ગુજરાતમાં અનેક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. ત્યારે મોડાસાના સાયરામાં બનેલી અપહરણ, દુષ્કર્મ, હત્યાની ઘટનાના સમગ્ર રાજ્ય અને દેશમાં પડઘા પડ્યા છે. ત્યારે હવે આ ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે. પહેલા થયેલા પોસ્ટમોર્ટમમાં દુષ્કર્મ ન થયાનું સામે આવ્યું જ્યારે હવે પેનલના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાનો ઘટસ્ફોટ થયો છે.
પ્રથમ અને બીજા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જમીન આસમાનનો ફરક કેમ?
19 વર્ષીય યુવતીની શંકાસ્પદ હાલતમાં ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાતમાં લાશ મળી હતી. ત્યારબાદ કેટલાક દિવસો બાદ પોલીસે ફરિયાદ નોંધી હતી. પરિવારજનોની માંગ બાદ મામલાએ જોર પકડ્યું હતું. ત્યારબાદ પાંચ ડૉક્ટરોની પેનલે પોસ્ટમોર્ટમ કર્યું હતું. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.
ડૉક્ટરની પેનલના પોસ્ટમોર્ટમાં થયેલા ખુલાસા
ડૉક્ટરની પેનલના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, યુવતિ સાથે દુષ્કર્મ આચવામાં આવ્યું હતું. તેના ગુપ્તઅંગો પર ઇજાના નિશાનો હતા. જ્યારે ગળાના ભાગે પણ ઇજાના નિશાનો હોવાનો ખુલાસો થયો છે. તે નિશાન સૂચવે છે કે યુવતિને જબરદસ્તી ગળેફાંસો આપી દેવાયો હતો. ડાબા ખભા, ડાબા અંગૂઠા અને છાતીની ડાબી તરફના ભાગમાં ઇજાના નિશાન છે.
અગાઉ થયેલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ
પીડિતાના પહેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મ થયાના કોઇ નિશાન કે ઇજાના કોઇ નિશાન ન હોવાનું જણાવાયું હતું. ત્યારે હવે પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટે અગાઉના પોસ્ટમોર્ટમ પર ગંભીર સવાલો ઉભા કરી દીધા છે. કેમ બન્ને પોસ્ટમોર્ટમમાં અલગ અલગ ખુલાસા? પહેલા પોસ્ટમોર્ટમમાં કોઇ ઇજાના નિશાન કેમ ન દેખાયા?
શું છે સમગ્ર મામલો?
અત્રે ઉલ્લેખનીય છે કે, પીડિતાનો મૃતદેહ 5 જાન્યુઆરીના દિવસે ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ પરિવારજનો દ્વારા કરવામાં આવેલ ફરિયાદમાં બિમલ ભરવાડ, દર્શન ભરવાડ, સતિષ ભરવાડ અને જિગર ભરવાડ નામના ચાર શખ્સો દ્વારા દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ કરાયો હતો. ત્યારબાદ અરવલ્લી પોલીસ દ્વારા આરોપીઓને ધરપકડ ન કરાતા મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. પરિવારજનોના પોલીસ પર આક્ષેપ બાદ કેસ સીઆઇડી ક્રાઇમને સોંપાયો હતો. જેમાં પ્રાથમિક તપાસમાં પીઆઇ એન.કે. રબારીની ટ્રાન્સફર કરવામાં આવી હતી. બાદમાં સ્પેશિયલ ટીમ બનાવાઇ છે. જોકે આ કેસમાં ચાર આરોપીઓમાંથી ત્રણ આરોપી બિમલ, દર્શન અને જિગર પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ચૂક્યા છે જ્યારે સતિષ હજુ ફરાર છે.