વડોદરાના સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદારે ગુજરાત સરકારે ખેડૂતોને જાહેર કરેલા આર્થિક પેકેજ મુદ્દે નારાજ થયા છે. ઇનામદારે કહ્યું કે, જાહેરાતમાં અમારા વિસ્તારનો સમાવેશ નથી કરાયો. મહત્વનું છે કે, કેતન ઇનામદાર અગાઉ પણ અનેક વખત રાજીનામું આપવા સુધી નારાજ થઇ ચૂક્યા છે. ત્યારે હવે ફરી ભાજપ સરકાર સામે ભાજપ ધારાસભ્યની નારાજગી સામે આવી છે.
વિધાનસભા સત્ર દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ખેડૂતોને પાક નુકસાનની સહાય કરી છે. ભારે વરસાદના કારણે આ વર્ષે અનેક ખેડૂતોના પાકને નુકસાન થયું છે અને તેને લઈને સતત સર્વે કરીને સહાય કરવાની માગ ઉઠી હતી. ત્યારે સરકારે 3700 કરોડની સહાયની જાહેરાત કરી છે. જેમાં 20 જિલ્લામાં 123 તાલુકાના ખેડૂતો હાલ આ લાભ આપવામાં આવશે. ત્યારે જાહેરાતને લઇને ભાજપના MLA કેતન ઇનામદારે નારાજગી વ્યક્ત કરી છે. ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે કહ્યું કે, આ જાહેરાતમાં અમારા વિસ્તારનો સમાવેશ નથી કરાયો. તેથી આ સહાયનો લાભ વડોદરા, ડભોઈ સહિતના મધ્યગુજરાતનો સમાવેશ થવો જોઇએ તેવી અમે 5 ધારાસભ્યોએ માગ કરી છે. અમારા વિસ્તારના ખેડૂતોને પણ સરકારી સહાય મળવી જોઇએ. જોકે મુખ્યમંત્રીએ અમને હૈયાધારણા આપી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે કેટલાક મહિનાઓ અગાઉ પણ ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપી દીધું હોય તેવી અટકળો જોવા મળી હતી. પોતાના વિસ્તારના વિકાસ માટે વહિવટી તંત્રના સંકલનના અભાવે સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ધ્યાન ન આપતા હોવાનું તેમણે જણાવ્યું હતું. આ દરમિયાન પણ તેમની નારાજગી સામે આવી હતી.