કોરોના મૃ્ત્યુ સહાય મામલે સુપ્રીમ કોર્ટે સહાય આપવા કર્યો હુકમ, ગુજરાત રાજ્યના મોતના આંકડા મામલે સુપ્રીમ કોર્ટે સરકારની કાઢી ઝાટકણી
કોરોના મૃત્યુ મામલે SCમાં સુનાવણી
સુપ્રીમે રાજ્ય સરકારની કાઢી ઝાટકણી
વિગતો રજૂ કરવા સુપ્રીમ કોર્ટનો હુકમ
કોરોના કાળમાં અનેક લોકોના મોત નીપજ્યા. કોરોનાથી મોતને ભેટેલા લોકોને સહાય આપવા મુદ્દે સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે કોરોના સંબંધિત તમામ વિગતો રજૂ કરવાનો સરકારને હુકમ કર્યો છે.
રાજ્ય સરકાર વળતર ચૂકવીને કોઇ પર ઉપકાર નથી કરતી - SC
સુપ્રીમ કોર્ટમાં કોરોના મૃત્યુ સહાય મામલે સુનાવણી હાથ ધરાઇ હતી. જે મામલે સુપ્રીમ કોર્ટે ન માત્ર મૃતકોને સહાય પરંતુ રાજ્યના મોતના આંકડા મામલે પણ સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યુ હતુ કે ગુજરાત સરકાર વળતર ચૂકવીને ઉપકાર નથી કરતી. તેમજ ગુજરાતમાં કોરોનાથી થયેલા મોતના આંકડામાં વિસંગતતા મામલે રાજ્ય સરકારના ઢીલા વલણ સામે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.
મોત દર્શાવ્યા 10 હજાર અરજી આવી 1 લાખથી વધુ
રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામેલાને સહાય આપવા માટે સૌથી મોટી પોલ સામે આવી છે. સરકારે આ સહાય મેળવવા અરજી પ્રક્રિયા શરુ કરી છે, જેમાં નવાઇની વાત તો એ છે કે સહાય માટે 1 લાખ 2 હજાર 230 અરજીઓ આવી છે જેમાંથી રાજ્ય સરકારે 87 હજાર 045 અરજીઓ મંજૂર કરી છે. પરંતુ સરકારી ચોપડે તો કોરોનાથી માત્ર 10 હજાર 579 મૃત્યુ જ નોંધાયા છે.
માત્ર મૃત્યુ આંક નહીં પૂરતી વિગતો સરકાર રજૂ કરે - SC
રાજ્ય સરકારના ચોપડે મોતના આંકડા અને સહાય માટેની અરજીની વિસંગતતા જોતા સુપ્રીમ કોર્ટે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. આ મામલે સુપ્રીમ કોર્ટે મૃતકોના નામ, સરનામા, મૃત્યુની તારીખ સહિત તમામ વિગતો રજૂ કરવાનો હુકમ કર્યો છે. સરકારે માત્ર કોરોનાથી નીપજેલા મોતના આંકડા નહી પરંતુ તમામ વિગતો સુપ્રીમ કોર્ટને આપવા સરકારના ચીફ મિનિસ્ટર સેક્રેટરીને હુકમ કર્યો છે.
મૃતકોના પરિવારને સાંત્વના મળે એ રીતે સરકાર કામગીરી કરે - SC
સુપ્રીમ કોર્ટે કોરોના મૃત્યુ સહાય મામલે સરકાર ડે. સેક્રેટરીની સાથે નોડલ ઓફિસરની નિમણૂંક કરે તેમજ વળતર ચુકવવાની કામગીરી નિમણૂંક કરેલ અધિકારીઓ કરશે તેમ પણ જણાવ્યુ હતું. તેઓએ સરકારને જણાવ્યુ કે વેલ્ફેર સ્ટેટ તરીકે સરકારની જવાબદારી વળતર આપવાની છે. સરકાર મૃતકોના પરિવારને સાંત્વના મળે તે રીતે કામગીરી કરે.
ટેક્નિકલ કારણોસર અરજીઓ નામંજૂર ન થવી જોઇએ- SC
સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટ માનવુ છે કે કોરોના મૃત્યુ સહાય મળવી જ જોઇએ. મૃતકોના પરિવારને સાંત્વના મળે એ રીતે કામગીરી થવી જોઇએ. આથી સુપ્રીમકોર્ટે ભાર આપીને એમ પણ જણાવ્યુ કે ટેકનિકલ કારણોસર અરજીઓ નામંજુર ન થવી જોઇએ.