વાપીના કોળીવાડ વિસ્તારમાં એક ટ્રકમાંથી શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મોટી માત્રામાં ઝડપાતા ચકચાર મચી ગઇ હતી. વલસાડ જિલ્લા પુરવઠા વિભાગને મળેલી બાતમીના આધારે પુરવઠા વિભાગની ટીમે વલસાડના કોલીવાડ વિસ્તારમાં છાપો માર્યો હતો. આ દરમિયાન એક પાર્કિંગમાં ઉભેલી ટ્રકમાંથી મોટી માત્રામાં અનાજનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો. જોકે ઘઉંના જથ્થા અંગે ટ્રકના ચાલકને પૂછપરછ કરવામાં આવતા અને તેની પાસેથી બિલ સહિતના અન્ય જરૂરી પુરાવા માગતાં ટ્રક ચાલક કોઈ પુરાવા રજૂ કરી શક્યો ન હતો.
વાપીના કોળીવાડ વિસ્તારમાંથી ઝડપાયો અનાજનો જથ્થો
397 બોરી ઘંઉ ભરેલી ટ્રક પુરવઠા વિભાગે કરી જપ્ત
સરકારી અનાજનો જથ્થો હોવાની તંત્રને આશંકા
વાપીના કોળીવાડ વિસ્તારમાં પુરવઠા વિભાગની ટીમે ટ્રકમાં ભરેલા જથ્થાની તપાસ કરતા તેમાંથી 397 બોરી ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પુરવઠા વિભાગને વલસાડ જિલ્લામાં સરકારી અનાજ સગેવગે કરવાનું એક મસમોટું કૌભાંડ ખુલવાની શક્યતા હિસાબે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. પુરવઠા વિભાગે તમામ શંકાસ્પદ અનાજનો જથ્થો જપ્ત કર્યો હતો. બાદમાં તેને વલસાડ જિલ્લાના પારડીના સરકારી અનાજના ગોડાઉનમાં લાવવામાં આવ્યો હતો. પ્રથમ દ્રષ્ટિએ જ ટ્રક ચાલક પાસે અનાજના જથ્થાના અંગે કોઇ પૂરાવા નહીં હોવાથી પુરવઠા વિભાગે ટ્રકમાં ભરેલો 397 બોરી ઘઉંનો જથ્થો સરકારી અનાજ હોવાનું માની, અંદાજે 27 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને તે દિશામાં તપાસ હાથ ધરી હતી.
ટેમ્પો દ્વારા લાવીને ઘઉંનો જથ્થો ટ્રકમાં ભરવામાં આવ્યો હતો, ટેમ્પો ચાલક ફરાર
આ ટ્રકમાં અન્ય એક ટેમ્પો દ્વારા ઘઉંનો જથ્થો લાવી અને ટ્રકમાં ભરવામાં આવ્યો હતો. પુરવઠા વિભાગને હવે ટેમ્પોનો નંબર અને તેના ચાલકનો નંબર મળી આવ્યો હતો. તેથી તેને પૂછપરછ માટે બોલાવવામાં આવતા ટેમ્પોચાલક પણ પુરવઠા વિભાગ પાસે નહીં આવી ગાયબ થઈ ગયો હતો. આથી ટ્રકમાંથી ઝડપાયેલો જથ્થો સરકારી હોવાની આશંકા વધુ મજબૂત થઈ હતી. આથી પુરવઠા વિભાગે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. જોકે હજુ સુધી ટ્રકમાં ભરેલ શંકાસ્પદ ઘઉંના જથ્થા અંગે કોઈ વ્યક્તિએ સામે આવી અને પુરાવા રજૂ કર્યા નથી.
અનાજ સગેવગે કરવાનું એક મસમોટું કૌભાંડ!
પુરવઠા વિભાગ દ્વારા જો તટસ્થ અને ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો વલસાડ જિલ્લામાં સરકારી અનાજ સગેવગે કરવાનું એક મસમોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. જોકે અત્યારે તો પુરવઠા વિભાગ આ જથ્થો જપ્ત કરી અને વાહનોના નંબરના આધારે આ જથ્થો ક્યાંથી અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો? અને કોણે ભરાવ્યો હતો? આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.