કચ્છઃ પોતાના નોખા તરી આવતા સૌંદર્યને કારણે ભલે 'કચ્છડો બારે માસ...' કહેવાતો હોય...પરંતુ સાથે સાથે અહીં ઘાસપાણીની અછત પણ માલધારીઓના લમણે બારેમાસ લખાયેલી છે. એમાંય જ્યારે આ વર્ષે વરસાદે દગો દીધો છે ત્યારે કચ્છમાં પાણીની ભારે તંગી સર્જાઈ છે. માલધારીઓ માટે કચ્છનો એક આશાભર્યો ઘાસયુક્ત મેદાની વિસ્તાર બન્ની પણ આ વર્ષે સૂકોભટ મરુસ્થલ લાગવા લાગ્યો છે.
માલધારીઓએ માલઢોરને જીવતા રાખવા પકડી છે વાટ
કચ્છના માલધારીઓ માટે દર વર્ષે લમણે લખાયેલી જીવન માટેની કવાયતની તસવીર છે. કચ્છ જિલ્લામાં આ વર્ષે વરસાદ નહીવત્ થયો છે. ત્યારે અછતગ્રસ્ત વિસ્તારના લોકો હવે સ્થળાંતર કરવા માટે મજબૂર થયા છે. કચ્છના માલધારીઓ ઘર-વખરી અને પશુઓ સાથે સ્થળાંતર કરી રહ્યા છે. સાથે તેમના બાળકો અને નાના ગાડરડા પણ ઘાસ અને પાણીની શોધમાં જોડાઈ ગયા છે. માલધારીઓના નાના બાળકોનું જીવન પશુધન સાથે ઉછરતું હોય છે. આ બાળકોને બાળપણથી જ નાના અબોલજીવોના રક્ષણ માટેની જવાબદારીના પાઠ શીખવા મળતા હોય છે.
બાળકો અને ઊંટો અને ગદર્ભોને દોરી જતી આ માલધારી સ્ત્રીઓની વણઝાર
ભુજ તાલુકામાં આવેલ બન્ની વિસ્તાર પશુધન અને તેના ઘાસિયા મેદાનો માટે જાણીતો છે. આ વિસ્તારમાં લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. આ વર્ષે ભુજ તાલુકામાં 82મીમી વરસાદ પડ્યો છે. અહીં હવે ચોમાસુ વીતી જતાં વરસાદ ખેંચાતા દુષ્કાળ જેવી પરિસ્થતિનું નિર્માણ થયું છે. ભુજ તાલુકામાં ત્રણ લાખ વધુ પશુધન ધરાવતા વિસ્તારમાં ધાસ અને પાણીની સમસ્યા વિકટ બની છે. ત્યારે હવે કચ્છના માલધારીઓ માટે પોતાનું અને પોતાના માલઢોરનું ભરણપોષણ કરવાની મોટી સમસ્યા ઊભી થઈ છે.
આથી માલધારીઓએ પોતાના બાળ બચ્ચાઓ પત્નીઓ ઘરવખરી અને માલઢોર સાથે ઘાસ પાણીની શોધમાં કચ્છથી ગાંધીનગર ભણીની વાટ પકડી છે. કચ્છથી ગાંધીનગર તરફ માલધારીઓની ચાલી આવતી આ વણજારએ કચ્છમાં ઊભી થયેલી ઘાસપાણીની વિકટ સ્થિતિનો ચિતાર રજૂ કરી રહી છે. હાથમાં ડાંગ અને મોટી મોટી ફલાંગ સાથે જીવન તરફ પ્રયાણ કરતાં આ માલધારીઓ નાના ગાડરડાંઓને હાંકીને જતા માલધારીઓના બાળકો અને ઊંટો અને ગદર્ભોને દોરી જતી આ માલધારી સ્ત્રીઓની આ વણઝાર ઘાસપાણીની શોધમાં ઘણા દિવસો પહેલા ઘેરથી નીકળી ચૂકી છે. હવે તો જ્યાં ઘાસ અને પાણી મળે ત્યાં જ તે રોકાશે.
બન્ની અને પચ્છમ વિસ્તારમાં પીવા પાણી નથી
સતત અછત અને દુષ્કાળ પરિસ્થતિ સામનો કરી રહેલા સરહદી કચ્છ જિલ્લામાં ચાલુવર્ષે અછત પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પશુપાલન વ્યવસાય માટે જાણીતા બન્ની વિસ્તારના ગામોમાં પાણીના અભાવે માલધારીઓ અને પશુઓની હાલત કફોડી બની છે. ભૌગોલિક વિષમતા ધરાવતા કચ્છ જિલ્લામાં માનવી કરતા દુધાળા પશુઓની સંખ્યા વધારે છે. જીલ્લામાં ધાસ અને પાણી માટે વિકટ સમસ્યા સર્જાતાં માલધારીઓ પોતાના માલઢોર સાથે ગાંધીનગર અન બનાસકાંઠા ભણી હિજરત કરી રહ્યા છે. કેમ કે કચ્છના બન્ની અને પચ્છમ વિસ્તારમાં પીવા પાણી નથી અને ઘાસનું તણખલુંયે નથી. ત્યારે બન્નીના ખારીવાવ નાની ડઢર મોટી ડઢર લખાબો ગામ સહિત અંદાજે 10 જેટલા ગામો માલધારીઓએ ગાંધીનગર અને બનાસકાંઠા તરફ હિજરત શરૂ કરી દીધી છે.
સરકારી તંત્રના આશરે પડ્યા રહેવાના બદલે ગામથી કર્યું સ્થળાંતર
કચ્છીઓ પોતાની જન્મ ભૂમિ પ્રત્યે અપાર પ્રેમ ધરાવે છે. વિકટ સંજોગોમાં પોતાનું ગામ પોતાની શેરી અને પરીવારજનો છોડીને અનિશ્ચિત દિશા તરફ હિજરત માટે પગ ઉપાડતી વખતે કાળજું ભારે થઈ જાય છે. એક તરફ રાજ્યના મુખ્યમંત્રીએ કચ્છ માટે અછત જાહેર કરી પણ તેનો અમલ પહેલી ઓકટોબરથી થશે તેવું જણાવ્યું હતું. ત્યારે માલધારીઓ સરકારી તંત્રના આશરે પડ્યા રહેવાના બદલે ગામેગામથી ઉચાળા ભરી રહ્યા છે.
ઘાસચારો અને પાણીની અછત હોવાની ફરિયાદ
કચ્છ જિલ્લામાં આ વર્ષે વરસાદ નહીવત્ થયો છે. ત્યારે અછતગ્રસ્ત વિસ્તારના લોકો હવે સ્થળાંતર કરવા માટે મજબૂર થયા છે. કચ્છના માલધારીઓ ઘર વખરી અને પશુઓ સાથે સ્થળાંતર કરી રહ્યા છે. માલધારીઓ તેમના વિસ્તારમાં ઘાસચારો અને પાણીની અછત હોવાની ફરિયાદ કરી રહ્યા છે. આ પરિવારો અમદાવાદ અને ગાંધીનગર તરફ સ્થળાંતર કરી રહ્યા છે. મહત્વનું છે કે આ વર્ષે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદ થયો છે. જ્યારે કચ્છ જિલ્લામાં નહીવત્ વરસાદ થયો છે. જેના કારણે માલધારીઓ સ્થળાંતર કરી રહ્યા છે.