ભાજપે સૌરાષ્ટ્રમાં અનેક જૂના જોગીઑને ઘરે બેસાડી કોંગ્રેસમાંથી આવેલા ઉપરાંત સંઘ સાથે નાતો ધરાવતા યુવા ચહેરાને ટિકિટ ફાળવી છે. વધુમાં રાજકોટમાં ધુરંધરોનું લોબિંગ ચાલ્યું હવાનું પણ જણાઈ રહ્યું છે.
સૌરાષ્ટ્ર ભાજપમાં જૂના જોગીઓનો દબદબો ખતમ થયો
ભાજપે ઘણા જૂના ચહેરાઓને ઘરે બેસાડ્યા
રાજકોટની ચાર બેઠકો પર ધુરંધરોનું લોબિંગ ચાલ્યું
ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇને ભાજપે આજે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેમાં પહેલા તબક્કાના 83 જયારે બીજા તબક્કાના 77 ઉમેદવારોને ભાજપે ચુંટણી જંગમાં ઉતાર્યા છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે સૌરાષ્ટ્રમાં હવે જૂના જોગીઓનો દબદબો ખતમ થયો છે. સૌરાષ્ટ્રમાં ઘણા જૂના ચહેરાઓને ઘરે બેસાડી દેવાયા છે જેના સ્થાને સૌરાષ્ટ્રમાં ભાજપે નવી પ્રણાલી શરૂ કરવાનો પ્રયાસ કરી મોટાભાગના યુવા ઉમેદવારોને સ્થાન આપ્યું છે.
રાજકોટ શહેરની ચાર બેઠક સિનિયર નેતાની બાદબાકી
ભાજપ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી યાદી મુજબ મોરબી દુર્ઘટનામાં તાત્કાલિક લોકોની મદદે આવેલી કાંતિ અમૃતિયાને ટિકિટ પાવ અપવામાં આવી છે. વધુમા લાંબા સમયથી ચાલતી અટકળો સાચી ઠરી છે અને જામનગર ઉત્તર બેઠક ઉપર હકુભાને પડતા મુકી રિવાબા જાડેજાને ટિકિટ આપી દેવાઈ છે તો રાજકોટ શહેરની ચાર બેઠક સિનિયર નેતાની બાદબાકી કરી નવા ચહેરાને સ્થાન અપાયું છે.
સૌરાષ્ટ્રમાં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા નેતાને ટિકિટ આપી
બીજી બાજુ ભાજપે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાને ટિકિટ આપી છે. જેમાં કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, ભગવાન બારડને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. તે જ રીતે જૂનાગઢ, ભાવનગર, અમરેલીમાં પણ નવા ચહેરાઓ અને ખાસ સંઘ સાથે કનેકશન ધરાવતા ઉમેદવારોના જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાની કુલ 8 બેઠકમાંથી 7 બેઠકના ઉમેદવારોના નામ પર સત્તાવાર મહોર લગાવી દેવામાં આવી છે. જ્યારે ધોરાજી બેઠક ઉપર ઉમેદવાર કોણ તે અંગે અવઢવ જામી છે.
રાજકોટની ચાર બેઠકો પર ધુરંધરોનું લોબિંગ ચાલ્યું
વધુમાં રાજકોટ ચાર બેઠકોમાં ધુરધરોનું લો્બિંગ ચાલ્યું છે. તેઓની મહેનત રંગ લાવી હોય તેમ રાજકોટ પૂર્વ બેઠક પર ઉદય કાનગડ માટે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા અને રાજકોટના એક પૂર્વ ધારાસભ્યએ લો્બિંગ કર્યું હતું. જેને લઇને ઉદય કાનગડને ટિકિટ મળી છે, રાજકોટ પશ્ચિમ બેઠકમાં વિજય રૂપાણીનું આંતરિક લો્બિંગ ચાલ્યું
છે. આ પશ્ચિમ બેઠક પર જૈન સમાજના ઉમેદવાર ડો. દર્શિતા શાહને ટિકિટ મળી છે. ડો દર્શિતા શાહને સંધ અને એક્ટિવ પોલિટિક્સ તેમજ વિજય રૂપાણીનું આંતરિક લો્બિંગ ટિકિટ માટે ચાલ્યું છે. ઉપરાંત ખોડલધામના ચેરમેન નરેશ પટેલના લોબિંગને પગલે રાજકોટ દક્ષિણ બેઠક પર ગોવિંદ પટેલને વિરામ આપી અને ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાને ટિકિટ અપાઈ છે. મહત્વનું છે કે નરેશ પટેલ દિલ્લી PM ને મળ્યા હતા અને અમદાવાદ અમિત શાહને પણ મળ્યા હતા. તો રાજકોટ ગ્રામ્ય બેઠકમાં પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાની બે ટર્મની કામગીરીની કદર કરી તેમને ટિકિટ અપાઈ છે.