સાવલી વિધાનસભા બેઠકના ભાજપાના ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. પરંતુ તેમણે હજુ કેટલાક ધારાસભ્યો નારાજ હોવાના સંકેત પણ આપ્યા છે ત્યારે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. દોઢ વર્ષ અગાઉ ધારાસભ્ય કેતન ઇનામદાર સરકાર અને અધિકારીઓથી નારાજ હતા. ત્યારે હજુ વધુ કેટલાક નેતા નારાજ થાય તેવી રાજકીયક્ષેત્રે ચર્ચાઓ શરૂ થઇ છે.
આત્રણ ધારાસભ્યો નારાજ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચા
દોઢ વર્ષ અગાઉ કેતન ઇનામદાર, મધુ શ્રીવાસ્તવ, સી.કે.રાઉલ નારાજ હતા
હાલ વધુ ત્રણ ધારાસભ્યો નારાજ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચા
સરકાર દ્વારા કેતન ઇનામદારની અવગણના અને વિકાસ કામો થતાં ન હોવાનું કારણ આપીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. ત્યારે હજુ પણ કેટલાક ભાજપના ધારાસભ્યો નારાજ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે. ધારાસભ્ય કનુ પટેલ, ધારાસભ્ય સી.કે. રાઉલ અને મધુ શ્રીવાસ્તવ હજુ નારાજ થઇ શકે છે.
દોઢ વર્ષ અગાઉ આ ત્રણ ધારાસભ્યો હતા નારાજ
ભાજપના નારાજ ધારાસભ્યો અને નેતાઓને મનાવવાના પ્રયાસ કર્યા હતા. કેટલાકને અલગ અલગ પદ પણ આપવામાં આવ્યા હતા. અંદાજિત દોઢ વર્ષ અગાઉ વડોદરાના ત્રણ ધારાસભ્યો કેતન ઇનામદાર, મધુ શ્રીવાસ્તવ અને યોગેશ પટેલમાં નારાજગી જોવા મળી હતી. આ ત્રણેય ધારાસભ્યોની નારાજગી બાદ યોગેશ પટેલને રાજ્ય કક્ષાનું મંત્રી પદ અને મધુ શ્રીવાસ્તવને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનનું ચેરમન પદ આપી દેવામાં આવ્યું હતું. આ બાદ કેતન ઇનામદારને કોઇ પદ અપાયું ન હતું. ત્યારે આજે દોઢ વર્ષ બાદ કેતન ઈનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.
મારી અને મારા સાથી ધારાસભ્યોની અવગણનાઃ કેતન ઇનામદાર
મહત્વનું છે કે, કેતન ઇનામદારે તેમના સાથીઓ પણ નારાજ હોવાનો સંકેત પત્રમાં લખ્યો છે. તેમણે લખ્યું કે, 'પ્રજાના સેવક તરીકે અમુક બાબતોમાં સરકારશ્રીને વારંવાર રજુઆતો કરવા છતા મંત્રીશ્રીઓ અને સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ ધારાસભ્ય તરીકે મારી તથા મારા સાથી ધારાસભ્યોની અવગણના કરે તે દુઃખદ બાબત છે. મારા સાથી ધારાસભ્યોની લાગણીઓ બહાર લાવવા તથા મારી અવગણતા એ મારા મતક્ષેત્ર પ્રજાજનોના હિતોની અવગણના છે. મારા પ્રજાજનોના હિતો માટે અત્યાર આ પરિસ્થિતિ નિર્માણ થઇ છે. મારા ભારે હ્રદયે પક્ષની તમામ શિસ્ત અને વિચારધારાને આજદીન સુધી નિભાવેલ છે. અને ના છુટકે હું કેતનકુમાર મહેન્દ્રભાઇ ઇનામદાર, 135-સાવલી વિધાનસભા ધારાસભ્ય પદ પરથી પ્રજાના હિતમાં રાજીનામું આપું છું.
કેતન ઇનામદારે કહ્યું- મે 12 મહિના અગાઉ કરી હતી વાત...
કેતન ઇનામદારે રાજીનામાં અંગે વાત કરતા જણાવ્યું હતું કે, મેં તમામ વાત મારા રાજીનામાં પત્રમાં લખી છે. અગાઉ પણ 12 મહિના પહેલા પણ આ વાત કરી હતી. સરકાર અને પાર્ટીમાં વાત કરી હતી. હું તમામ કાર્યમાં અગ્રેસર રહેતો હતો. મારી ઇચ્છા હતા કે મારો તાલુકો બધાથી અલગ બને. વારંવાર રજૂઆત છતાં પણ તેને ગંભીરતાથી ન લેવાયું. મારા આગામી દિવસનો નિર્ણય પ્રજા કરશે. પ્રજાહિતની અવગણના ન થવી જોઈએ. જો રાજીનામાંનો અસ્વીકાર થશે તો તે અંગે મારી પ્રજા નિર્ણય લશે. મેં ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું પાર્ટીમાંથી નથી આપ્યું. મારી પાર્ટીના હિતમાં, પાર્ટી અને સરકાર બરબાદ ન થાય તે માટે અવાજ ઉઠાવ્યો છે.