દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) તેના ગ્રાહકોને એક ખાસ સુવિધા આપે છે. જેમાં તમારા બેંક ખાતામાં રહેલાં બેલેન્સથી વધુ પૈસા ઉપાડી શકો છો. બેંકની આ સુવિધાને ઓવરડ્રાફ્ટ ફેસિલિટી કહેવાય છે. ચાલો જાણીએ આ સુવિધા વિશે.
SBI ગ્રાહકોને આપે છે આ ખાસ સુવિધા
બેંક ખાતામાં પૈસા નહીં હોય તો પણ ઉપાડી શકાશે પૈસા
આ એક પ્રકારની સસ્તી અને સરળ લોન છે
શું છે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી
ઓવરડ્રાફ્ટ એક પ્રકારની લોન છે. જેની મદદથી ગ્રાહકો તેમના બેંક અકાઉન્ટમાંથી હાલના બેલેન્સ કરતા વધુ પૈસા ઉપાડી શકે છે. આ વધારાના પૈસાને ચોક્કસ સમયગાળાની અંદર ચૂકવવાના હોય છે અને તેના પર વ્યાજ પણ લાગે છે. વ્યાજ ડેઈલી બેસિસ પર કેલ્ક્યુલેટ થાય છે. ઓવરડ્રાફ્ટ ફેસિલિટી કોઈપણ બેંક અને નોન બેંકિંગ ફાઈનાન્સિયલ કંપની (NBFC) આપી શકે છે. ઓવરડ્રાફ્ટની લિમિટ કેટલી રહેશે તે NBFCs નક્કી કરશે.
આ રીતે કરી શકો છો એપ્લાય
બેંક તેના કેટલાક ગ્રાહકોને પ્રીઅપ્રૂવ્ડ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી આપે છે. જ્યારે કેટલાક ગ્રાહકોને તેના માટે અલગથી મંજૂરી લેવી પડે છે. તેના માટે લેખિતમાં અથવા ઈન્ટરનેટ બેંકિગ દ્વારા એપ્લાય કરવાનું હોય છે. ઘણીવાર બેંક આ સુવિધા માટે પ્રોસેસિંગ ફીસ પણ વસૂલે છે. ઓવરડ્રાફ્ટ 2 પ્રકારના હોય છે. એક સિક્યોર્ડ અને બીજો અનસિક્યોર્ડ. સિક્યોર્ડ ઓવરડ્રાફ્ટમાં સિક્યોરિટી માટે કોઈ વસ્તુ ગિરવે મૂકવી પડે છે.
તમે એફડી, શેર, ઘર, સેલરી, ઈન્શ્યોરન્સ પોલિસી, બોન્ડ્સ વગેરે પર ઓવરડ્રાફ્ટ મેળવી શકો છો. સરળ ભાષામાં કહીએ તો આને એફડી અથવા શેર પર લોન લેવી કહી શકાય. આવું કરવા પર આ વસ્તુઓ બેંક અથવા NBFC પાસે ગિરવે રહે છે. જો તમારી પાસે ગિરવે મૂકવા માટે કંઈ જ નથી તો પણ તમે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી લઈ શકો છો. તેને અનસિક્યોર્ડ ઓવરડ્રાફ્ટ કહે છે. ઉદાહરણ તરીકે ક્રેડિટ કાર્ડથી પૈસા વિથડ્રોલ કરવા.
આ ફાયદો મળે છે
જ્યારે તમે લોન લો છો ત્યારે તેને ચૂકવવાની સમય મર્યાદા નક્કી હોય છે. જો કોઈ લોન સમય મર્યાદા પહેલાં ચૂકવી દે તો તેને પ્રીપેમેન્ટ ચાર્જ ચૂકવવું પડે છે, પરંતુ ઓવરડ્રાફ્ટમાં એવું નથી હોતું. તમે સમય મર્યાદા પહેલાં પણ કોઈપણ ચાર્જ વિના પ્રીપેમેન્ટ કરી શકો છો. સાથે વ્યાજ પણ એટલું જ આપવું પડે છે જેટલા સમય માટે ઓવરડ્રાફ્ટ અમાઉન્ટ તમારી પાસે રહે છે. આ સિવાય EMIમાં પૈસા ચૂકવવા પણ ફરજિયાત નથી. તમે નક્કી કરેલા સમયગાળાની અંદર કોઈપણ સમયે પૈસા ચૂકવી શકો છો. જેથી આ લોન વધુ સસ્તી અને સરળ છે.
આટલું ધ્યાન રાખો
જો તમે કોઈ કારણસર ઓવરડ્રાફ્ટ ચૂકવી નહીં શકો તો તમે જે વસ્તુ ગિરવે મૂકી છે તેના દ્વારા લોનની ચૂકવણી થશે. તમે ગિરવે મૂકેલી વસ્તુની વેલ્યૂ વધારે હશે તો બાકીના પૈસા પરત મળી જશે.