દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના 45 કરોડ ગ્રાહકોને મોટી રાહત આપી છે. એસબીઆઈએ મેટ્રો અને ગ્રામીણ વિસ્તારો માટે મિનિમમ બેલેન્સની લિમિટ ઘટાડી દીધી છે. હવે મેટ્રો અને અર્બન સિટીઝ માટે સરેરાશ મંથલી બેલેન્સ 3000 રૂપિયા અને ગ્રામીણ વિસ્તારો માટે 1000 રૂપિયા કરવામાં આવ્યું છે. આ સાથે જ મિનિમમ બેલેન્સ મેન્ટેન ન કરવા પર લાગનારા ચાર્જને પણ ઘટાડી દેવામાં આવ્યો છે.
એસબીઆઈના ગ્રાહકો માટે સારાં સમાચાર
બેંકે મિનિમમ બેલેન્સની લિમિટ ઘટાડી
મિનિમમ બેલેન્સ મેન્ટેન ન કરવા પર લાગતો ચાર્જ પણ ઓછો કરી દીધો
એસબીઆઈના આ નવા નિયમથી આશરે 45 કરોડ ગ્રાહકોને રાહત મળશે. મિનિમમ બેલેન્સ મેન્ટેન ન કરવા પર 5-15 રૂપિયા ચાર્જ અને જીએસટી ચાર્જ અલગથી વસૂલવામાં આવશે. એસબીઆઇએ એપ્રિલ 2017માં મિનિમમ એવરેજ બેલેન્સ ચાર્જ લાગુ કર્યો હતો. મેટ્રો સિટીઝ જેવી કે દિલ્હી, મુંબઇ, કોલકાતા, ચેન્નાઈ વગેરેની વાત કરીએ તો મિનિમમ બેલેન્સમાં 50 ટકા ઘટવા પર 10 રૂપિયા પ્લસ જીએસટી ચાર્જ લાગશે. જ્યારે તેમાં 50થી 75 ટકા બેલેન્સ ઓછું હશે તો 12 રૂપિયા પ્લસ જીએસટી ચાર્જ લાગશે. જો અકાઉન્ટ હોલ્ડરનું બેલેન્સ 75 ટકાથી વધુ ઘટે છે તો ફાઈન તરીકે 15 રૂપિયા અને જીએસટી લાગશે.
આ ઉપરાંત 1 ઓક્ટોબરથી બેંકે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ પણ લાગુ કર્યું છે. આ અંતર્ગત નાણાકીય વર્ષમાં 7 લાખથી વધુ રેમિટેન્સ મોકલવા પર તેનો અમલ કરવામાં આવશે. જોકે, આમાં એજ્યુકેશન લોનની ચુકવણી સામેલ નથી. વિદેશ પ્રવાસના હેતુસર મોકલવામાં આવેલા નાણાં પર ટીસીએસ વસૂલવામાં આવશે. આ રકમ સાત લાખથી ઓછી હોય તો પણ ટીસીએસ લાગુ પડે છે.