ધારાસભ્ય કેતન ઇનામદાર અને જીતુ વાઘાણી વચ્ચે બેઠક પૂર્ણ થઇ છે. વડોદરાના સર્કિટ હાઉસમાં બેઠક યોજાઇ હતી. કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા બેઠક થઈ હતી. ત્યારે હવે કેતન ઇનામદાર રાજીનામું પરત ખેંચ્યું છે. હાલ હાઇવોલ્ટેજ ડ્રામાનો અંત આવતો જણાઇ રહ્યો છે. જોકે તેમણે કેટલીક શરતો તેમણે રાખી છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સાથે બેઠક બાદ નિર્ણય લીધો
વડોદરામાં ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામા બાદ ભાજપ એક્શનમાં આવી હતી. ગઇકાલથી જ કેતન ઇનામદારને મનાવવાના ભાજપે પ્રયાસો હાથ ધર્યા હતા. આજે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ઇનામદારને મળવા વડોદરા પહોંચ્યા હતા. નારાજ ધારાસભ્ય કેનત ઇનામદાર અને જીતુ વાઘાણી વચ્ચે વડોદરાના સર્કિટ હાઉસમાં બેઠક થઇ હતી. જીતુ વાઘાણીના પ્રયાસોથી ધારાસભ્ય કેતન ઇનામદાર માની ગયા છે.
ત્યારે કેતન ઇનામદારે રાજીનામું પરત લેવાનો નિર્ણય કર્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સાથે બેઠક બાદ આ નિર્ણય લીધો છે. તમામ માંગો પૂરું કરવાનું નક્કર આશ્વાશન મળતા રાજીનામું પાછું ખેંચ્યું છે. આમ ભાજપે પોતાના વિદ્રોહી ધારાસભ્ય સામે નમતુ જોખ્યું છે.
શું કહ્યું કેતન ઇનામદારે?
કેતન ઇનામદારે કહ્યું કે, ગઇકાલે સાંજે જે મારા આત્માના અવાજને સાંભળીને મેઇલ દ્વારા રાજીનામું આપ્યું હતું. જે મારા પ્રશ્નો હતા, જે મારા ડ્રિમ પ્રોજેક્ટ ડિલે થઇ રહ્યા હતા. વારંવાર રજૂઆત છતા નક્કર પરિણામ નહોતું આવતું. ઘણા સમયથી લાગણી દબાઇ રહી હતી. નગરપાલિકાના વિકાસ કામો અટક્યા હતા એટલે મેં રાજીનામું આપ્યું હતું. સ્ટ્રીટ લાઇટને લઇને રજૂઆત બાદ મને સંતોષકારક જવાબ મળ્યો ન હતો. કેતન ઇનામદારે કહ્યું કે, ત્યારે મને ખાતરી આપી છે કે વહેલી તકે તમારા ડ્રિમ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવશે.
સાવલીમાં ESI હોસ્પિટલ બનશે
ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે, સાવલી નગર પાલિકાનું રૂપિયા 46 લાખ બીલ બાકી હતું. મારા નગરમાં અંધારપટ ન છવાઇ જાય તે માટે બીલ ન કાપવા માટે રજૂઆત કરી હતી. પરંતુ, રજૂઆતને ધ્યાનમાં ન લેવાતા મેં રાજીનામું આપ્યું હતું.
વધુમાં તેમણે કહ્યું હતું કે, મંજુસર જીઆઇડીસીમાં 10 હજાર કર્મચારીઓ નોકરી કરે છે. તેઓ માટે સાવલીમાં ESIની હોસ્પિટલ બનાવવા સહિતના મારા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે પ્રદેશ પ્રમુખે હૈયાધારણ આપતા મેં રાજીનામું પરત ખેંચવાનો નિર્ણય લીધો છે.
જીતુ વાઘાણીએ કહ્યું- ઇનામદાર માની ગયા
બેઠક બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું છે કે, કેતન ઇનામદાર માની ગયા છે. તેઓ રાજીનામું પરત ખેંચશે. તેઓ મારા સારા મિત્ર છે. કેતનભાઇની માંગણી સ્વાભાવિક અને જનતાના હિતમાં છે. તેમની લાગણી ઝડપથી પુર્ણ થાય તેવા પ્રયાસો કરીશુ. કેતન ઇનામદાર સાથે MDનુ વર્તન યોગ્ય નથી. MD આવુ વર્તન ન કરવા સુચના આપી છે. સાવલી નગર પાલિકાના પ્રાથમિક કામો ત્વરિત ધ્યાને લેવાશે.
મહત્વનું છે કે, કેતન ઇનામદારે સરકારી અધિકારીઓ કામ ન કરતા હોવાની અને માન અને સન્માન પણ ન જળવાતું હોવાની ફરિયાદ કરી હતી. કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષને મેઇલ દ્વારા રાજીનામું મોકલ્યું હતું. જેમાં સરકારી અધિકારીઓ અને નેતાઓ પર આક્ષેપો લગાવ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક ભાજપ એક્શનમાં આવી હતી. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ સહિતના નેતાઓએ તેમની સાથે ગઇકાલે મુલાકાત કરી હતી. ગઇકાલે જીતુ વાઘાણી અને ભુપેન્દ્રસિંહે ટેલિફોનિક વાત કરી હતી. જોકે કેતન ઇનામદારાના રાજીનામાં બાદ ધડાધડ અનેક સભ્યોએ રાજીનામાં ધરી દીધા હતા. જેને લઇને ભાજપમાં ભૂકંપ સર્જાયો હતો. ત્યારે હવે જીતુ વાઘાણીએ ઇનામદાર સાથે બેઠક કરીને મનાવી લીધા છે.
ભાજપમાં કોઈપણ સમસ્યાનું સમજણથી સમાધાનઃ ભરત પંડ્યા
ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાનુ નિવેદન, તેમણે કહ્યું હતું કે, કેતન ઈનામદાર અને જીતુ વાઘાણી સાથે મુલાકાત થઇ છે. વિસ્તારના પ્રશ્નો અંગેની નારાજગી દૂર થઈ જશે. ભાજપમાં કોઈપણ ‘સમસ્યા’નું ‘સમજણ’ના સેતુથી ‘સમાધાન’ થાય.