ભાવનગર જિલ્લામાં પીવાના પાણીની સાથે સિંચાઈ માટેનું પાણી શેત્રુંજી ડેમમાંથી આપવામાં આવે છે અને આ ડેમના ડાબા કાંઠાની કેનાલ જે ઘોઘા ભાવનગર અને તળાજા પંથકમાંથી પસાર થાય છે પણ આ કેનાલ છેલ્લા 25 વર્ષથી બંધ હોઈ સરકાર આ કેનાલને જીવંત કરે અને પૂરતા પ્રેશરથી પાણી આપે તો આ તાલુકાના ગામડાઓમાં ખેતી ફરી સજીવન થાય તેમ છે તેવી માંગ આ વિસ્તાર ના ખેડૂતો કરી રહ્યા છે.
ઉલ્લેનીય છે કે ભાવનગર જિલ્લામાં આવેલો શેત્રુંજી ડેમ સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને બીજા નંબરનો ડેમ ગણવામાં આવે છે આ ડેમ વરસાદની સીઝનમાં 4 થી 5 વખત ઓવરફ્લો થાય છે અને તે પાણી દરિયામાં વહી જાય છે. પરંતુ સરકાર આ પાણીના સંગ્રહ માટે કાઈજ વિચારતી નથી અને તેના કારણે ઉનાળામાં પીવાના પાણી તેમજ સિંચાઈના પાણીની ગંભીર કટોકટી ઊભી થાય છે.
આપને જણાવી દઇએ કે આ ડેમમાંથી નીકળતી ડાબા કાંઠાની કેનાલ તળાજા ભાવનગર અને ઘોઘા તાલુકામાંથી પસાર થાય છે પણ દુઃખની વાત છે કે જ્યાથી કેનાલ પસાર થાય છે ત્યાંના ખેડૂતોને તેનો લાભ મળતો નથી.
ઘોઘા તાલુકાના અનેક ગામડાઓ આજેપણ પાણીની ખેંચના કારણે ખેતી કરી શકતા નથી જો આ કેનાલને જીવિત કરવામાં આવે તો આસપાસના 25થી વધુ ગામડાઓમાં ખેતી ફરી સજીવન થાય તેમ છે આ મામલે ઘોઘા તાલુકા પંચાયતના પ્રમુખે છેક મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે જો કે હજી સુધી આ રજૂઆતનો કોઇ ઉકેલ આવેલ નથી.
અત્રે એ જાણવુ જરૂરી છે કે ભાવનગર જીલ્લામાં ગત વર્ષે ૩૫ ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો હતો અને શેત્રુંજી ડેમ ઓવરફલો પણ થયો હતો. આ વર્ષે જયારે ઉનાળો શરુ થયો છે ત્યાંજ સરકારે આ ડેમનું પાણી પીવા માટે રાખ્યું છે જેથી ખેડૂતોને આ પાણી નહી મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
મોટા ભાગનાં ખેડૂતોના ખેતરોમાં આવેલ કુવા તેમજ બોર પણ હવે ખાલી થયા છે અને સિંચાઈ માટે પાણી મળતું નથી ત્યારે ખેડૂતોનું કહેવું છે કે સૌની યોજનામાં ડેમો ભરવાની વાતો કરનારી સરકાર કાંઈ પાણી આપતી નથી અને આ રીતે સરકાર ખેડૂતોની મશ્કરી કરી રહી હોય તેમ લાગે છે.