રોડ રેજ કેસમાં નવજોત સિંહ સિદ્ધુને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે જૂના આદેશને બદલી નવજોતસિંહ સિદ્ધુને 1 વર્ષની જેલની સજા ફટકારી છે. આ ઘટના વર્ષ 1998ની છે. જેમાં મારામારી બાદ એક વૃદ્ધનું મોત નિપજ્યું હતું. અગાઉ સિદ્ધુને રૂપિયા 1000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ સંજય કિશન કૌલની ખંડપીઠે આ નિર્ણય સંભળાવ્યો છે.
SC allows review application, imposes one-year rigorous imprisonment on Congress leader Navjot Singh Sidhu in a three-decade-old road rage case pic.twitter.com/cyYfsXh92o
આ વર્ષે 25 માર્ચે સુપ્રીમ કોર્ટે નવજોત સિંહ સિદ્ધુની સજા વધારવાની અરજી પર ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે સિદ્ધુની સજા વધારવી કે નહીં તે નક્કી કરવાનું હતું. પીડિત પરિવારની સમીક્ષા અરજી પર નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. આ અગાઉ પણ પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુની મુશ્કેલીઓ વધી ગઈ હતી.
જાણો શું હતી સમગ્ર ઘટના?
27 ડિસેમ્બર 1988ની સાંજે સિદ્ધુ પોતાના મિત્ર રુપિન્દર સિંહ સંધૂ સાથે પટિયાલાના શેરાવાલે ગેટના બજારમાં પહોંચ્યા હતાં. આ જગ્યા તેઓના ઘરથી માત્ર 1.5 કિમી જ દૂર છે. તે સમયે સિદ્ધુ ક્રિકેટર હતા. એ વખતે એ જ માર્કેટમાં કાર પાર્કિંગને લઈને 65 વર્ષીય ગુરનામ સિંહ સાથે તેઓની દલીલ થઈ હતી. આ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. સિદ્ધુએ ગુરનામ સિંહને ઘૂંટણિયે પછાડ્યા હતા. ત્યાર બાદ ગુરનામ સિંહને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેઓનું મૃત્યુ થયું હતું. જો કે, એવાં અહેવાલો પણ સામે આવ્યા હતા કે ગુરુનામ સિંહનું મૃત્યુ હાર્ટએટેકથી થયું હતું. એ સમયે સિદ્ધુ અને તેમના મિત્ર બંને પર કેસ થયો હતો. આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. 1999માં સેશન્સ કોર્ટે આ કેસ ફગાવ્યો. બાદમાં 2002માં પંજાબ સરકારે સિદ્ધુ વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી. એ દરમિયાન સિદ્ધુ રાજકારણમાં આવ્યા અને ડિસેમ્બર 2006માં હાઈકોર્ટનો ચુકાદો આવ્યો.
હાઈકોર્ટે સિદ્ધુ અને સંધૂને દોષિત ઠેરવતા 3-3 વર્ષની કેદની સજા ફટકારી હતી
હાઈકોર્ટે સિદ્ધુ અને સંધૂને દોષિત ઠેરવતા 3-3 વર્ષની કેદની સજા ફટકારી હતી. સાથે એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. સિદ્ધુ તે સમયે 2004ની લોકસભા ચૂંટણી ભાજપની ટિકિટ પરથી જીત્યા હતા. આ ચુકાદા બાદ તેઓએ લોકસભામાંથી રાજીનામું આપ્યું હતું. પરંતુ તેઓએ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આથી સિદ્ધુ તરફથી દિવંગત નેતા અરુણ જેટલીએ કેસ લડ્યો હતો અને સુપ્રીમે હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવી દીધી હતી. પરંતુ પીડિત પરિવારે સુપ્રીમમાં રિવ્યૂ પિટીશન દાખલ કરી અને હવે સુપ્રીમ કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો બદલતા સિદ્ધુને એક વર્ષની સજા ફટકારી છે.