ગુજરાત હાઈકોર્ટ પર ટિપ્પણી કરીને વિવાદમાં આવનાર યતિન ઓઝાની અરજી પર સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી 9 સપ્ટેમ્બર સુધી ટાળવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે સુઓમોટો કેસમાં ગુજરાત હાઈકોર્ટ ચુકાદો આપી શકે છે.
હાઈકોર્ટે યતીન ઓઝાનો સિનિયર કાઉન્સેલનો હોદ્દો પરત લઇ લીધો હતો
કોર્ટની અવમાનનાના કેસમાં હાઈકોર્ટમાં આવી શકે છે નિર્ણય
બાર એસોસિયેશનનના પૂર્વ પ્રમુખ યતિન ઓઝાની અરજી પર સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી 9 સપ્ટેમ્બર સુધી ટાળવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા યતિન ઓઝા પાસેથી સિનીયર કાઉન્સેલનું પદ છીનવી લેવામાં આવ્યું હતું જેના પર આ અરજી કરાઈ હતી. વર્તમાનમાં માનવામાં આવી રહ્યું છે કે ગુજરાત હાઈકોર્ટ ઓઝા વિરુદ્ધ કોર્ટની અવમાનના મામલે સુઓ-મોટો કેસમાં ચુકાદો આપી શકે છે જેના કારણે સર્વોચ્ચ અદાલતે સુનાવણી સ્થગિત કરી છે.
બિનશરતી માફી માંગવા તૈયાર ઓઝા
આજે સર્વોચ્ચ અદાલતમાં ઓઝાએ છઠ્ઠી ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટ પર કરેલ ટિપ્પણી પર બિનશરતી માફી માંગવા તૈયારી દર્શાવી છે જેના પગલે સુપ્રીમ કોર્ટે આશા વ્યક્ત કરી કે ગુજરાત હાઈકોર્ટ ઓઝા મુદ્દે વિચાર કરશે.
હાઈકોર્ટે છીનવ્યું હતું યતિન ઓઝાનું પદ
નોંધનીય છે કે થોડા સમય પહેલા કોર્ટના તિરસ્કારની પ્રવૃત્તિ બદલ ગુજરાત હાઇકોર્ટ યતિન ઓઝાનો સિનિયર કાઉન્સેલનો હોદ્દો પાછો લઈ લીધો હતો. હાઈકોર્ટે કોર્ટના તિરસ્કારની પ્રવૃત્તિ બદલ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ યતીન ઓઝાનો સિનિયર કાઉન્સેલનો હોદ્દો પરત લઇ લીધો હતો. ઓઝાએ હાઇકોર્ટની કામગારી સામે આરોપ લગાવ્યા હતા જે બાદ બાર કાઉન્સિયલના પૂર્વ પ્રમુખ સામે હાઇકોર્ટ સખ્ત થઇ હતી.
ક્યાંથી શરુ થયો મામલો ? : યતિન ઓઝાએ ફેસબુક લાઇવમાં આક્ષેપો કર્યા હતા
ગુજરાત હાઇકોર્ટ એડ્વોકેટ્સ એસોસિએશનના પ્રમુખ યતિન ઓઝાએ ફેસબુક પર લાઈવ પત્રકાર પરિષદ યોજી અને હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખીને એવા સ્ફેટક આક્ષેપ કર્યા હતા કે લૉકડાઉનના સમયગાળા દરમિયાન પૈસાદાર લોકો અને નાણાંકીય રીતે સક્ષમ વકીલોની અરજીઓ ત્રણ જ દિવસમાં સર્ક્યુલેટ થઈ ઓર્ડર થઈ જાય છે. બીજી તરફ નાના વકીલોની અરજીઓ દિવસો સુધી ફાઈલ થતી નથી અને લિસ્ટ પણ થતી નથી. હાઈકોર્ટ જુગારનો અડ્ડો બની ગઈ છે. જેમ કરોડપતિઓ જુગાર રમે તો કંઈ આંચ નથી આવતી અને ગરીબ વ્યક્તિ પાંચ રૂપિયાનો ય જુગાર રમે તો પોલીસ પકડી જાય છે.
મહત્વનું છે કે, આને ધ્યાને લઇને હાઇકોર્ટે તેમની સામે સુઓમોટો ક્રિમીનલ કન્ટેમ્પ્ટની કાર્યવાહી હાથ ધરી હતી અને નોટિસ પાઠવી જવાબ માગ્યો હતો.
આ સુઓમોટો અરજી સામે પણ SC ગયા હતા ઓઝા
મહત્વનું છે કે, યતિન ઓઝા તરફથી સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ એ.એસ. બોપન્નાની ખંડપીઠ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. તેમણે રજૂઆત કરી હતી કે કન્ટેમ્ટ કેસમાં કોર્ટે ગુસ્સામાં આવી નોટિસ પાઠવી છે. અરજદારે હાઇકોર્ટ પર નહીં પરંતુ તેના રજિસ્ટ્રી વિભાગ પરંતુ રજિસ્ટ્રી વિભાગ પર આક્ષેપો કર્યા હતા.
જેની સામે ચીફ જસ્ટિસ બોબડેએ ટકોર કરી હતી કે તમને કોણે કહ્યું કે કોર્ટે ગુસ્સામાં આવી નોટિસ પાઠવી છે ? તમારા પર જે કન્ટેમ્પ્ટનો આરોપ છે તેના કારણે હાઇકોર્ટની બદનામી થઇ છે. સુપ્રીમ કોર્ટે આ અરજી ન સાંભળવાનું વલણ દાખવ્યું છે અને કહ્યું હતું કે તમારા જે પણ મુદ્દાઓ હોય તેની રજૂઆત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સમક્ષ કરવામાં આવે. કોર્ટનું આ વલણ જોઇ અરજી પરત ખેંચવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે આ અરજી સાંભળવાનો ઇનકાર કરતા હાઇકોર્ટે શરૂ કરેલી સુઓમોટો કન્ટેમ્પ્ટ (કોર્ટ તિરસ્કાર)ની કાર્યવાહી સામે યતિન ઓઝાએ સુપ્રીમમાં કરેલી અરજી પરત ખેંચવામાં આવી હતી.