ખેડૂતોને ગ્રીનહાઉસનો લાભ નથી મળ્યો: જીગ્નેશ મેવાણી
જિલ્લામાં અનેક લોકોને બારોબાર બિયારણ પણ પધરાવી દેવાયું: જીગ્નેશ મેવાણી
બનાસકાંઠા જિલ્લામાં લાઈવલીહુડ અને વોટરસેડ યોજનામાં મોટું કૌંભાંડ હોવાનો આક્ષેપ થતાં હડકંપ મચી ગયો છે. વાત જાણે એમ છે કે, વડગામનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આજે પાલનપુરમાં એક પત્રકાર પરિષદ કરી હતી. મેવાણીએ આ પત્રકાર પરિષદમાં બનાસકાંઠા જિલ્લામાં લાઈવલીહુડ અને વોટરસેડ યોજનામાં મોટું કૌંભાંડ હોવાનો સનસનીખેજ આક્ષેપ કરતાં ખળભળાટ મચી ગયો છે.
ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લામાં લાઈવલીહુડ અને વોટરસેડ યોજનામાં મોટું કૌંભાંડનો આક્ષેપ થયો છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો છે કે, અમીરગઢ અને દાંતાના કપાસિયા અને વિરમપુર નજીકના ગામોમાં કૌંભાંડ થયું છે. જેમાં 170 ખેડૂતોને ગ્રીન હાઉસ કાગળ ઉપર બનાવી 65 લાખનું કૌંભાંડ કરાયું છે. મેવાણીએ જણાવ્યું હતું કે, તેમની અને કોંગ્રેસ પક્ષના સાથીઓ દ્વારા જ્યારે સ્થળ ઉપર મુલાકાત કરવામાં આવી ત્યારે સ્થળ ઉપર કોઈ જ નેટ હાઉસ ન બન્યું હોવાનું સામે આવ્યું હતું.
અમારી જોડે દસ્તાવેજો છે જેમાં ખેડૂતો ને લાભ મળ્યો નથી
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, અમારી જોડે દસ્તાવેજો છે જેમાં ખેડૂતોને લાભ મળ્યો નથી. આ સાથે તેમણે કહ્યું કે, ગુજકોમાસોલ કંપનીએ બિયારણ બનાવતી કંપની છે. તો આ કંપની નેટ હાઉસનું ઈન્સ્ટોલેશન કઈ રીતે કરી શકે ? તેમણે કહ્યું કે, અત્યારે આખા બનાસકાંઠા જિલ્લાનાં દરેક તાલુકામાં વોટરશેડ પ્રોજેક્ટ ચાલે છે. જેમાં ખાસ કરીને અમને જે ડોક્યુમેન્ટ મળ્યા તે બે જ ગામના છે. એટલે વધારે ગામોમાં પણ આવા સ્કેમ હોઇ શકે છે.
શું કહ્યું વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ?
જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વોટરશેડ પ્રોજેક્ટનાં ભાગરૂપે લાઇવલીહૂડ એન્ડ માઇક્રો એન્ટરપ્રાઇઝ નામની યોજના અમલીકરણમાં છે. આ યોજનાનો મૂળ હેતુ જરૂરિયાતમંદ અને ખાસ કરી ખેડૂત ભાઈ-બહેનોને લાઇવલીહૂડ મળી રહે તે છે. આ યોજનામાં બનાસકાઠાં જિલ્લા સંકલનમાં મિટિંગ દરમિયાન માંને જે ઓફિશિયલ દસ્તાવેજો બનાસકાંઠા જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવ્યા એના પરથી ખબર પડી કે, જિલ્લાનાં કેટલાક ગામોમાં અને ખાસ કરીને અમીરગઢ અને દાંતા વિસ્તારનાં કપાસિયા અને વિરમપુર આસપાસનાં ગામોની અંદર ગ્રીનહાઉસ 170 જેટલા રેકોર્ડ ઉપર ઊભા કરેલા બતાવ્યા છે. આ માટે 65 લાખનું ચૂકવણું થયું છે.
અમારી ટીમ દ્વારા સ્થળ ઉપર તપાસ કરી તો.....
