સુરત: છેલ્લા 5 વર્ષથી સરકારે માંડવીના વરેઠી ગામની શાળાને બિનઉપયોગી શાળા જાહેર કરી હતી. તેમ છતાં શાળામાં અભ્યાસ કરવા 200થી વધારે બાળકો આવી રહ્યા છે. સરકારે આવી ઘણી શાળઓને બિનઉપયોગી જાહેર કરી હતી અને તેના પાછળનું કારણ એ હતું કે શાળા અત્યંત જર્જરિત કે પડી જાય તેવી હોય છે. પરંતુ શાળાને બિનઉપયોગી જાહેર કરીને નવી શાળા બનાવવાનું કે જુની શાળા પાડીને સમારકામ કરાવાનું તંત્ર ભૂલી જાય છે. જેના કારણે મજબૂરીમાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે માંડવી તાલુકાના વરેઠીગામની પ્રાથમિક શાળાની સ્થાપના 1880ના વર્ષમાં થઇ હતી. હાલ આ શાળા જર્જરિત થઈ ગઈ છે અને છેલ્લા 5 વર્ષથી આ શાળા અત્યંત બિસ્માર છે.
ચોમાસામાં બાળકો શાળાના ઓરડામાં બેસી અભ્યાસ નથી કરી શકતા કારણ કે શાળાની છતમાંથી પાણી સતત પડી રહ્યું છે. શાળાની દીવાલોમાં તીરાડો પડી ગઈ છે. જેને કારણે સરકારે આ શાળાને બિન ઉપયોગી શાળા જાહેર કરી હતી. પરંતુ નવી સ્કૂલ ન બનાવતા કે આ સ્કૂલનું સમારકામ ન કરતા વાલઓ આવી ખખડધજ શાળામાં પોતાના બાળકોને મોકલવા મજબૂર છે.
શાળામાં પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી. એક તો સ્કૂલ જર્જરિત અને તેમાં પણ ધોરણ 1થી 5ના 126 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 2 શિક્ષકો જ છે. બે શિક્ષકો કેવી રીતે આટલા બાળકોને ભણાવવાના ?.
આપને જણાવી દઇએ કે સરકાર દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે અને કરોડોના ખર્ચે જાહેરાતો કરાય છે. પરંતુ તંત્રએ બિનઉપયોગી શાળા જાહેર કરી હતી.પછી શાળા છે કે નહીં? શાળા ઉભી છે કે પડી ગઈ? કોઈ નોંધ લેવાતી નથી. એક તરફ સરકાર બાળકોને અભ્યાસને લઇ ગંભીર હોવાની વાતો કરે છે અને ભણશે ગુજરાત આગળ વધશેના સ્લોગન આપે છે. વરેઠીની શાળામાં માત્ર શાળાનું બાંધકામ જર્જરિત નથી પરંતુ સંચાલન પણ જર્જરિત થઇ ગયું છે.
શાળામાં છેલ્લા 3 વર્ષથી કોમ્યુટર રૂમ બંધ હાલતમાં છે. કોમ્યૂટર લાવ્યા પણ તેને ભણાવનાર શિક્ષકો આજદીન સુધી મળ્યા નથી. આ બાબતે ગ્રામજન દ્વારા અનેક અધિકારીઓને રજુઆતો કરાઈ હતી પરંતુ તંત્ર આ સમસ્યાનું નિરાકરણ લાવી નથી. ત્યારે તાલુકા શિક્ષણાધિકારી પણ કહી રહ્યા છે કે ટૂંક સમયમાં શાળાનું સમારકામ શરૂ કરવામાં આવશે.
જો કે આ એક માત્ર શાળા નથી જેની પરિસ્થિતિ આવી છે રાજ્યમાં આવી અનેક શાળા હશે. જેની પરીસ્થિતિ આ શાળા કરતા પણ બદતર હશે. પરંતુ ક્યાંકને કયાંક સરકારી દબાણ અને પોતાની નોકરીની બીકે શિક્ષકો કે ગ્રામજનો મૌન સેવી રહ્યા છે. ત્યારે ગામના લોકો આ સમસ્યાનું નિવરણ આવે તેવી આશા સેવી રહ્યા છે.