બે પેરામીટર ઉપર કરાઈ છે?
વહીવટ : શાળાનો ઓવરઓલ વહીવટ અને મેનેજમેન્ટ, શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી, શાળાનો સમય અને શાળાને મળતા ભંડોળનો કેટલો અસરકારક ઉપયોગ કરવામાં આવે છે તેના વડે આ પેરામીટરમાં ગુણ અપાય છે. આ પેરામીટરમાં દિલ્હી દેશના શ્રેષ્ઠ રાજ્યોમાંથી એક તરીકે બહાર આવ્યું છે.
આગળના ધોરણમાં જઈ રહેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં ધોરણ ૩,૫ અને ૭ના વિદ્યાર્થીઓ ધ્યાનમાં લેવાય છે જેમાં ધોરણ ૩ના વિદ્યાર્થીઓ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
આ અહેવાલ બનાવવા માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલયનાં ૨૦૧૫-૨૦૧૬ અને ૨૦૧૬-૨૦૧૭ના યુનીફાઈડ ડીસ્ટ્રીક્ટ ઇન્ફોર્મેશન ઓન સ્કુલ એજ્યુકેશન, ધ નેશનલ એજ્યુકેશન સર્વેનાં આંકડાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સર્વેક્ષણ તૈયાર કરવામાં વર્લ્ડ બેન્કની પણ મદદ લેવાઈ હતી.
આ સર્વેક્ષણના એક અધિકારી મુજબ આ ક્રમાંકનો મુખ્ય હેતુ શિક્ષણના વિકાસને માપતા જુના માપદંડોને છોડીને શાળા સ્તરે શિક્ષણ અલગ અલગ રાજ્યોમાં કઈ રીતે વૃદ્ધિ પામી રહ્યું છે તે સમજવાનો છે. આ અહેવાલ શાળાઓ અને શિક્ષણ વિભાગને સલાહ સૂચનો પણ મોકલશે. ૩૦ અલગ અલગ માપદંડો રાજ્યને કઈ રીતે વિદ્યાર્થીઓને ભણાવવાની સારામાં સારી પદ્ધતિ અપનાવવી એ માટે મદદરૂપ થશે.