વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે કેટલાક પ્રશ્નોને લઇને રાજીનામું આપી દેતા રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. કેતન ઇનામદાર સહિતના કેટલાક ધારાસભ્યો અસંતુષ્ટ હતા. ત્યારે આજે કેતન ઇનામદારે રાજીનામું ધરી દીધું છે. ત્યારે રાજીનામાં પત્ર કેટલાક સરકારના મંત્રી અને અધિકારીઓ પર આક્ષેપ બાદ વધુ કેટલાક ધારાસભ્યોની અવગણના થતી હોવાનું જણાવ્યું છે.
કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. તેમણે રાજીનામુ આપતો પત્ર વિધાનસભા અધ્યક્ષને મોકલી આપ્યો છે. સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા ધારાસભ્યના હોદ્દાનું માન જળવાતુ ન હોવાનું રાજીનામાના પત્રમાં લખ્યું છે. સાથે તેમના સાથી ધારાસભ્યો પણ નારાજ હોવાના સંકેત આપતા ભાજપ અને રાજકીયક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે.
જાણો કેતન ઇનામદારે શું લખ્યું પત્રમાં...
રાજીનામા પત્રમાં કેતન ઇનામદારે લખ્યું કે, હું સાવલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરૂં છું. મારા મત વિસ્તારના લોકોની કેટલીક મુખ્ય માંગણી/રજૂઆતો સંદર્ભે સરકારશ્રી અને વહિવટીતંત્રના સંકલનના અભાવે ઉદાસીનતાના કારણે સરકારશ્રીના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપતા નથી.'
વધુમાં તેમણે લખ્યું કે, પ્રજાના પ્રતિનિધિ તરીકે અમારા ધારાસભ્ય પદની ગરીમા અને સન્માન ન જળવાતા હોવાથી મંત્રીશ્રીઓ અને સરકારશ્રી દ્વારા ઉચ્ચ અધિકારીઓના દરેક તબક્કે માન-સન્માન જાળવવાના ભોગે પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્ય પદ અને હોદ્દાની અવગણના કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીની શિસ્ત અને સિદ્ધાંતોને વળગી રહીને અત્યાર સુધી પ્રજાલક્ષી કામો કરતો આવ્યો છું.
મારી અને મારા સાથી ધારાસભ્યોની અવગણનાઃ કેતન ઇનામદાર
વધુમાં તેમના સાથીઓ પણ નારાજ હોવાનું જણાવતા પત્રમાં લખ્યું કે, 'પ્રજાના સેવક તરીકે અમુક બાબતોમાં સરકારશ્રીને વારંવાર રજુઆતો કરવા છતા મંત્રીશ્રીઓ અને સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ ધારાસભ્ય તરીકે મારી તથા મારા સાથી ધારાસભ્યોની અવગણના કરે તે દુઃખદ બાબત છે. મારા સાથી ધારાસભ્યોની લાગણીઓ બહાર લાવવા તથા મારી અવગણતા એ મારા મતક્ષેત્ર પ્રજાજનોના હિતોની અવગણના છે. મારા પ્રજાજનોના હિતો માટે અત્યાર આ પરિસ્થિતિ નિર્માણ થઇ છે. મારા ભારે હ્રદયે પક્ષની તમામ શિસ્ત અને વિચારધારાને આજદીન સુધી નિભાવેલ છે. અને ના છુટકે હું કેતનકુમાર મહેન્દ્રભાઇ ઇનામદાર, 135-સાવલી વિધાનસભા ધારાસભ્ય પદ પરથી પ્રજાના હિતમાં રાજીનામું આપું છું.
મેં પક્ષના હિતમાં કામ કર્યું, રાજીનામું MLA પદ પરથી આપ્યું પાર્ટીમાંથી નહીંઃ કેતન ઇનામદાર
કેતન ઇનામદારે રાજીનામાં અંગે વાત કરતા જણાવ્યું હતું કે, મેં તમામ વાત મારા રાજીનામાં પત્રમાં લખી છે. અગાઉ પણ 12 મહિના પહેલા પણ આ વાત કરી હતી. સરકાર અને પાર્ટીમાં વાત કરી હતી. હું તમામ કાર્યમાં અગ્રેસર રહેતો હતો. મારી ઇચ્છા હતા કે મારો તાલુકો બધાથી અલગ બને. વારંવાર રજૂઆત છતાં પણ તેને ગંભીરતાથી ન લેવાયું. મારા આગામી દિવસનો નિર્ણય પ્રજા કરશે. પ્રજાહિતની અવગણના ન થવી જોઈએ. જો રાજીનામાંનો અસ્વીકાર થશે તો તે અંગે મારી પ્રજા નિર્ણય લશે. મેં ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું પાર્ટીમાંથી નથી આપ્યું. મારી પાર્ટીના હિતમાં, પાર્ટી અને સરકાર બરબાદ ન થાય તે માટે અવાજ ઉઠાવ્યો છે.
સાવલીના વધુ કેટલાક નેતાઓ છે નારાજ...
મહત્વનું છે કે, સાવલીના ધારાસભ્યના રાજીનામા બાદ સાવલી ન.પાના તમામ સભ્યો પદેથી રાજીનામું આપશે તેવા સમાચાર મળી રહ્યા છે. સાથે સાવલીના તાલુકા ભાજપ પ્રમુખે પણ રાજીનામું આપ્યું છે.
ઈનામદારના રાજીનામાનો મતલબ શું?
જ્યારે 2018માં વડોદરાના ધારાસભ્યો નારાજ થયા ત્યારે ભાજપે શું કર્યું?
સરકારના સ્તરે જ્યારે સંકલન કરવાની હૈયાધારણ અપાઈ હતી તેનું શું?
શું સત્તા મળ્યા પછી પ્રજાના કામો માટે પક્ષો સરકારથી દબાઈ જાય છે?
ધારાસભ્યો પોતાની રજૂઆત લઈને જાય તો મંત્રીઓ ખખડાવે છે?
શું સરકારના અધિકારીઓ ધારાસભ્યોની રજૂઆતોને કાને જ નથી ધરતા?
મતવિસ્તારના કામો માટે ધારાસભ્યોની સરળતાવાળી કોઈ વ્યવસ્થા ગોઠવાઈ નથી?
શું દરેક વખતે ધારાસભ્યો પણ ખોટી શંકાઓથી સરકાર ગ્રસ્ત છે?
કે ભાજપ પક્ષને આંખ લાલ કરીને સરકારને કહેવાની શક્તિ અક્ષીણ થઈ ગઈ છે?
સામાન્ય લોકોના પ્રતિનિધિઓની આ સ્થિતિ તો સામાન્ય લોકોની સ્થિતિ શું હશે?