ગુજરાતના બનાસકાંઠામાં કોરોના કાળમાં કોવિડને લઈને જાગૃતિ માટે બેનર ખરીદીમાં કૌભાંડ થયાની ઘટના સામે આવી છે.
કોરોના કાળમાં કૌભાંડીઓ સક્રિય
કોરોના જાગૃતિ માટેના બેનર ખરીદીમાં કૌભાંડ
આરોગ્ય વિભાગે આપ્યા તપાસના આદેશ
કોરોનાની જાગૃતિ માટેના બેનરોમાં આચરાયું કૌભાંડ
ગુજરાતમાં કોરોના કાળમાં પણ કૌભાંડીઓ સક્રિય હોવાનું સામે આવ્યું છે. કોરોના મહામારી જેવી આફતને ભ્રષ્ટાચાર માટે અવસર બનાવી દેવામાં આવી હોય તેવી ઘટના સામે આવી છે. કૌભાંડીઑએ હવે કોરોના વાયરસની જાગૃતિ માટેના બેનરમાં પણ મલાઈ ખાવાનો રસ્તો શોધી કાઢ્યો છે.
એક જ કલાકમાં રૂ.48 લાખના 139 બેનરોની થઈ ઓનલાઈન ખરીદી
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસની જાગૃતિ માટેના બેનરો ખરીદવામાં કૌભાંડ આચરવામાં આવ્યું છે. તમામ તાલુકાના IT પાસવર્ડ પરફેસ કોર્પોરેશન કંપનનીને બારોબાર આપી દેવામાં આવ્યા અને રૂ.10 હજારની કિમતના બેનરો રૂ.35 હજારમાં ખરીદાયા. એક જ કલાકમાં રૂ.48 લાખના 139 બેનરોની થઈ ઓનલાઈન ખરીદી કરી લેવામાં આવી હતી.
હેલ્થ અગ્ર સચિવને ફરિયાદ
આ કૌભાંડ અંગે હેલ્થ અગ્ર સચિવને ફરિયાદ કરાઇ હોવાનું સામે આવ્યું છે અને આરોગ્ય વિભાગે તપાસના આદેશ કરતા ઘણા અધિકારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
અધિકારીઓમાં ફફડાટ
નોંધનીય છે કે કૌભાંડ સમયે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે મનીષ ફેન્સી ફરજ બજાવતા હતા. મનીષ ફેન્સી હાલ વડોદરા તાલીમ નિયામક તરીકે ફરજ બજાવે છે. આ કૌભાંડમાં અધિકારીઓની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે ત્યારે કૌભાંડને લઈને અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે.
સળગતા સવાલ
કોરોના કાળમાં કૌભાંડીઓ સક્રિય તો તંત્ર કેમ નિષ્ક્રિય ?
કોરોનામાં પ્રજા ત્રાહિમામ ને અધિકારીઓ કૌભાંડમાં મદમસ્ત ?
કેવી રીતે તમામ IT પાસવર્ડ કોઈ ખાનગી કંપનીને મળ્યા ?