લોકશાહીના સૌથી મોટા પર્વ લોકસભાની ચૂંટણીમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું. ગુજરાતની 26 બેઠક પર ઉમેદવારોના ભવિષ્ય EVMમાં કેદ થઈ ગયા. હવે આ EVM 23મે ઉમેદવારોના ભવિષ્યનો ચુકાદો આપશે.
ત્યારે આ લોકસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર કોની પડખે રહ્યું તે તો કહી ના શકાય. પરંતુ 2014માં સૌરાષ્ટ્રએ ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા હતા. જો કે 2017ની વિધાનસભામાં મોટી ધોબી પછડાટ આપી હતી.
સૌરાષ્ટ્રની 5 લોકસભા બેઠક પર ભાજપ માટે ખતરો
ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાંથી ભાજપને મોટો ફટકો પડ્યો હતો. આ ફટકાને કારણે જ ભાજપે માત્ર 99 બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. તો 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ બેઠક કબજે કરી હતી. સૌરાષ્ટ્ર નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે હંમેશા ભાજપની પડખે રહ્યું હતું. મોદી પહેલા કેશુભાઈ પટેલના સમયે પણ સૌરાષ્ટ્ર ભાજપનું ગઢ હતું. પરંતુ ખેડૂતોના પ્રશ્નો તથા પાટીદાર આંદોલનને કારણે 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઘણુ બધુ ગુમાવવાનો વારો આવ્યો હતો. 2017માં સૌરાષ્ટ્રમાં 7 જિલ્લાની 21 બેઠકમાંથી એકપણ બેઠક ભાજપના ખાતામાં આવી ન હતી. હાલ સૌરાષ્ટ્રના 42 ધારાસભ્યોમાંથી 28 કોંગ્રેસ પાસે છે. જ્યારે ભાજપ પાસે માત્ર 14 ધારાસભ્ય જ છે. વિધાનસભા બેઠકના ગણિતને આધારે સમજીએ તો સૌરાષ્ટ્રમાં લોકસભાની 13 બેઠક પર કોંગ્રેસી ધારાસભ્યનું વર્ચસ્વ છે. એક રીતે કહીએ તો સૌરાષ્ટ્રમાં હાલ કોંગ્રેસનો દબદબો છે. હાલ સ્થિતિને જોઈએ તો સૌરાષ્ટ્રની 5 લોકસભા બેઠક પર ભાજપ માટે ખતરો છે.
ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડી ભાજપમાં સામેલ કર્યા
સૌરાષ્ટ્રમાં ભાજપે 2017ની ધોબી પછડાટ ખાધા બાદ આ વખતે ભાજપે એકદમ સમજદારીથી ચોગઠા ગોઠવ્યા હતા. ફરી 2014 જેવો પવન ફૂંકાય તે માટે ભાજપ જ્ઞાતિગત સમિકરણો સાધવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમાં કેટલી સફળતા મળી તેઓ 23મેએ જ ખબર પડશે. પરંતુ ભાજપે જ્ઞાતિગત સમિકરણો સાધવામાં કોઈ કસર ન છોડી. ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડી ભાજપમાં સામેલ કર્યા. આજ કોંગ્રેસના ધારાસભ્યોના સહારે ભાજપ લોકસભા ચૂંટણીમાં સફળતા મેળવવાનો પ્રયાસ કર્યો. ભાજપે માણાવદરના કોંગ્રેસી ધારાસભ્ય જવાહર ચાવડાને ભાજપમાં સામેલ કરી લીધા અને કેબિનેટ મંત્રી પણ બનાવી લીધા. જવાહર ચાવડાને ભાજપમાં લાવી ભાજપે આહિર મતોને અંકે કરવાનો પ્રયાસ કર્યો. તો આ પહેલા કોળી મતો કબજે કરવા કુંવરજી બાવળિયાને મંત્રી બનાવી દીધા. તો વલ્લભ ધારવિયાને પણ કોંગ્રેસમાંથી તોડી ભાજપે જામનગરમાં સથવારા સમાજના મોટા મતો લગભગ પોતાની તરફે કરી લીધા. સાથે સુરેન્દ્રનગર પટ્ટાના કોળી મતો પોતાની બાજુ કરવા પરસોત્તમ સાબરિયાને કોંગ્રેસમાંથી રાજીનામું અપાવી ભાજપમાં લાવી દીધા. આમ ભાજપે કોંગ્રેસને ઘેરવા માટે ચારે બાજુથી ચક્રવ્યૂહ બનાવ્યું હતું.
