તાજેતરમાં સુરતમાં બનેલી તક્ષશિલા અગ્નિકાંડની ઘટના અને નિકોલની સ્કૂલ વાનમાંથી બાળકો બહાર પડી જવાની ઘટના બાદ હવે શિક્ષણતંત્ર અને આરટીઓ હરકતમાં આવ્યાં છે. વાહનવ્યવહાર વિભાગ દ્વારા સ્કૂલ વાન-સ્કૂલ બસ માટે પણ આકરા નિયમો જાહેર કરાયા છે.
જેમાં સ્કૂલ બસમાં શાળાનો ફોન નંબર જ નહીં, પરંતુ વાહન માલિકનું નામ અને ફોન નંબર ફરજિયાત લખવાનું કરાયું છે એટલું જ નહીં બસમાં હવે પછી જીપીએસ, સીસીટીવી અને બે અગ્નિશામક ફરજિયાતપણે રાખવા પડશે.
શાળાએથી બાળકોને લાવવા-લઇ જવા માટે ઉપયોગમાં લેવાતી સ્કૂલ બસ અને સ્કૂલવર્ધી વાનમાં સલામતી સુનિશ્ચિત કરવા માટે ડીઇઓ કચેરી પણ હરકતમાં આવી છે, જેના કારણે તાજેતરમાં અગાઉના કરાયેલા પરિપત્રમાં સુધારો કરીને શાળાઓને આદેશ કરાયો છે અને તે મુજબ આ નિયમોનું પાલન કરવા દરેક શાળાને સૂચના આપવામાં આવી છે.
સ્કૂલ બસમાં સ્પીડ ગવર્નર ફરજિયાત કરાયું છે, જેની સ્પીડ ૪૦ પ્રતિ કિ.મી. કલાકની રખાશે. સ્કૂલ બસમાં ઇમર્જન્સી એક્ઝિટ ડોર તેમજ બસની બેઠકો બિનજ્વલનશીલ પદાર્થની બનેલી હોવી જોઇએ. બસમાં જીપીએસ સિસ્ટમ અને સીસીટીવી કેમેરા માત્ર નામનાં નહીં પણ કાર્યરત પણ રહેવાં જોઇશે. નિયમ ભંગ બદલ ૨૧ જુલાઇ બાદ આરટીઓ દ્વારા કડક કાર્યવાહી થશે અને વાહનો ડિટેઇન કરવા કે લાઇસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી સાથે દંડ પણ વસૂલ કરવામાં આવશે તેવું આરટીઓ સૂત્રો દ્વારા જણાવાયું છે.