ગુજરાતમાં ગરીબોના કોળિયાને છીનવી લેવાના વારંવાર કૌભાંડો સામે આવે છે. એક તરફ સરકાર દ્વારા જરૂરિયાત મંદો માટે યોજનાઓ થકી સહાય પુરી પાડવામાં આવે છે તો બીજી તરફ કેટલાક લેભાગુ અને નફાખોરોને કારણે આ ગરીબોના મુખે આવેલો કોળિયો છીનવાઇ જાય છે. ત્યારે વધુ એકવાર રેશનિંગ અનાજનો જથ્થો બારોબાર વેચી દેવાનું કૌભાંડ ઝડપાયું.
વડોદરામાં રેશનિંગનો જથ્થો ઝડપાયો
વડોદરામાં રેશનિંગનો અનાજનો જથ્થો બારોબાર વેચી દેવાનું કૌભાંડ ઝડપાયું. ગોડાઉનમાંથી નીકળેલો જથ્થો જે ગરીબોના હકનો છે તે તમામ જથ્થાનો બારોબાર વેચી દેતા હોવાનો પર્દાફાશ થયો. માંજલપુર અને માણેજાની 5 રેશનિંગ દુકાનમાં આવો નફાખોરીનો ધંધો ચાલતુ હોવાનુ સામે આવ્યું. પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરાતા આ કૌભાંડનો પર્દાફાશ થયો. પુરવઠા વિભાગે 5 રેશનિંગની દુકાનનો પરવાનો રદ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
બોટાદમાં ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો
આ તરફ બોટાદના હરણકુઈમાં ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો હતો. ગોડાઉન બનાવીને કેટલાક શખ્સો સંગ્રહખોરી કરી રહ્યા હતા. ઘઉં-ચોખાનો ગેરકાયદેસર જથ્થો કબ્જે કરવામાં આવ્યો. પ્રાંત અધિકારી, સીટી મામલતદારની ટીમે કર્યા દરોડા પાડતા ગેરકાયદેસર અનાજનો લાખ્ખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. તો ગોડાઉન માલિકે અન્ય 3 જગ્યાએ આવો ધંધો ચાલતો હોવાનો આરોપ લગાવ્યો. હપ્તા લઇને અધિકારીઓ અન્ય ગોડાઉનમાં દરોડા ન કરતો હોવાનો આરોપ લગાવ્યો હતો.તો આ તરફ નવ નિયુક્ત મામલતદારે અન્ય ગોડાઉનમાં તપાસની બાંહેધરી આપી હતી.
આણંદમાં પીકઅપવાનમાંથી ઝડપાયુ સરકારી અનાજ
તો આ તરફ આણંદના ઉમરેઠ માર્કેટિંગયાર્ડમાંથી સરકારી અનાજ ઝડપાયું હતું. ઉમરેઠ પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન અનાજ ઝડપી પાડ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન પીકપવાનમાંથી 160 કટ્ટા અનાજ મળી આવ્યું. ઘટનાને પગલે ઉમરેઠ પોલીસે પીકઅપવાન સહિત મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી હતી.