તો જે ધારાસભ્ય ભાજપમાં આવવા તૈયાર ન થયા તેમના નામે અફવા ફેલાવીને પણ ભાજપે માહોલ બનાવ્યો. પ્રજાનો રોષ તે ધારાસભ્ય તરફી ફંટાય અને તેનું નુકસાન કોંગ્રેસને થાય તે પ્રકારની રણનીતિ પર ભાજપે કામ કર્યું. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને વેર વિખેર કરી ભાજપ લોકસભા જીતવા ચાલ ચાલી. જે 5 બેઠક પર ભાજપને ખતરો હતો તેને ટાળવાનો પ્રયાસ કર્યો.
કોંગ્રેસને અન્ય મુદ્દાઓમાં વ્યસ્ત રાખી ભાજપ વિકેટ ખેરવી
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ ન માત્ર વિધાનસભામાં પરંતુ સહકારી ક્ષેત્ર પણ ઘણુ મજબૂત છે. કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં સહકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સારી પકડ ધરાવે છે. સાથે ગ્રામ્ય વિસ્તારમાં તો પહેલાથી જ કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં હતી. સૌરાષ્ટ્રની 5 બેઠકો પર શહેરી મતદારો કરતા ગ્રામ્ય વિસ્તારમાં મતદારો વધુ હતા. આ ગ્રામ્ય મતો અંકે કરવા ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને તોડી ગામડાનો જનાધાર પોતાની તરફે કરવાનો પ્રયાસ કર્યો. ભાજપ પોતાના મજબૂત પ્લાનથી આગળ વધ્યું. જ્યારે કોંગ્રેસ ઉંગતી જોવા મળી. કોંગ્રેસને અન્ય મુદ્દાઓમાં વ્યસ્ત રાખી ભાજપ એક પછી એક વિકેટ ખેરવતું રહ્યું. જો કે આ પ્રકારનો ભાજપનો પ્લાન કેટલો સફળ થયો તે 23મે એ જ્યારે મત પેટીઓ ખુલશે ત્યારે જ ખબર પડશે. ભાજપ ફરી 2014 જેવી સફળતા મેળવી શકશે કે પછી 2017 જેવી ધોબી પછડાટ ખાશે.
જે સમાજ નારાજ છે તેમને રાજી કરવા માટે તેમના નેતાઓને ટિકિટ આપી
લોકસભા ચૂંટણીમાં ભાજપને એ ખબર હતી કે 2014ની માફક આ વખતે માત્ર મોદીના સહારે જીતી નહીં શકાય. માટે ભાજપ આ વખતે ફૂંકી ફૂંકીને ડગલા માંડ્યાં. ઉમેદવારની પસંદગી પર ખાસ જોર આપ્યું. સાથે જે સમાજ નારાજ છે તેમને રાજી કરવા માટે તેમના નેતાઓને ટિકિટ આપી અથવા તો અન્ય કોઈ હોદ્દા પર બેસાડી નારાજગી દૂર કરવાનો પ્રયાસ કર્યો. જો કે જોવુ રહ્યું કે આ નારાજગી કેટલી દૂર થઈ અને ભાજપને તેનો કેટલો ફાયદો થયો. બાકી ગુજરાતની જનતાએ તો આજે કચકચાવીને મતદાન કર્યું છે.