ગુજરાતમાં કોરોના કાળમાં રાજકીય ઉથલપાથલ પણ શરૂ ગઈ છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના 3 ધારાસભ્યો રાજીનામા ધરી ચૂક્યા છે. ત્યારે વધુ ધારાસભ્યો ના તૂટે તે માટે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને રિસોર્ટ અને હોટલમાં રાખી રહી છે. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ શિફ્ટ કરી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રના 16 ધારાસભ્યોને વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢમાં લઈ જવામાં આવ્યા હતા. ગત શનિવારે રાજકોટના નીલસિટી ક્લબમાં આ તમામ ધારાસભ્યોને રખાયા હતા. બાદમાં ગઇકાલે ગઢડા અને ત્યારબાદ રાજુલા લવાયા હતા. ત્યારબાદ આજે ધારી લઇ જવાયા હતા. ત્યારે હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે હવે આ તમામ ધારાસભ્યોને ફરી રાજકોટ લઇ જવાયા છે. તો બીજી તરફ ભાજપ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા હતા કે, કોગ્રેસને જ ખ્યાલ નથી કે ધારાસભ્યોને ક્યા લઇ જવા.
વિપક્ષ નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં તમામ ધારાસભ્યોને ધારી લવાયા હતા
ખાંભા અને ધારી બેઠક બાદ ધારાસભ્યોને ફરી રાજકોટ લઇ જવાયા
કાલે મોરબી બળવાખોર સભ્યોના વિસ્તારમાં કોંગ્રેસ કરશે વિરોધ પ્રદર્શન
કોંગ્રેસના 16 ધારાસભ્યોને ગઇકાલે રાજુલામાં દર્શન હોટલમાં રખાયા હતા. આ હોટલમાં તમામે રાત્રી રોકાણ કર્યુ હતું. બાદમાં ધારીના દલખાણીયા રોડપર જિલ્લા પંચાયતના સદસ્યના ફાર્મ હાઉસમાં કાર્યકરો સાથે ચર્ચા કરાઇ હતી. જ્યાં રાજ્યસભાની ચૂંટણીને લઇને રણનીતિ તૈયાર કરાઇ હતી. અહીં હાર્દિક પટેલ અને અર્જુન મોઢવાડિયા પણ હાજર રહ્યા હતા. અહીં ફાર્મ હાઉસમાં ધારાસભ્યોએ કેરીની લિજ્જત માણી હતી. ત્યાંથી તમામ ધારાસભ્યોને હવે ફરી રાજકોટ લવાયા છે. આવતીકાલે આ તમામ સભ્યો મોરબી જશે જ્યાં કોંગ્રેસના રાજીનામું આપનાર બળવાખોર ધારાસભ્ય બ્રિજેશ મેરજાના વિરોધમાં પ્રદર્શન કરશે.
બળવાખોર ધારાસભ્યો સામે કોંગ્રેસની નવી રણનીતિ
થોડા દિવસ અગાઉ કોંગ્રેસના 3 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા હતા. ત્યારે હવે વધુ ધારાસભ્યોના તૂટે તે માટે રિસોર્ટમાં રાખી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા નવી રણનીતિ ઘડી છે. કોંગ્રેસ બળવાખોર ધારાસભ્યો સામે તેના મત વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરશે. બ્રિજેશ મેરજાના મત વિસ્તારમાં લોકો સાથે દ્રોહ કર્યાની વાત કોંગ્રેસના ધારાસભ્યો રજૂ કરશે. ત્યારબાદ સોમા પટેલના મત વિસ્તારમાં પણ જશે ધારાસભ્યો
આ MLAને ફરી રાજકોટ લઇ જવાયા
પરેશ ધાનાણી, નેતા વિપક્ષ
ભીખાભાઇ જોશી, ધારાસભ્ય, જૂનાગઢ
મોહમદ જાવેદ પીરજાદા, ધારાસભ્ય, વાંકાનેર
પ્રતાપ દુધાત, ધારાસભ્ય, સાવરકુંડલા
લલિત કગથરા, ધારાસભ્ય, ટંકારા
લલિત વસોયા,ધારાસભ્ય, ધોરાજી
વિરજી ઠુમમર,ધારાસભ્ય, લાઠી
ચિરાગ કાલરીયા,ધારાસભ્ય, જામજોધપુર
વિક્રમ માડમ, ધારાસભ્ય, જામ ખંભાળિયા
બાબુભાઈ વાજા, ધારાસભ્ય, માંગરોળ
ભગવાનભાઈ બારડ, ધારાસભ્ય,તાલાળા
મોહનભાઈ વાળા, ધારાસભ્ય,કોડીનાર
વિમલભાઇ ચુડાસમાં, વેરાવળ
અમરીશ ડેર, ધારાસભ્ય, રાજુલા
હર્ષદભાઈ રીબડિયા, વિસાવદર
કનુભાઈ બારૈયા, ધારાસભ્ય, તળાજા
કોગ્રેસને જ ખ્યાલ નથી કે ધારાસભ્યોને ક્યા લઇ જવાઃ ભાજપ
કોંગ્રેસના ધારાસભ્યો-આક્ષેપ મુદ્દે ગઇકાલે ભરત પંડ્યાનું નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ પોતાના ધારાસભ્યો મુદ્દે ખુદ અસમંજસમાં છે. કોગ્રેસને જ ખ્યાલ નથી કે ધારાસભ્યોને ક્યા લઇ જવા. કોંગ્રેસમાં અંદરોઅંદર જ કકળાટ- અસંતોષ છે. પોતાના ધારાસભ્યોને મીડિયા-જનતાથી બચાવી રહી છે. ઘટનાક્રમના સમાચારને ડાયવર્ટ કરવા ભાજપ પર આક્ષેપ કરી રહી છે. કોંગ્રેસ ભાજપ પર MLA ખરીદવાના આક્ષેપો કરી રહી છે. કોંગ્રેસ ખુદ કહી રહી છે કે અમે ભાજપના MLA સાથે સંપર્કમાં છે. કોંગ્રેસ પાર્ટી વિદેશી નેતૃત્વના વેન્ટિલેટર પર છે. કોંગ્રેસનું તુટવુ, વિખેરાવુ અને હારવુ નિશ્ચિત છે.
