નિર્ણય બાદ બેંકમાંથી લેવામાં આવેલી લોન પર વ્યાજ દર વધી જશે. એટલે કે તમારો EMI વધશે. સાથે જ નવી લોન લેવી પણ મોંઘી થઇ જશે. આ નવા દરો આજથી (15 જુલાઈ 2022) લાગુ છે.
SBIના ગ્રાહક માટે વધુ એક ફટકો
માર્જિનલ કોસ્ટ લેન્ડિંગ રેટમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો
નવા દરો 15 જુલાઈ 2022 થી લાગુ
દેશની સૌથી મોટી સરકારી બેંક SBIના ગ્રાહક માટે ખરાબ સમાચાર. એસબીઆઈએ લોન પર પોતાના માર્જિનલ કોસ્ટ લેન્ડિંગ રેટ માં 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ નિર્ણય બાદ બેંકમાંથી લેવામાં આવેલી લોન પર વ્યાજ દર વધી જશે. એટલે કે તમારો ઈએમઆઈ વધશે. સાથે જ નવી લોન લેવી પણ મોંઘી થઇ જશે. તમને જણાવી દઈએ કે આ નવા દરો 15 જુલાઈ 2022 થી લાગુ પડવાના છે. સાથે જ એક્સટર્નલ બેંચમાર્ક સાથે જોડાયેલી લોન યથાવત રાખવામાં આવી છે.
એમસીએલઆર રેટમાં વધારો
સ્ટેટ બેંકની વેબસાઈટ મુજબ એમસીએલઆર રેટ એક વર્ષમાં 7.40 ટકાથી વધીને 7.50 ટકા થઈ ગયો છે. રાતોરાત, એક મહિના અને ત્રણ મહિનાના દર 7.05 ટકાથી વધારીને 7.15 ટકા કરવામાં આવ્યા છે. છ મહિનાના ગાળા માટે એમસીએલઆર 7.35 ટકાથી વધારીને 7.45 ટકા કરવામાં આવ્યો છે. એ જ રીતે બે વર્ષ અને ત્રણ વર્ષના એમસીએલઆરના દર વધીને અનુક્રમે 7.7 ટકા અને 7.8 ટકા થઈ ગયા છે.
મહિનામાં જ બીજીવાર વધારો
આ પહેલા એસબીઆઈએ 15 જૂન 2022થી એમસીએલઆરમાં 0.20 ટકાનો વધારો કર્યો હતો. ગઈ વખતે એસબીઆઈએ પણ તેના બાહ્ય બેંચમાર્ક લિંક્ડ લોનના વ્યાજ દરોમાં વધારો કર્યો હતો. એટલે કે એક મહિનામાં બીજી વખત ગ્રાહકોની લોનના વ્યાજ દર મોંઘા થયા છે.