રંગીલા રાજકોટના મશહૂર આઝાદી કા અમૃત લોકમેળાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રેસકોર્સ મેદાનના આંગણે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે 1 કલાક સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો ઉજવાયા હતા. ત્યારબાદ મેળાના પ્રારંભની સાથે જ લોકમેળો માણવા લોકો ઉમટવા લાગ્યા હતાં. આ દરમિયાન રાજકોટના કલેકટરએ જણાવ્યું હતું કે કોરોનાના સંભવિત ખતરાને લઈને લોકો વેકસીનના બે ડોઝ સાથે જ મેળાની મોજ માણવા આવે તેવો અનુરોધ કર્યો હતો. લોકમેળામાં ખાસ કરીને સાતમ - આઠમનાં લાખો લોકો ઉમટી પડશે. જેથી ધંધાર્થીઑને પણ સારા વેપારની સોનેરી આશા જન્મી છે.
રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરના લોકો જેની આતુરતા પૂર્વક રાહ જોતાં હતા તે આઝાદી કા અમૃત લોકમેળાનો આજે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ગુજરાતની ભાતીગળ સાંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દરરોજ મેળામાં રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ દરમિયાન કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે મેળામાથી જે આવક થઇ છે તેમાંથી 51,11,111 રૂપિયાનો ચેક મુખ્યમંત્રી રાહતનિધિમાં અર્પણ કરવામાં આવ્યો હતો.
કોરોનાને લઇને વર્ષથી મેળો બંધ હતો
સૌરાષ્ટ્રના સૌથી મોટા લોક મેળામાં ગુજરાતના અન્ય પ્રાંતો સહિત સૌરાષ્ટ્રના ખૂણે ખૂણેથી 10 લાખ ઉપરાંત લોકો મેળાની મોજ માણતા હોય છે. પરંતુ છેલ્લાં બે વર્ષથી કોરોનાએ કેડો ન છોડતા લોકમેળાના આયોજન પણ બંધ રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ હાલમાં કોરોના કેસોમાં રાહત હોવાથી મેળાનું આયોજન કરાયું છે. જે 21 ઓગસ્ટ સુધી ચાલશે. મેળાના ઉદઘાટ અવસરે મંત્રી જીતુ વઘાણી, રાઘવજી પટેલ, અરવીંદ રૈયાણી ,બ્રિજેશ મેરજા સહીત રાજકોટના મેયર ઉપરાંત મોટી સંખ્યામાં અગ્રણીઓ હાજર રહ્યા હતા.