કાયદો બને ત્યાં સુધી SC જાહેર કરે ગાઈડલાઇન: કેન્દ્ર સરકાર
રેવડી કલ્ચર દેશને આર્થિક આપત્તિ તરફ દોરી જશે: કેન્દ્ર સરકાર
કેન્દ્ર સરકારે રેવડી કલ્ચરને પ્રોત્સાહન આપવું ખોટું હોવાનું કહી કાયદો બને ત્યાં સુધી SC ગાઈડલાઇન જાહેર કરે તેવી વિનંતી કરી છે. કેન્દ્ર સરકારે ગુરુવારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, ચૂંટણી લડવા માટે 'ફ્રીબી કલ્ચર'ને મોટા પ્રમાણમાં પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. જો રાજકીય પક્ષો સમજે છે કે, લોકકલ્યાણના પગલાં લેવાનો આ એકમાત્ર રસ્તો છે. તો આ દેશને આપત્તિ તરફ લઈ જશે.
સુપ્રીમ કોર્ટના 3 ઓગસ્ટના આદેશના જવાબમાં કેન્દ્ર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી વિધાનસભા અથવા ચૂંટણી પંચ પગલાં ન લે ત્યાં સુધી સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોને માર્ગદર્શિકા જાહેર કરવી જોઈએ કે શું કરવું જોઈએ અને શું નહીં.
કેન્દ્ર સરકારે શું કહ્યું ?
કેન્દ્રએ ચૂંટણી દરમ્યાન રાજકીય પક્ષો દ્વારા મફત વચનો આપવાના મુદ્દા પર વિશેષ પેનલની રચના કરવા માટે મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાની આગેવાની હેઠળની બેંચને તેમની ભલામણો સોંપી હતી. આ તરફ સોલિસિટર જનરલ મહેતાએ જણાવ્યું હતું કે, “તાજેતરમાં કેટલાક પક્ષો દ્વારા મફત ભેટોનું વિતરણ એક કલાના સ્તરે કરવામાં આવ્યું છે. તેના આધારે ચૂંટણી લડવામાં આવે છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે, દેશના ચૂંટણી સ્પેક્ટ્રમમાં કેટલાક પક્ષો સમજે છે કે મફતનું વિતરણ એ સમાજ માટે 'કલ્યાણના પગલાં' કરવાનો એકમાત્ર રસ્તો છે. આ સમજ સંપૂર્ણપણે અવૈજ્ઞાનિક છે અને આર્થિક આપત્તિ તરફ દોરી જશે.
કેન્દ્રએ કર્યું પેનલ બનાવવાનું સૂચન
સરકારે સૂચન કર્યું કે, કેન્દ્રીય નાણા સચિવ, રાજ્યના નાણા સચિવો, માન્ય રાષ્ટ્રીય રાજકીય પક્ષોના એક-એક પ્રતિનિધિ, 15મા નાણાં પંચના અધ્યક્ષ, ભારતીય રિઝર્વ બેંકના પ્રતિનિધિ, નીતિ આયોગના CEOને સૂચિત પેનલનો ભાગ બનાવવામાં આવે.