સૌરાષ્ટ્રમાં ખૂનામરકી દિવસે ને દિવસે સતત વધી રહી છે. માત્ર નાની નાની વાતોમાં લોહી તરસ્યાં લોકો જીવ લેતા ખચકાતા નથી. ભાવનગરમાં છેલ્લાં 5 દિવસમાં 4 ખૂન થયાં છે. જાણે કે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઇ હોય તેમ છેલ્લાં 5 દિવસમાં દરરોજ 4 હત્યા થઈ છે. એક બિલ્ડીંગ કોંન્ટ્રાક્ટર તરીકે કામ કરનાર યુવકની શનિવારે હત્યા થઈ તો, સસરાની મદદ કરવા પહોંચેલા એક જમાઈનું પણ મર્ડર થઈ ગયું. તેવી જ રીતે પવિત્ર ધામ સિદસરમાં ભૂવાને પણ ગુનાખોરોએ ના છોડ્યાં. ભૂવાની પહેલાં તો લૂંટ થઈ અને ત્યાર બાદ તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં.
બીજી બાજુ ભાવનગર શહેરનાં સુભાષનગરમાં પણ એક બ્રાહ્મણ યુવકની ભાગવત સપ્તાહ દરમિયાન ગાડી પાર્ક કરવા જેવા નજીવા મુદ્દે હત્યા કરી દેવામાં આવી. ત્યારે આજે ફરી વાર શહેરનાં જ વિઠ્ઠલવાડી વિસ્તારમાં શનિવારે મોડી રાત્રીનાં એક યુવાનની તિક્ષ્ણ હથિયારોનાં ઘા ઝીંકીને હત્યા કરી દઇને શખ્સો બાદમાં પલાયન થઈ ગયા હતાં. જો કે બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
પ્રાથમિક વિગતો અનુસાર હત્યારાઓ વિઠ્ઠલવાડીનાં જ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. આ ઘટનાઓ પરથી તો એવું લાગી રહ્યું છે કે જાણે કે હત્યારાઓ લોકસભા ચૂંટણી પૂર્ણ થવાની જ રાહ જોઈને ના બેઠા હોય તેમ એક પછી એક હત્યાઓ થઈ રહી છે. જો કે પોલીસે સિદસર અને સુભાષનગરમાં થયેલી હત્યાનાં આરોપીઓને ઝડપી લીધાં છે.
તો આ તરફ સુરેન્દ્રનગરમાં સગા દીકરાએ જનેતાને ધારીયાનાં ઘા મારી હત્યા કરી નાખી. સુરેન્દ્નનગરમાં વ્યાજખોરોનો આતંક હજુ પણ બરકરાર છે. માત્ર 20 હજાર રૂપિયા માટે એક મુસ્લિમ યુવકની હત્યા થઈ. ગુનાખોરો રાત્રી અને દિવસે પોલીસ માટે પડકારજનક બની રહ્યાં છે. લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યાં છે અને એક તરફ કાયદાનું શાસન હોવાની વાતો થઈ રહી છે. આ બંને દ્રશ્યોમાં છેલ્લાં 5 દિવસમાં 7 લોકોનાં માત્ર બે જિલ્લાઓમાં મોત થયાં તે એક શરમજનક બાબત કહેવાય.