સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ વચ્ચે અનેક શહેરોમાં વરસાદનું આગમન થતાં ઠેર-ઠેર વરસાદના વધામણા કરવામાં આવ્યા હતા.
સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
પ્રથમ વરસાદમાં જ નદીઓ છલકાઈ
અન્નદાતાએ કર્યા વરસાદના વધામણા
ગુજરાતના આંગણે મોંઘેરા મહેમાન મેઘાએ દસ્તક દીધી હોય તેમ આજે અનેક શહેરોમાં વરસાદ પડયો હતો. જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટના અનેક વિસ્તારોમાં ધરતીના ધણીનું આગમન થયું હતું. કયાક છૂટો છવાયો તો ક્યાંય વાવણી લાયક વરસાદ થતાં ધરતીપુત્રોમાં હરખની હેલી જેવા મળી હતી. ભારે વરસાદ બાદ ધરતીપુત્રો ધોરી (બળદ) જોડીને વાવણી સહિતની કામગીરીમાં જોતરાયા હતા. ખેડૂતોએ સીઝનના પહેલા વરસાદને અંતરના ઉમળકાથી વધાવ્યો હતો.
દ્વારકા પંથકમાં મેઘરાજાની સટાસટી
હવામાન વિભાગની આગાહીને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા અને કલ્યાણપુર તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. આજે વહેલી સવારથી જ શરૂ થયેલા વરસાદે સટાસટી બોલાવતા ચારો તરફ પાણી જ પાણી થઈ ગયું હતું. ખંભાળિયાના ભાડથર,ગોલણ અને શેરડી અને આસપાસના વિસ્તારોમાં પ્રથમ વરસાદમાં જે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. આ સોના સમાન વરસાદને લઈને જગતના તાતને ટાઢક વળી હતી. એકસામટું પાણી વરસી પડતાં ખેતરો પાણીથી છલકાઈ ગયાં હતા. બીજી તરફ ગામની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદના પગલે નદી નાળાઓ છલકાઈ ગયાં હતા. અને પહેલા વરસાદમાં નદીઓમાં પુર આવતા ધરતીપુત્રોએ વધામણા કર્યાં હતા. વધુમાં જિલ્લાના ભોપાલકા, રાણ, લીંબડી, સલાયા, હરિપર, કૅબેર, વિશોત્રી, ભાતેલ, મીઠાપુર, દેવપરા અને પાડલી સહિતના વિસ્તારોમાં સારો વરસાદ પડયો છે.
જામનગર પંથકમાં પણ મેઘમહેર
વધુમાં જામનગર જિલ્લામાં પણ મેઘાએ મન મૂકીને હેત વરસાવ્યું હતું જેને પગલે સમગ્ર જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. તો ક્યાંક પ્રથમ વરસાદે જ આફત પણ વેરી હતી. જામનગર જિલ્લાના જામજોધપુરમાં વેપારી માટે વરસાદ નુકસાની રૂપ સાબિત થયો છે. કારણ કે, વરસાદની આગાહી હોવા છતાં જામજોધપુર માકેાટિંગ યાર્ડના સત્તાધીશોની બેદરકારીના કારણે હજારો મણ મંગફળી તણાઈ ગઈ છે. ખુલ્લામાં પડેલી મગફળી તણાતા વેપારીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા અને ચાલુ વરસાદે પાણીમાંથી તણાતી મગફળીને બચાવવા વેપારીઓ દોડતા જોવા મળ્યા હતા. હજૂ પણ આગામી સારા વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે..
રાજકોટ-જૂનાગઢમાં પણ મેઘાએ વ્હાલ વરસાવ્યું
આ ઉપરાંત રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત ત્રીજા દિવસે વરસાદ પડયો હતો જેના કારણે ખેતરો પાણીથી છલકાઈ ગયાં હતા. જ્યારે કેટલાક વિસ્તારોમાં નદીઓની જેમ પાણી વહેવા લાગ્યાં હતા. સતત ત્રીજા દિવસે સારા વરસાદના પગલે ખેડૂતોએ પણ વાવણીની તૈયારીઓ કરી લીધી છે.રાજકોટમાં આજે સતત ત્રીજા દિવસે મેઘરાજાએ મહેર કરી હતી. વાદળોની હડિયાપટ્ટી વચ્ચે બપોર બાદ સાંબેલાધાર વરસાદ ત્રાટક્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે ખબકેલા વરસાદને લઈને ઠેર-ઠેર પાણી ભરાયા હતા. બાળકો સહિત મોટેરાએ પ્રથમ વરસાદમાં નહાવાની મોજ મણી હતી. એટલું જ નહી પ્રથમ વરસાદે જ આભની અટારીએથી ઉપાધી વર્ષી હોય તેમ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને પરેશાની પણ ભોગવવાનો વારો આવ્યો હતો અને તંત્રની પ્રિ-મોન્સુનની કામગીરી એક ઝાટકે ઉઘાડી પડી હતી.
ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા
જ્યારે પડધરીનાં ખોડાપીપર, જીવાપર, વિભાણીયા, ખાખરા અને હડમતીયા, રાજકોટના કુચીયાદડ, બેટી, રામપરા, પારેવાળા, બામણબોર, નવાગામ અને જસદણ પંથકમાં વરસાદ પડતાં ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા હતા.
રાજયમાં હજુ પણ બે દિવસ વરસાદની આગાહી
બે દિવસ અગાઉ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે અમુક વિસ્તારોમાં નદી-નાળાઓમાં પૂર પણ આવ્યા હતા. ત્યારે ગત રવિવારથી આગામી પાંચ દિવસ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી જે સાચી ઠરી છે. હજુ પણ આગામી બે દિવસ એટલે કે, તા. 15 સુધી અમદાવાદ, સુરત, ખેડા, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી સહિતના પંથકમાં વરસાદ પડી શકે છે અમદાવાદ સહિત રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે.