મહેસાણાઃ સાવરકુંડલા તાલુકાના કાના તળાવ ગામના સરપંચ અનિલ રાદડિયાનું અપહરણ કરવામાં આવ્યુ હતું. દિવસ પહલા અમદાવાદના એસ.જી.રોડ ઉપરથી ચાર શખ્સોએ અપહરણ કર્યું હતું. અનિલ રાદડિયાનું અપહરણ કરીને મહેસાણા-અમદાવાદ હાઈ-વે ઉપર આવેલી યોગેશ્વર હોટલમાં બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા. જોકે મહેસાણા પોલીસના પી.એસ.આઈ એમ.બી.રાજગોરને સરપંચનું અપહરણ કરીને હોટલમાં રાખવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ રાત્રે છાપો મારવામાં આવ્યો હતો.
પોલીસે બે દિવસથી બંધક બનાવેલા સરપંચ અનિલ રાદડિયાને હેમખેમ છોડાવી લીધા. મહેસાણા પોલીસે સરપંચ અનિલ રાદડિયાની ફરિયાદને પગલે ચાર અપહરણ કાર સામે ગુનો દાખલ કર્યો છે. સરપંચ અનિલ રાદડિયા સુરત ખાતે હીરાની દલાલી કરે છે. આ દલાલી દરમિયાન સરપંચ અનિલે રૂપિયા સવા કરોડના હીરાનો સોદો કર્યો હતો. તે મામલે માથાકૂટ થઇ હતી. સરપંચનું અપહરણ કરનાર ચાર ઈસમો પાસેથી મહેસાણા પોલીસે દેશી બનાવટની પિસ્તોલ અને ત્રણ છરા તેમજ અપહરણ કરવામાં વપરાયેલી નંબર વગરની મારુતિ સ્વિફ્ટ ગાડી પણ કબજે કરેલી છે.
છેલ્લા બે દિવસથી સરપંચને ઢોર માર મારવામાં આવ્યો છે. મહેસાણા પોલીસ સમયસર ન પહોંચી હોત તો સરપંચના જાનનું જોખમ પણ હોવાની વાત ખુદ સરપંચે કબૂલી છે. ત્યારે મહેસાણા પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં સરપંચને છોડાવીને પ્રસંશનીય કામગીરી કરી છે.