કોરોના વાયરસના કહેરથી શેરબજારમાં મોટા કડાકાના પગલે એસબીઆઇ કાર્ડના આઇપીઓમાં રોકાણકારોને જંગી નુકસાન થવાની શક્યતા છે. હવે આ આઇપીઓ દ્વારા નફો મળવાની આશા નહીંવત્ છે. ખાસ કરીને જેમણે આ આઇપીઓમાં રોકાણ કરવા માટે ઊંચા વ્યાજદરે નાણાં ઉધાર લીધા હતા તેમને મોટો ઝટકો લાગી શકે છે. એસબીઆઇ કાર્ડના આઇપીઓનું લિસ્ટિંગ સોમવારે થનાર છે.
બજાર ઘટતાં SBI કાર્ડનો શેર ગ્રે માર્કેટમાં ૨૦-૨૫ ટકા ડિસ્કાઉન્ટમાં ટ્રેડ કરી રહ્યો છે
ગ્રે માર્કેટમાં એસબીઆઇ કાર્ડના આઇપીઓ ઇશ્યૂ તેની કિંમતથી ૨૦-૨૫ ટકા ડિસ્કાઉન્ટ સાથે ટ્રેડ કરી રહ્યો છે. આ આઇપીઓ માટે મહત્તમ પ્રાઇસ બેન્ડ રૂ.૭૫૫ હતી. શુક્રવારે જ્યારે નિફ્ટીને ૧૦ ટકા લોઅર સર્કિટ લિમિટ લાગી ત્યારે આઇપીઓ તેની કિંમત જેટલો જ રૂ.૭૫૫ પર જ ટ્રેડ કરી રહ્યો હતો. પાછળથી બજારમાં સુધારો થતાં ડિસ્કાઉન્ટમાં પ્રતિશેર રૂ. પાંચનો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ હવે સોમવારે જો બજારમાં વધુ મોટો કડાકો થશે તો એસબીઆઇ કાર્ડનો શેર ડિસ્કાઉન્ટમાં લિસ્ટ થશે એવી દહેશત છે.
નોંધનીય છે કે ઘણા રોકાણકારો આ અઠવાડિયાના બ્લડબાથમાં તેમની મોટી સંપત્તિ ગુમાવી ચુક્યા છે આથી તેઓ હવે સંપત્તિ સંગ્રહ કરવાના જ મૂડમાં છે. અનુભવી રોકાણકારો પણ અત્યારે સાવચેતીપૂર્વક પગલા ભરી રહ્યા છે.
આ પરિસ્થિતિ ૨૦૦૮ની પરિસ્થિતિને સમાંતર છે જ્યાં રિલાયન્સ પાવરનો હાઈ પ્રોફાઈલ IPO બહાર આવ્યો હતો જેને લઇને લોકોમાં ભારે આશાઓ હતી. જો કે વૈશ્વિક મંદીની ગભરાહટમાં લિસ્ટિંગના દિવસે શેર ઉંધા માથે પછડાયો હતો અને રોકાણકારોને રડવાનો વારો આવ્યો હતો.