કોંગ્રેસના 10 ધારાસભ્યોને વલસાડમાં લઈ જવાયા
કોંગ્રેસના 10 ધારાસભ્યોને વલસાડમાં લઈ જવામાં આવ્યા છે. હાઈકમાન્ડ દ્વારા તમામ ધારાસભ્યોને આજે ટ્રાયબલ બેલ્ટમાં મોકલવામાં આવશે. 10 ધારાસભ્યો આજે કપરાડા અને ડાંગનો પ્રવાસ કરશે. જેઓ કોંગ્રેસના કાર્યકરોનું મનોબળ મજબૂત કરાશે.
ક્યા ધારાસભ્યો વલસાડમાં?
ધારાસભ્ય અનંત પટેલ, વાંસદા
ધારાસભ્ય આનંદ ચૌધરી, માંડવી
ધારાસભ્ય પુધારાસભ્યજી ગામીત, વ્યારા
ધારાસભ્ય પી.ડી ગામિત, રાજપીપળા
ધારાસભ્ય ચંદ્રિકાબેન બારૈયા, ગરબાડા
ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, છોટાઉદેપુર
ધારાસભ્ય સુખરામ રાઠવા, પાવી જેતપુર
ધારાસભ્ય ભાવેશ ખટાણા, ઝાલોદ
ધારાસભ્ય સુનિલ ગામિત, નિઝર
ધારાસભ્ય વજેસિંહ પણદા, દાહોદ
કોંગ્રેસના 20થી વધારે ધારાસભ્યોને રાજસ્થાનના વાઈલ્ડ વિન્ડ રિસોર્ટમાં રખાયા
આપને જણાવી દઈએ કે, રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બચાવવાની કવાયત કરી રહ્યું છે. જેના ભાગરૂપે હાલ ગુજરાતના 20થી વધારે ધારાસભ્ય રાજસ્થાનના વાઈલ્ડ વિન્ડ રિસોર્ટમાં છે.
ગુજરાતના ધારાસભ્ય રાજસ્થાનમા જતાં અટકાવાયા હતા
ગઇકાલથી રાજસ્થાનમાં કોરોનાના કેસ વધતા રાજસ્થાનની બોર્ડર સીલ કરવામાં આવી છે. જેને લઈને ગઇકાલે ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યને રાજસ્થાનમાં જતા અટકાવાયા હતા. ધારાસભ્યને રાજસ્થાનના વાઇલ્ડ વિન્ડ રિસોર્ટ પર જતા અટકાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યને પોલીસે આબુ પાસે અટકાવ્યા હતા. આથી તેઓ આબુ બોર્ડરથી જ પરત ફર્યા હતા.
હવે વધુ ધારાસભ્યોને રાજસ્થાન નહીં લઇ જવાય
ગુજરાતમાંથી કેટલાક ધારાસભ્યને રાજસ્થાન લઇ જવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. પરંતુ હવે ગુજરાતના ધારાસભ્યને રાજસ્થાન નહીં લઇ જવાય. ગુજરાતમાં રહેલા ધારાસભ્યને ગુજરાતમાં જ રખાશે. દક્ષિણ ગુજરાતના ધારાસભ્યને વલસાડમાં રાખવામાં આવશે. સૌરાષ્ટ્રના ધારાસભ્યને રાજકોટમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ હાલ તો સૌરાષ્ટ્રના આ તમામ 16 ધારાસભ્યોને રાજુલા ધાનાણીના ગઢમાં લવાયા છે.