રાજ્યમાં ટેકાનાં ભાવે કૃષિપેદાશ ખરીદવામાં આચરાતાં કૌભાંડોનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. ચૂંટણી પ્રચારનાં શોર અને મતદાનનાં જોર શમ્યા બાદ ફરી એક વખત રાજ્યમાં તુવેરદાળ ખરીદીમાં આચરાયેલો ભ્રષ્ટાચાર સપાટી પર આવ્યો છે. કેશોદ ખરીદકેન્દ્રમાં સારી ગુણવત્તા વાળી તુવેર સાથે હલકી ગુણવત્તા વાળી તુવેરદાળ મિક્સ કરવાનાં બહાર આવેલાં કૌભાંડે ફરી વાર રાજકીય રંગ પકડયો છે.
રાજ્યમાં ગત દિવસોમાં ટેકાનાં ભાવે કૃષિ ઉત્પાદનો ખરીદ-વેચાણનો વિવાદ બહુ ચગ્યો હતો હવે રાજ્યમાં ચૂંટણીનાં શોર શમી ગયાં છે ત્યારે હલકી તુવેરદાળ ખરીદી કૌભાંડનો વિવાદ સપાટી પર આવ્યો છે અને આ વિવાદ કેશોદ માર્કેટિંગ યાર્ડમાં આવેલાં કેશોદ ખરીદ કેન્દ્રમાં સામે આવ્યો છે. ખરીદ કેન્દ્રમાં રહેલા આ તુવેરદાળનાં કટ્ટા. આ એક એક કટ્ટામાં ઠાંસી ઠાંસીને ભ્રષ્ટાચાર ભર્યો છે.
એક તરફ ખેડૂતોને ટેકાનાં ભાવ મેળવવામાં અને પોતાનાં પાક વેચવામાં પ્રામાણિકતાનાં અનેક પુરાવા આપવા પડે છે છતાં પણ તેમને નિષ્ફળતા સાંપડી રહી છે. જ્યારે બીજી તરફ વચેટિયા રાજ ખતમ કરવાના અનેક વાયદા અને વચનો બાદ પણ કેશોદ ખરીદ કેન્દ્રમાં વેપારીઓ જ વચેટિયાઓ બની ખેડૂતોનાં નામે લાભ ઊઠાવી રહ્યાં છે અને સાચા ખેડૂતોને બદનામ કરી રહ્યાં છે. જૂનાગઢનાં કેશોદ ખરીદ કેન્દ્રોમાં સારી તુવેરદાળમાં ખરાબ તુવેરદાળ ભેળવીને વેચવાનાં કારસાનો પર્દાફાશ થયો છે.
કોઈને પણ જરા પણ શંકા ન જાય તે રીતે વેપારીઓ અને ખરીદ કેન્દ્રોનાં સંચાલકો આ કૌભાંડને અંજામ આપી રહ્યાં છે. આ કૌભાંડની શરૂઆત વેપારી નામનાં પ્રથમ પગથિયેથી શરૂ થાય છે. વેપારીઓ નબળી ગુણવત્તા હોવાનું જણાવી ખેડૂતો પાસેથી ઓછા ભાવે તુવેરદાળ ખરીદી લે છે. પછી આ જ તુવેરદાળ ટેકાનાં ભાવે વેચવા માટે પોતે ખેડૂત તરીકે મંડળીમાં રજિસ્ટ્રેશન કરાવે છે. જે ખેડૂતે તુવેરનું વાવેતર ન કર્યું હોય તેવા ખેડૂતનાં નામથી રજિસ્ટ્રેશન કરે છે.
રજિસ્ટ્રેશન માટે વેપારી પોતાનો મોબાઈલ નંબર આપે છે. જ્યારે તુવેર વેચવાનો વારો આવે ત્યારે મેસેજ મળે છે. મેસેજ મળતાં જ હલકી ગુણવત્તા વાળી તુવેર મંડળીમાં વેચવા જાય છે. અધિકારીઓ સાથે મિલિભગત હોવાથી કોઈ તેની તુવેરદાળ રિજેક્ટ કરતા નથી. વેપારી ફેક ખેડૂતનાં નામે તુવેર વેચવામાં સફળ રહે છે. વેપારી ખેડૂતો પાસેથી પણ ફાયદો મેળવે છે અને ટેકાનાં ભાવે પણ ફાયદો મેળવે છે. મંડળીનાં કર્મચારીઓ આ તુવેરદાળને સારી તુવેરદાળ સાથે ભેળસેળ કરે છે. આ તુવેરદાળ ખરીદ કેન્દ્રોમાં જાય છે ત્યાં રિજેક્ટ થાય છે. હલકી તુવેરદાળ માટે ખેડૂતોને જ જવાબદાર ઠેરવવામાં આવે છે.
તુવેરદાળ ખરીદી અને ભેળસેળનું જ્યારે આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું ત્યારે જૂનાગઢ ખેડૂત હિતરક્ષક સમિતનાં આગેવાન ભરત લાડાણીએ ફોન દ્વારા આ બાબતે નાફેડનાં અધિકારીઓનો ખુલાસો માગ્યો હતો. આ ટેલિફોનિક વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો છે જેમાં નાફેડનાં અધિકારીઓ ઉડાઉ જવાબ આપી રહ્યાં છે.
આટલું મોટું કૌભાંડ થાય છે અને છેક તંત્રનાં પગ સુધી રેલો પહોંચે છે ત્યાં સુધી તંત્ર જે નીંભરતા દાખવે છે તેને નીંભરતા કહેવી કે નિર્ભયતા તે ખબર નથી પડતી. કદાચ નિર્ભયતા જ કહો. કેમ કે, મિલિભગતનાં આ રાજમાં નુકસાન થવાનો ભય તો માત્ર ખેડૂતોનાં નસીબમાં જ હોય છે. એટલે જ તો તંત્રનાં વાહકો ઉડાઉ જવાબ આપવાની હિંમત દાખવી શકે છે.