સુપ્રીમ કોર્ટે એક મોટો ચુકાદો આપતા ખૂંખાર ગેંગસ્ટર મુખ્તાર અંસારીને બે અઠવાડિયાની અંદર યુપી પોલીસને હવાલે કરી દેવાનો ઓર્ડર પંજાબ સરકારને આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે મુખ્તાર અંસારીને યુપી જેલ શિફ્ટ કરવાનો કર્યો ઓર્ડર
હાલમાં મુખ્તાર અંસારી પંજાબની રુપનગર જેલમાં બંધ છે
યુપી સરકારની મોટી જીત, બે અઠવાડિયામાં યુપી જેલમાં શિફ્ટ કરવો પડશે
હાલમાં મુખ્તાર અંસારી પંજાબની રુપનગર જેલમાં કેદ છે. જસ્ટિસ અશોક ભૂષણ અને આરએસ રેડ્ડીની ખંડપીઠે જણાવ્યું કે પંજાબ પોલીસે બે અઠવાડિયાની અંદર અંસારની કસ્ટડી યુપી પોલીસને સોંપી દેવાની રહેશે. યુપીની યોગી આદિત્યનાથ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને રુપનગર જેલમાં બંધ મુખ્તાર અંસારીને બાંદાની જેલમાં શિફ્ટ કરવાની માગ કરી હતી. યુપી સરકારની આ અરજી પર ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે પંજાબ સરકાર અને રુપનગર જેલ સત્તાવાળાઓને આ ઓર્ડર આપ્યો હતો. સુપ્રીમની ખંડપીઠે એવો પણ આદેશ આપ્યો છે કે અંસારીની કઈ જેલમાં રખાશે તેનો ફેંસલો પ્રયાગરાજની એમપી, એમએલએ કોર્ટ નક્કી કરશે.
અંસારી પંજાબી જેલમાં મોજ કરી રહ્યો છે-યુપી સરકારની દલીલ
યુપી સરકાર વતી સુપ્રીમમાં દલીલ કરનાર સોલિસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે અંસારી રુપનગર જેલમાંથી તેનો કારોબાર ચલાવી રહ્યો છે. મહેતાએ જણાવ્યું કે જે એફઆઈઆરને આધારે પંજાબ પોલીસે અંસારીની ધરપકડ કરી હતી તેમાં તેનું નામ નથી અને મેજિસ્ટ્રેટના નિર્દેશ વગર જ બાંદા જેલ અધિક્ષક દ્વારા સોંપવામાં આવ્યાં બાદ અંસારીને પંજાબ લઈ જવાયો હતો. યુપી સરકારના વકીલે સુપ્રીમને જણાવ્યું કે અંસારી પર 15 કેસ નોંધાયેલા છે અનેતે ગેંગસ્ટરની શ્રેણીમાં આવે છે પરંતુ હાલમાં તે પંજાબની જેલમાં મોજ કરી રહ્યો છે. તેના ન આવવાથી યુપીની કોર્ટમાં તેની સામેની કાર્યવાહી અટવાયેલી પડી છે. પંજાબ સરકારના વકીલે દુષ્યંત દવેએ જણાવ્યું કે યુપી સરકારની માગ ગેરબંધારણીય છે જોકે સુપ્રીમે પંજાબ સરકારની આ દલીલને ફગાવી દીધી હતી.
મુખ્તાર અંસારી પર ધારાસભ્ય કૃષ્ણાનંદની હત્યાનો આરોપ
મુખ્તાર અંસારી પર ધારાસભ્ય કૃષ્ણાનંદની હત્યાનો આરોપ છે. કૃષ્ણાનંદની પત્ની અલકા રાયે કોંગ્રેસ અને પ્રિયંકા વાડરા પર અંસારીને બચાવવાનો આરોપ લગાવી ચૂક્યા છે. આ પહેલા કોર્ટે બે ટ્રાન્સફર અરજીઓ ફગાવી દીધી હતી. મઉ સદર બેઠકના ધારાસભ્ય અંસારી યુપીની જેલમાં કેદ હતો અને તેની સામેના કેસનો ખટલો ચાલી રહ્યો હતો. આ દરમિયાન ખંડણી અને ગુનાહિત કેસોની ફરિયાદ મળ્યાં બાદ પંજાબ પોલીસ પ્રોડક્શન વોરન્ટ મેળવીને તેને પંજાબ લઈ ગઈ હતી અને ત્યાં રુપનગરની જેલમાં તેને પૂરી દીધો હતો.ત્યારથી યુપી સરકાર તેની કસ્ટડી મેળવવાનો પ્રયાસ કરી રહી હતી.