પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા દુર્ધટનામાં બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા, પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા લોકોને બચાવવા પોતે નદીમાં ઉતર્યા
મોરબી ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાને કારણે રાજ્યભરમાં શોક
શર્ટ-ટીશર્ટ બાંધી 150 લોકોને જીવતા બચાવ્યા
દુર્ઘટનામાં 'તારણહાર' બનનાર કાંતિ અમૃતિયા કોણ છે ?
મોરબીમાં મોડી સાંજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાને કારણે રાજ્યભરમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. આ દુર્ઘટનામાં 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જેમાં અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 140થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. એવામાં મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા મોરબી દુર્ધટનામાં બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા લોકોને બચાવવા પોતે નદીમાં ઉતર્યા હતા.
મોરબીમાં બનેલી ઘટનાને લઈ શોકના માહોલ વચ્ચે હજી પણ બચાવકાર્ય ચાલુ છે. આ દુર્ઘટના બાદ પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ખુદ નદીમાં કૂદી બચાવકાર્ય શરૂ કર્યું છે. પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ એક વીડિયો જાહેર કરી જણાવ્યું હતું કે, લાઈટીંગનું કીધું છે લાઈટિંગ તાત્કાલીક કરે. કલેક્ટરે સૂચના આપી એ પ્રમાણે કરો અને 60 બોડી કાઢી છે અને અધિકારીઓને આહવાન કરતા કહ્યું હતું કે અધિકારીઓ ટ્યુબ લઈને જલદી આવો.
કોણ છે પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા ?
પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ શિવલાલ અમૃતિયાનો જન્મ 8 માર્ચ 1962ના રોજ મોરબી જિલ્લાના જેતપરમાં પટેલ સમુદાયના પરિવારમાં થયો હતો. મોરબીમાં પૂર દરમિયાન 1970ના દાયકામાં એક નાના છોકરા તરીકે પણ તેમણે પીડિતોના પુનર્વસન માટે સેવા આપી હતી. તેમણે મોરબીની વીસી ટેકનિકલ હાઈસ્કૂલમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. એક યુવાન તરીકે તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, એક વિદ્યાર્થી સંગઠનમાં જોડાયા અને નવનિર્માણ ચળવળમાં સામેલ થયા હતા. સંસ્થામાં પૂર્ણ-સમયના સભ્ય તરીકે કામ કર્યા પછી, તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
કાંતિ અમૃતિયાનો રાજકીય ઇતિહાસ
મહત્વનુ છે કે, કાંતિ અમૃતિયાએ તેમના સામાજિક જીવનના પ્રારંભિક વર્ષો દરમિયાન આરએસએસમાં સ્વયંસેવક હતા. તેમણે સ્થાનિક સ્તરે પક્ષના કાર્યકરોને ઉત્સાહિત કરવાનું પડકારજનક કાર્ય હાથ ધર્યું હતું. પ્રારંભિક સમયગાળામાં તેમણે મોરબીની નગરપાલિકા અને તાલુકા પંચાયતના સભ્ય તરીકે શરૂઆત કરી હતી.
મોરબીમાં પાંચ વખત પ્રતિનિધિત્વ કર્યું
કાંતિભાઈ પ્રથમ વખત 1995માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારથી 2013 સુધી તેઓ ધારાસભ્ય તરીકે મોરબીના મતવિસ્તારમાં સેવા આપી હતી. ડિસેમ્બર 2012માં ગુજરાત રાજ્યની ચૂંટણીમાં કાનાભાઈ 5મી વખત ચૂંટાયા હતા. તેમણે મોરબી મત વિસ્તારનું પાંચ વખત પ્રતિનિધિત્વ કર્યું હતું. મોરબી અને આસપાસના લોકો તેમને કાનાભાઈના નામથી જાણીતા છે. તેમણે ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રે કામ કર્યું છે. મહત્વનું છે કે, 30 ઓગસ્ટ 2015ના રોજ મોરબી સિરામિક ફેડરેશનના મુખ્યમથકને પાટીદાર ટોળા દ્વારા આગ લગાવ્યાના 5 દિવસ બાદ કાંતિ અમૃતિયાએ તેમના નેતા તરીકે રાજીનામું આપ્યું હતું. અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલની ધરપકડ બાદ ફાટી નીકળેલી હિંસા દરમિયાન તેમની ઓફિસને સળગાવી દેવામાં આવી હતી.
