યસ બેંકના સંકટ પર સ્ટેટ બેંક ઓફ ઇંડિયાએ જણાવ્યું છે કે કાયદાકીય જોગવાઇ મુજબ SBIએ યસ બેંકના 49 ટકા શેર ખરીદી શકે છે. મુંબઇ ખાતે પત્રકાર પરિષદમાં SBI ના ચેરમેન રજનીશકુમારે કહ્યું કે SBI યસ બેંકમાં 2450 કરોડ રૂપિયાનું રોકાણ કરી શકે છે.
SBI ચેરમેને કહ્યું કે અમારી લીગલ ટીમ રોકાણ કરવા પર કામ કરી રહી છે. તેમણે કહ્યું કે અમે સ્ટોક એક્સચેંજને જણાવી દીધું છે કે SBI યસ બેંકમાં 49 ટકા ભાગીદારી ખરીદવા પર વિચાર કરી રહ્યાં છે. જો કે તેમણે કહ્યું કે રોકાણ પર છેલ્લો નિર્ણય SBI નું બોર્ડ કરશે.
રજનીશ કુમારે કહ્યું કે યસ બેંકના ખાતાધારકો પર કોઇ ભય નથી. રજનીશ કુમારે કહ્યું કે થોડા દિવસોની વાત છે, ખાતાધારકોનું સંકટ દૂર થઇ જશે. જે લોકો SBI માં રોકાણ કરવા ઇચ્છે છે તેઓ માટે આ એક તક છે. રજનીશકુમારે કહ્યું તેમનો પ્રયત્ન છે કે રોકાણ યોજનાને રિઝર્વ બેંકની સમય મર્યાદા પહેલા પાસ કરાવી લેવામાં આવશે.
SBI બોર્ડે રોકાણ અંગેની સૈદ્ધાંતિક મંજૂરી આપી
રજનીશ કુમારે SBI માં રોકાણ યોજનાને વિસ્તારથી જણાવતાં કહ્યું કે રોકાણ પ્લાન પર વિચાર કર્યા બાદ 9 માર્ચના રોજ ફરીથી રિઝર્વ બેંકની પાસે જશે. રજનીશે કહ્યું કે SBI એ બોમ્બે સ્ટોક એક્સચેંજને જણાવી દીધુ છે કે SBI બોર્ડે યસ બેંકમાં રોકાણને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે.
રજનીશ કુમારે જણાવ્યું કે 26 ટકા શેરમાં 3 વર્ષનું લૉક ઇન છે. એટલે કે એકવાર ખરીદ્યા બાદ 3 વર્ષ સુધી આ શેરનું વેચાણ કરી શકાશે નહીં.
SBI એ કહ્યું કે ખાનગી રોકાણકારો યસ બેંકમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યાં છે. જેમાં થોડા સારા નામ છે. રજનીશ કુમારે કહ્યું કે અમે સહયોગી રોકાણકારોની શોધ કરી રહ્યાં છીએ.