મેવાણીએ ઉમેર્યું હતું કે, કોંગ્રેસના મિત્રો અને અમારી ટીમ દ્વારા સ્થળ ઉપર ગઈકાલે રૂબરૂ ખરાઈ કરી તો એકાદ બે જગ્યા એ જ આવા ગ્રીનહાઉસ બન્યા સિવાય બાકીની તમામ જગ્યાએ સામાન રોડ ઉપર રઝળી રહ્યો છે. કોઈ જગ્યાએ આ વસ્તુને ઇન્સ્ટોલ કરવામાં આવી નથી. ખેડૂતો સુધી આ વાસ્તવિક યોજનાનો કોઈ લાભ પહોંચ્યો નથી. અને ફક્ત બે ગામમાં થી જ 65 લાખ રૂપિયા ચાઉ કરી ગયા છે. આ ગ્રીન હાઉસ રેકોર્ડ ઉપર બતાવ્યા છે કે બની ગયા, 65 લાખનું એનું ચૂકવણું થઈ ગયું, પણ સ્થળ ઉપર આવા કોઈ જ નેટ હાઉસ ઊભા કરવામાં આવ્યા નથી.
ઈન્સ્ટોલેશન ગુજકોમાસોલ દ્વારા કેમ કરાયું ?
આ સાથે આ ઈન્સ્ટોલેશન ગુજકોમાસોલ દ્વારા કરવામાં આવ્યું હોવાનો જવાબ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. ગુજકોમાસોલ એ બિયારણ પૂરા પાડે છે. જંતુનાશક દવાઓ પૂરી પાડે છે. ગુજકોમાસોલ એ મેનપાવર સપ્લાય કરવાની કંપની કે એજન્સી નથી, તો એ ક્યારથી ઈન્સ્ટોલેશનનું કામ કરતી થઈ ગઈ ? જિલ્લા તંત્ર મનરેગાના મજૂરો પાસેથી નહિ પણ ગાંધીનગરની ગુજકોમાસોલ કંપની પાસે કેવી રીતે ઇન્સ્ટોલેશન કરાવી શકે ? એ એક બહુ મોટો ગંભીર સવાલ છે. આ સાથે જિલ્લામાં જે એગ્રો સેન્ટર ઊભા કરી તેના મારફતે જે તે ગામનાં જરૂરતમંદ ખેડૂતોને બિયારણ આપવાની યોજના હતી. અહી પણ બારોબાર મનફાવે એવા લોકોને બિયારણ પધારવી દીધું છે. જ્યારે આ બાબતએ તંત્રને પૂછવામાં આવ્યું ત્યારે કોઈ જવાબ આપ્યો નહોતો.
ગુજકોમાસોલ કંપનીને લઈ મોટો આરોપ
મેવાણીએ કહ્યું કે, ગુજકોમાસોલ એ મેનપાવર સપ્લાય કરવાની કંપની કે એજન્સી નથી, તો એ ક્યારથી ઈન્સ્ટોલેશનનું કામ કરતી થઈ ગઈ ? ગુજકોમાસોલનાં કેટલાક કર્મચારીઓ એક મંત્રીના આશીર્વાદનાં કારણે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં અધિકારીઓ સાથે એકબીજાનાં મેળાપીપણામાં કૌભાંડ આચરી રહ્યાનું લાગી રહ્યું છે.
મેવાણીએ શું ચીમકી ઉચ્ચારી ?
મેવાણીએ કહ્યું કે, સરકાર 24, 42, 72 કલાકની અંદર કસૂરવાર કર્મચારીને ન કેવલ સસ્પેન્ડ તો કરે જ પણ તેમની સામે ડીપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીની સાથે કલમ 420 મુજબ આ છેતરપિંડી કરી હોઇ આ આર્થિક ગેરરીતિ અને બનાવટી દસ્તાવેજો ઊભો કરવાનો મામલો હોઇ તાબડતોડ જે પણ કસૂરવારો હોય તેમની સામે ગુનો દાખલ થવો જોઈએ.
જે રોપાનાં કૃષિ યુનિવર્સિટી 100 થી 150 રૂપિયા એના 350 રૂપિયા ચાર્જ ?
ગુજકોમાસોલ બનાસકાંઠા જિલ્લા તંત્રમાં 2 થી 3 ફૂટનાં રોપા અમે તમને આપીશું અને એના 350 રૂપિયા ચાર્જ લઈશું તેવું રેકોર્ડ ઉપર કીધું છે. હકીકતમાં એ જ રોપા કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા અને ગુજરાતની બીજી કૃષિ યુનિવર્સિટીઓ અને બાગાયત વિભાગમાં 100 થી 150 રૂપિયાના ભાવે મળે છે. તો હવે બનાસકાંઠા જિલ્લા તંત્ર કેમ તે જ રોપાને 350માં ખરીદવા માંગે છે ? તેવા સવાલ સાથે મેવાણીએ કહ્યું બનાસકાંઠા જિલ્લા તંત્ર ગુજકોમાસોલમાં કોને રાજી કરવા માંગે છે ?