ફિલ્મોમાં તમે એક વગદાર નાયકને જોયો હશે. જે પોતાના કર્મચારીઓ માટે કંઈ પણ કરી છૂટે છે. બસ આવા જ નાયક કે જે પોતાના કર્મચારીઓ માટે કંઈ પણ કરી છૂટે. આ નાયક એટલે હરિકૃષ્ણા ડાયમંડના માલિક સવજી ધોળકિયા. સાવ સામાન્ય પરિવારમાંથી આવતા સવજી ધોળકિયાએ મહિને રૂપિયા 169નો પગાર મેળવી હીરા ઘસ્યા છે. આજે તેઓ 7 હજાર કરોડની કંપની ધરાવે છે. તો આવો જાણીએ જીરોમાંથી હીરો થયેલા સવજી ધોળિકિયા વિશે.
સુરતની ડાયમંડ કંપનીઓમાં જાણિતુ નામ એટલે હરિકૃષ્ણા ડાયમંડ કંપની. અને તેના માલિક એટલે દાનવીર સવજી ધોળકિયા. કાકાના હુલામણા નામથી જાણિતા સવજી ધોળકિયા મૂળ અમરેલી જિલ્લાના દુધાલા ગામના રહેવાસી છે. સવજીભાઇ વર્ષ 1977માં 12.50 રૂપિયાની એસટી ટિકિટ ખર્ચીને અમરેલીથી સુરત આવ્યા અને વર્ષ 1978માં હીરા ઘસવાનું કામ શરૂ કર્યું. અને આ કામ માટે તેમને મહિને રૂપિયા 169 પગાર મળતો હતો.
પરંતુ કહેવાય છે ને વેપાર તો દરેક ગુજરાતીમાં લોહીમાં હોય છે. ગુજરાતી પથ્થરને પણ પાટુ મારી પાણી પેદા કરે. નોકરી કરે પણ તેનુ મન તો ધંધામાં જ દોડતું હોય. બસ સવજીભાઈના મનમાં પણ હીરાના વેપારી બનવાનું સ્વપ્ન હતું.
વર્ષ 1980માં પિતાએ રૂપિયા 6 હજાર 500નો ટેકો કર્યો. પછી ધીરે ધીરે ડાયમંડ કંપનીની શરૂઆત કરી. શરૂઆતમાં નાની એવી કંપની આજે કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે. હરિકૃષ્ણ ડાયમંડની નેટ વેલ્યુ આજે 7 હજાર કરોડથી પણ વધારે છે. અને 6 હજાર 500 લોકોને રોજગારી પુરી પાડે છે.
સવજીભાઈએ વર્ષ 1980માં શહેરના મહિધરપુરા લીમડા શેરી ખાતે 2 હીરાની ઘંટી શરૂ કરી. અને પ્રથમ પ્રયાસમાં જ રૂપિયા 25 હજાર કમાણી કરી. અને આ કમાણીથી ઘર ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી.
રૂપિયા 10 હજાર ઉછીના લઇને વરાછા રોડ ઘનશ્યામ નગરમાં રૂપિયા 35 હજારમાં એક મકાન ખરીદ્યુ. ઘર થઈ ગયું. બાદમાં લક્ષ્ય હતું રૂપિયા એક લાખ કમાવવા. તેથી ફરી કારખાનું શરૂ કરવું પડે.
તે માટે નવા રૂપિયા પણ જોઈએ. પણ કહેવાય છે કે સાહસ તો ગુજરાતીની નસે નસમાં હોય છે. બસ આ જ સાહસ કરવાની ખેવનાથી રૂપિયા એક લાખ વ્યાજે લાવીને નવેસરથી હીરાનું કારખાનું શરૂ કર્યું. અને ત્યારબાદ તો ક્યારે પાછુ વળીનું જોયું જ નથી. આજે વૈશ્વિક લેવલે હરિકૃષ્ણ ડાયમંડ કંપનીનું નામ છે.
સવજીભાઈએ 10 વર્ષ સુધી 18-18 કલાક મહેનત કરી. 1660 કર્મચારીઓને ઘર, મકાન અને જ્વેલરી આપી..આજે તેમની કંપનીના ડાયમંડ એન્જિનિયરોનો એવરેજ પગાર ૧ લાખથી પણ વધારે છે. સવજીભાઈ પોતાની માલિકીનું પ્લેન ધરાવે છે.
પરંતુ તે પહેલાનો સંઘર્ષ ખુબ જ કઠીન હતો. સવજીભાઈ અને તેના બે ભાઈઓએ સતત દસ વર્ષ સુધી 18-18 કલાક મહેનત કરી હતી. હીરાની ઘંટીઓની સંખ્યા વધારવા રાત દિવસ એક કર્યા હતા. જેના કારણે રફ ખરીદી માટે બેલ્જીયમ જવાની હિંમત આવી ગઇ હતી.
આજે સીધા બેલ્જિયમથી રફ હીરાની ખરીદી કરવામાં આવે છે. અને ત્યારબાદ તેનું કટિંગ અને પોલિસ કરી 50 કરતા વધુ દેશોમાં હીરાની નિકાસ કરાય છે. હજુ ૨૦૦ દેશોમાં વિસ્તરણ બાકી છે. હરિકૃષ્ણા ડાયમંડના વિશ્વભરના 7 દેશોમાં આઉટલેટ્સ છે. ઉપરાંત સમગ્ર વિશ્વમાં 5 હજાર શો-રૂમ છે.
15 વર્ષના સંઘર્ષ બાદ હરિકૃષ્ણા એક્સપોર્ટ્સની સ્થાપના કરનાર સવજીભાઈને બોનસમાં કાર અને ઘર આપવાનો વિચાર ચાર વર્ષ પહેલા આવ્યો હતો. પ્રથમ વખતે તેમણે 10 લોકોને ભેટ સ્વરૂપે કાર આપી હતી. ત્યારબાદ 100 કર્મચારીઓને ઇનામ આપ્યા હતા. તો વર્ષ 2014માં કુલ 1312 લોકો આ ઇનામ મેળવવા હકદાર બન્યા હતા. જ્યારે વર્ષ 2016માં દિવાળી બોનસમાં વધુ 1660 કર્મચારીઓને ઘર, મકાન અને જ્વેલરી આપી હતી.
સવજી ધોળકિયાની અમરેલીના નાનકડા ગામથી ડાયમંડ સીટી સુરત સુધીની સફર ખુબ જ સંઘર્ષ ભરેલી રહી છે. સાવ સામાન્ય પાટીદાર પરિવારમાં ઉછરેલા સવજીભાઈ આજે લાખો કરોડોનો બિઝનેસ કરે છે.
પરંતુ જેના થકી આજે કરોડો રૂપિયા કમાય છે તે કર્મચારીઓને ક્યારેય ભૂલતા નથી. જ્યારે જ્યારે પણ કર્મચારીઓને જરૂર પડે ત્યારે કોઈ પણ કામ માટે સવજીભાઈ ઉભા રહે છે. ફિલ્મોમાં જોયેલી માત્ર દંતકથાઓ સવજીભાઈ જેવા ઉદ્યોગપતિ આજે સાચી સાબિત કરી રહ્યા છે.