સ્ટેટબેંક ઑફ ઇન્ડિયા દ્વારા બે નંબરો કરવામાં આવ્યા જાહેર, ફ્રોડ કોલથી બચવા સતર્ક રહેવા કરી અપીલ
SBIએ જાહેર કરી ચેતવણી
બે નંબરો જાહેર કરીને ગ્રાહકોને ચેતવ્યા
કોલ રિસીવ ન કરવા માટે કહેવામાં આવ્યું
જોજો ક્યાંક છેતરાઇ ન જતા. ફોન પર બેંકના કર્મચારી હોવાનું કહીને લાખો પડાવી લેતા શખ્સોથી સાવધાન થઇ જજો.કારણ કે હાલમાં આવા ફ્રોડ કોલની સંખ્યા વધી ગઇ છે. લોકોના ખાતામાંથી બારોબાર લાખો રુપિયા ડેબિટ થઇ જાય છે. ત્યારે દેશની સૌથી મોટી સરકારી બેંકે પોતાના ગ્રાહકોને એક ચેતવણી આપી છે. બેંક દ્વારા આપવામાં આવેલી આ ચેતવણી 45 કરોડ ગ્રાહકોને કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચાવવા માટે કરવામાં આવી છે. આ પહેલા પણ બેંક દ્વારા સમયાંતરે ગ્રાહકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. હવે બેંક વતી બે ફોન નંબર જાહેર કરીને કોલ રીસીવ ન કરવા માટે કહેવામાં આવ્યું છે.
બેંક કર્મચારીઓ જણાવીને આચરે છે છેતરપિંડી
SBI વતી બે નંબરોથી છેતરપિંડી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દિવસોમાં છેતરપિંડીની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. જેને ધ્યાનમાં રાખીને, બેંક દ્વારા ગ્રાહકોને કોઈપણ ફિશિંગ કૌભાંડથી બચાવવા માટે આ ચેતવણી આપવામાં આવી છે. બેંક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઘણા મામલાઓમાં ટ્વીટ, એસએમએસ અને ઈ-મેલ દ્વારા ફિશિંગ કૌભાંડોની માહિતી સામે આવી છે. કૉલ કરવા પર, આ લોકો SBI કર્મચારી હોવાનો ઢોંગ કરીને ગ્રાહક સાથે છેતરપિંડી કરે છે.
આ નંબર પરથી ફોન આવે તો સાવધાન થઇ જજો
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ બે નંબરો જાહેર કર્યા છે. 8294710946 અને 7362951973. બેંક તરફથી કહેવામાં આવ્યું છે કે જો આ બે નંબર પરથી કોલ આવે છે તો રિસીવ કરવાની ભૂલ ન કરવી.
CID આસામે પણ આપી હતી ચેતવણી
મહત્વનું છે કે આ બે નંબરો મામલે CID આસામે SBI દ્વારા ઉલ્લેખિત બંને નંબરો સાથે વાંધો ઉઠાવ્યો હતો. સીઆઈડી આસામે ટ્વિટ કરીને કહ્યું હતું કે, સ્ટેટ બેંકના ગ્રાહકોને બે નંબર 8294710946 અને 7362951973 પરથી કોલ આવી રહ્યા છે. આ નંબરો પરથી કોલ કરનાર ગ્રાહકને KYC અને મોબાઈલ પર મોકલવામાં આવેલી લિંક પર ક્લિક કરવાનું કહે છે.
આ બંને નંબરો બેંકના નથી
બેંકે કહ્યું કે આ બંને નંબર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સાથે કોઈપણ રીતે જોડાયેલા નથી. એસબીઆઈ વતી આસામ સીઆઈડીને રી-ટ્વીટ કરતી વખતે આ લખવામાં આવ્યું છે. ગ્રાહકના ટ્વીટના જવાબમાં સ્ટેટ બેંકે કહ્યું કે આઈટી સિક્યોરિટી આ બંને નંબરો સામે તાત્કાલિક કાર્યવાહી કરશે.