વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે કેટલાક પ્રશ્નોને લઇને રાજીનામું આપી દેતા રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે ભાજપ માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. ભાજપના ધારાસભ્યના રાજીનામા બાદ સમર્થનમાં સાવલીના નગરસેવકો પણ રાજીનામા આપવાના છે.
કેતન ઈનામદારે આપેલા રાજીનામાનો મામલો
આવતીકાલે સાવલી નગરપાલિકાના સભ્યો આપશે રાજીનામું
ઈનામદારના રાજીનામાં બાદ રાજકીય હલચલ વધી
ઉલ્લેખનીય છે કે, કેતન ઇનામદારના ધારાસભ્ય પદેથી રાજીનામાને લઈને ભાજપમાં ભડકાની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે તેમના સમર્થનમાં સાવલી નગરપાલિકાના નગરસેવકો પણ આવતીકાલે રાજીનામા આપવાના છે.
ભાજપ પ્રમુખે આપ્યું રાજીનામું
કેતન ઇનામદારના ધારાસભ્ય પદેથી રાજીનામા બાદ સવલીના તાલુકા ભાજપ પ્રમુખે પણ પોતાના પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું હતું. નોંધનીય છે કે, ઈનામદારના રાજીનામાં બાદ રાજકીય હલચલ વધી છે.
જાણો કેતન ઇનામદારે શું લખ્યું પત્રમાં...
રાજીનામા પત્રમાં કેતન ઇનામદારે લખ્યું કે, હું સાવલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરૂં છું. મારા મત વિસ્તારના લોકોની કેટલીક મુખ્ય માંગણી/રજૂઆતો સંદર્ભે સરકારશ્રી અને વહિવટીતંત્રના સંકલનના અભાવે ઉદાસીનતાના કારણે સરકારશ્રીના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપતા નથી.'
વધુમાં તેમણે લખ્યું કે, પ્રજાના પ્રતિનિધિ તરીકે અમારા ધારાસભ્ય પદની ગરીમા અને સન્માન ન જળવાતા હોવાથી મંત્રીશ્રીઓ અને સરકારશ્રી દ્વારા ઉચ્ચ અધિકારીઓના દરેક તબક્કે માન-સન્માન જાળવવાના ભોગે પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્ય પદ અને હોદ્દાની અવગણના કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીની શિસ્ત અને સિદ્ધાંતોને વળગી રહીને અત્યાર સુધી પ્રજાલક્ષી કામો કરતો આવ્યો છું.
મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ : કોંગ્રેસ
આ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે, ગુજરાત સરકારમાં ચાલતી પોલીસી પેરેલેસિસનો ઈનામદારે ઈમાનદારી પૂર્વક સ્વીકાર કર્યો. હવે જવાબદારી રૂપાણીની અને સરકારી તંત્રની છે. જેથી પોલીસી પેરેલિસિસ અને તંત્રની જવાબદારી સ્વીકારી મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ.
બીજી બાજુ કોંગ્રેસે મોટું નિવેદન આપતા કહ્યું છે કે સરકારની નીતિ સામે લડનારા માટે દ્વારા હંમેશા ખુલ્લા છે. કોઈ પણ ધારાસભ્ય માટે કોંગ્રેસના દ્વારા ખુલ્લાં છે.
અર્જૂન મોઢવાડિયાનું નિવેદન
કોંગ્રેસી નેતા અર્જૂન મોઢવાડિયાએ નિવેદન આપતા જણાવ્યું કે, ભાજપમાં નાના કાર્યકર્તાઓને સન્માન આપવામાં આવતું નથી કે પછી ભાજપ દ્વારા પ્રજાની સ્થિતિને ધ્યાને લેવામાં આવતી નથી. એટલે જ અમિત શાહે તાજેતરમાં જ જણાવ્યું હતું કે, CAA બિલના વિરોધમાં ભલે લાખો લોકો ઉમટતા હોય પરંતુ સરકાર પીછેહટ નહીં કરે.
સરકાર અહંકારમાં આવી ગઈ છે: જયરાજસિંહ
ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામા બાદ કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા. કોંગ્રેસના જયરાજસિંહ પરમારે કહ્યું કે વારંવાર જનમત મળવાથી સરકાર અહંકારમાં આવી ગઈ છે. આ તેનું પરિણામ છે.
ઈનામદારના રાજીનામાનો મતલબ શું?
જ્યારે 2018માં વડોદરાના ધારાસભ્યો નારાજ થયા ત્યારે ભાજપે શું કર્યું?
સરકારના સ્તરે જ્યારે સંકલન કરવાની હૈયાધારણ અપાઈ હતી તેનું શું?
શું સત્તા મળ્યા પછી પ્રજાના કામો માટે પક્ષો સરકારથી દબાઈ જાય છે?
ધારાસભ્યો પોતાની રજૂઆત લઈને જાય તો મંત્રીઓ ખખડાવે છે?
શું સરકારના અધિકારીઓ ધારાસભ્યોની રજૂઆતોને કાને જ નથી ધરતા?
મતવિસ્તારના કામો માટે ધારાસભ્યોની સરળતાવાળી કોઈ વ્યવસ્થા ગોઠવાઈ નથી?
શું દરેક વખતે ધારાસભ્યો પણ ખોટી શંકાઓથી સરકાર ગ્રસ્ત છે?
કે ભાજપ પક્ષને આંખ લાલ કરીને સરકારને કહેવાની શક્તિ અક્ષીણ થઈ ગઈ છે?
સામાન્ય લોકોના પ્રતિનિધિઓની આ સ્થિતિ તો સામાન્ય લોકોની સ્થિતિ શું હશે?