આ સાથે પ્રકાશ રવેશિયા ચકચારી મર્ડર કેસમાં કાંતિ અમૃતિયાને નિર્દોષ જાહેર કર્યા હતા. 16 સપ્ટેમ્બર 1999ના રોજ ચાર વ્યક્તિએ મોરબીમાં સરાજાહેર પ્રકાશ રવેશિયાની તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા મારી હત્યા કરી હતી. આ ઘટનાનો કેસ ગોંડલ કોર્ટમાં ચાલ્યો હતો અને 10 નજરે જોનાર સાક્ષી અને 170 બીજા સાક્ષીઓ કોર્ટમાં ફરી ગયા હતા. ત્યારબાદ 2004માં ગોંડલ કોર્ટે કાંતિ અમૃતિયા સહિત સાત જણાને આજીવન કેદની સજા કરી હતી. ત્યારબાદ કાંતિ અમૃતિયાએ હાઈકોર્ટમાં અપીલ કરી અને 26 ઓક્ટોબર 2007ના રોજ હાઈકોર્ટે કાંતિ અમૃતિયાને નિર્દોષ જાહેર કર્યા હતા. તો વળી 2009ની લોકસભા ચૂંટણીમાં પ્રચાર વખતે મોરબીના તત્કાલીન ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને તત્કાલીન અંજાર અને ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય સામે મતદારોને લોભામણી જાહેરાત આપવા અંગે નોંધાયેલી આચારસંહિતા ભંગની ફરિયાદમાં મોરબી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે ત્રણેયને એક વર્ષની કેદની સજા ફટકારી હતી. તથા રૂપિયા બે હજારનો દંડ ફટકાર્યો હતો.
મહત્વનું છે કે, હાલમાં જ સેન્સ પ્રક્રિયામાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ આવી પહોંચ્યા હતા અને તેઓએ પોતાની દાવેદારી રજુ કરી હતી. જ્યાં તેમણે જણાવ્યું હતું કે સેન્સ આપવી રૂટીન પ્રક્રિયા છે તેઓ 30 વર્ષથી કરતા આવ્યા છે. જે લોકોને બોલાવ્યા તેમાં કોણ સક્રિય છે, કોણ પ્રજાના દિલમાં છે તે જોવાતું હોય છે. અહીં રીપોર્ટિંગ થાય તે પ્રદેશમાં અને ત્યાંથી કેન્દ્રમાં જતું હોય છે. તો અંતમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ હાર્યા પછી પણ સક્રિય છે અને મતદારોને ભૂલ થઇ હોવાનો અહેસાસ થઇ રહ્યો છે તેમ જણાવ્યું હતું.
અત્યાર સુધીના તમામ અપડેટ:
- મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જતાં દુર્ઘટના: અત્યાર સુધીમાં 141 લોકોના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ
- ઘટનાની જાણ થયા બાદ PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે જ્યારે ગૃહમંત્રી અમિત શાહે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કરી વાતચીત
- CM ભૂપેન્દ્ર પટેલ તમામ કાર્યક્રમો રદ્દ કરી મોરબી પહોંચ્યા, આખી રાત રેસ્ક્યૂ કામોને લઈ કર્યા પ્રયાસ
- આખી રાત સેનાની ટુકડીઓ, NDRF-SDRF ની મદદથી કરવામાં આવ્યું રેસ્ક્યૂ ઓપરેશન
- મૃતકોના પરિજનો માટે કેન્દ્ર સરકારે 2 લાખ અને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયાના વળતરની કરી જાહેરાત
- તંત્રએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર: 02822 243300
- મુખ્યમંત્રીએ 5 સભ્યોની હાઈપાવર કમિટીનું કર્યું ગઠન, રાત્રે 2 વાગ્યાથી જ તપાસનો ધમધમાટ શરૂ
- દુર્ઘટનાને ધ્યાને રાખી PM મોદીએ રોડ શો તથા સ્નેહમિલનના કાર્યક્રમ કર્યા રદ્દ
- ગુજરાતભરમાં અનેક સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યા
- જવાબદારો સામે કલમ 304,308,114 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો