દેશભરમાં લોકડાઉનનાં કારણે સૌથી વધુ નુકસાન ગરીબ અને શ્રમિક વર્ગને થયું છે. પાછલા દિવસોમાં દેશમાં લાખો શ્રમિકોએ અનેક વતન જવા માટે વેદનાઓ વેઠી. જે બાદ હવે સર્વોચ્ચ અદાલતે સજ્ઞાન લઈને રાજય અને કેન્દ્ર સરકારને આદેશ કર્યા છે. નોંધનીય છે કે આ જ અદાલતે થોડા દિવસ પહેલા શ્રમિકો મુદ્દે થયેલ અરજીઓ સ્વીકાર કરી ન હતી.
લોકડાઉન લાગુ થયા બાદ સૌથી વધુ નુકસાન ગરીબ-શ્રમિકૉને
કોરોના વાયરસના કારણે દેશમાં લાગુ કરવામાં આવેલ લોકડાઉનનાં કારણે દેશના વિવિધ રાજયોમાં ફસાયેલા પ્રવાસી શ્રમિકો મુદ્દે દેશની સર્વોચ્ચ અદાલતે સ્વતઃ જ્ઞાન લીધું છે. એક આદેશમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશભારમાં મીડિયા રિપોર્ટમાં સતત પ્રવાસી શ્રમિકોની પરિસ્થિતિ દુર્ભાગ્યપૂર્ણ છે અને આ સ્થિતિ બતાવવામાં આવી રહી છે. જેમાં ઘણા શ્રમિકો પગપાળા અને સાઈકલથી સફર કરી રહ્યા છે. ફરિયાદો પણ મળી રહી છે કે જ્યાં ફસાયા છે ત્યાંથી તેમને ખાવા-પીવાની સુવિધા પણ નથી મળી રહી.
રાજય સરકારો પાસે માંગ્યો જવાબ
સર્વોચ્ચ અદાલતે વધુમાં કહ્યું કે વર્તમાન સ્થિતિમાં દેશ લોકડાઉનથી પસાર થઇ રહ્યો છે ત્યારે સમાજનાં આ વર્ગને સરકારની મદદની અત્યંત જરૂર છે, ખાસ કરીને ભારત સરકારની. રાજ્ય અને કેન્દ્ર શાસિત સરકારોએ પણ આ કપરા સમયમાં પ્રવાસી શ્રમિકોને મદદ કરવી જોઈએ. પ્રવાસી શ્રમિકો પર ચિંતા વ્યક્ત કરતા સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર અને તમામ રાજ્યથી જવાબ માંગ્યો છે. કોર્ટે કહ્યું કે સરકારોએ જણાવવું પડશે કે સરકારોએ શું નિર્ણયો કર્યા અને આગળ શું કરી શકાય છે ?
પહેલાં પણ અદાલતમાં થઇ હતી અરજીઓ
નોંધનીય છે કે આ પહેલાં આ મુદ્દે ઘણીબધી અરજીઓ દાખલ કરવામાં આવી હતી પરંતુ આ બધી જ અરજીઓ સર્વોચ્ચ અદાલતે સ્વીકારી જ નહીં. કોર્ટે કહ્યું હતું કે સરકાર તેનું કામ કરી રહી છે અને અદાલત તેમાં દખલ નહીં કરે. જે બાદ ઘણા બધા લોકોએ આ આદેશની નિંદા પણ કરી હતી અને મોટા વકીલોએ કહ્યું હતું કે શ્રમિકો માટે અદાલતે કંઇક કહેવું જોઈતું હતું.