કેન્દ્ર સરકારે SCને વિનંતી કરી હતી કે મીડિયા રેગ્યુલેશન મુદ્દે જો કોઈ આદેશ આપવામાં આવે તો સૌપ્રથમ તે ડિજિટલ મીડિયા માટે આપવામાં આવે કારણ કે અહીથી સૌથી વધુ સમાચાર વાયરલ થાય છે.
કેન્દ્રએ કહ્યું છે કે જો સુપ્રીમ કોર્ટ મીડિયા રેગ્યુલેશનના મુદ્દે કોઈ નિર્ણય લે છે તો તે સૌથી પહેલા ડિજિટલ મીડિયાના સંબંધમાં લેવો જોઈએ કારણ કે તે લોકો સુધી ખૂબ જ ઝડપથી પહોંચે છે અને વોટ્સએપ, ટ્વિટર અને ફેસબુક જેવી એપ્લિકેશનને લીધે કોઈપણ માહિતી વાયરલ થવાની સંભાવના વધુ છે. સરકારે સર્વોચ્ચ અદાલતને કહ્યું હતું કે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા માટે પૂરતા માળખા અને કાયદાઓ પહેલેથી જ અસ્તિત્વમાં છે.
ડિજિટલ મીડિયા સંદર્ભે સૌથી પહેલા નિર્ણય લેવાવો જોઈએ
માહિતી અને પ્રસારણ મંત્રાલયે દાખલ કરેલા એક જવાબમાં જણાવ્યું છે કે, "જો કોર્ટ કોઈ નિર્ણય લે છે, તો તે પહેલા ડિજિટલ મીડિયાના સંદર્ભમાં લેવી જોઈએ, કારણ કે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા સંબંધિત પર્યાપ્ત માળખા અને કાયદાઓ પહેલેથી જ અમલમાં છે."
તેમાં કહેવામાં આવ્યું છે કે," ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટમાં પ્રસારણ ફક્ત એક જ વાર થાય છે, જ્યારે ડિજિટલ મીડિયામાં વિશાળ વાચકો અને પ્રેક્ષકો વોટ્સએપ, ટ્વિટર અને ફેસબુક જેવા ઘણા ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ ઉપર સમાચાર વાંચીને મોટા પાયે શેર કરે છે. આ એપ્લિકેશનને કારણે માહિતી વાયરલ થવાની સંભાવના રહેલી છે.''
સુદર્શન ટીવીના એક પ્રોગ્રામ વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે
આ એફિડેવિટ એક પેન્ડિંગ કેસમાં દાખલ કરવામાં આવી છે, જેમાં સુપ્રીમ કોર્ટ સુદર્શન ટીવીના 'બિન્દાસ બોલ' પ્રોગ્રામ વિરુદ્ધ દાખલ કરેલી અરજી પર સુનાવણી કરી રહી છે. કાર્યક્રમના પ્રોમોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચેનલ "મુસ્લિમોની સરકારી નોકરીઓમાં ઘૂસણખોરીના મોટા ષડયંત્રનું અનાવરણ કરશે." બે દિવસ માટે પ્રતિબંધ મૂક્યો હતો.
ટેલિકાસ્ટ ઉપર લગાવાઈ છે રોક
15 સપ્ટેમ્બરે જસ્ટિસ ડી વાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી ખંડપીઠે 'બિન્દાસ બોલ'ના બે એપિસોડના ટેલિકાસ્ટ ઉપર રોક લગાવી હતી.
કોર્ટે કહ્યું કે પહેલી નજરે તેઓ મુસ્લિમ સમુદાયને બદનામ કરી રહ્યા છે. અરજીની સુનાવણી દરમિયાન ખંડપીઠે સૂચન કર્યું હતું કે ઇલેક્ટ્રોનિક મીડિયાના સેલ્ફ રેગ્યુલેશનમાં મદદ માટે એક સમિતિની રચના કરવામાં આવી શકે છે. ખંડપીઠે કહ્યું, "અમારો અભિપ્રાય છે કે અમે પાંચ નિષ્ણાતોની સમિતિની રચના કરવાનું વિચારીએ છીએ, જે ઇલેક્ટ્રોનિક મીડિયા માટે કેટલાક ધારાધોરણ નક્કી કરશે" અમે રાજકીય રીતે પ્રજામાં વિભાજન પ્રકૃતિ ઉભી થાય તેવી ઇચ્છા ધરાવતા નથી અને અમે પ્રતિષ્ઠા ધરાવતા સભ્યોની ઇચ્છા રાખીએ છીએ.