ઉત્તર ભારતવાસીઓના શ્રાવણ મહિનાનો આજે પ્રથમ સોમવાર છે. ત્યારે શિવજી મંદિરો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે. વહેલી સવારથી જ ભક્તોએ શિવજીના દર્શન માટે પહોંચી ગયા હતા. શિવજીને બિલીપત્ર અને જળાભિષેક કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
શ્રાવણ માસના પ્રથમ સોમવાર હોવાથી ઉત્તરાખંડના હરિદ્વારમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ભક્તોએ શિવજીના દર્શન કર્યા અને ગંગા નદીમાં આસ્થાની ડૂબકી મારી. આ તરફ વારાણશીમાં કાશી વિશ્વનાથ મંદિર બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
જ્યારે મોટી સંખ્યામાં ભક્તોએ ગંગા નદીમાં ડુબકી લગાવીને શિવજીની પૂજા અર્ચના કરી હતી. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાળેશ્વર મંદિરમાં ભસ્મ આરતીનો લ્હાવો લેવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા. શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તો શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
કાનપુરમાં પણ મોટી સંખ્યામાં ભક્તો શિવજીના દર્શન કરવા માટે ઉમટ્યા છે. કાનપુરના આનંદેશ્વર શિવ-મંદિરમાં પૂજા-અર્ચના માટે ભક્તોની ભીડ ઉમટી છે. આમ શ્રાવણ મહિનો અને દેવોના દેવ મહાદેવ વચ્ચે એક અનોખો સંબંધ છે.
શ્રાવણ મહિનો ભગવાન શંકરને ઘણો પ્રિય છે. દેવપોઢી અગિયારસ બાદ ભગવાન વિષ્ણુના આરામ બાદ શ્રાવણ મહિના ભગવાન શંકર સૃષ્ટિનું સંચાલન કરતાં હોય તેવી કથા છે.