ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી કોંગો( ક્રિમીયન કોંગો હેમરેજિક ફીવર ) વાઇરસ ચર્ચામાં છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આ રોગથી એક મોત થયું છે તો રાજકોટમાં 12 જેટલા કોંગોના શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.
'કોંગો વાળું' ગામની ઓળખ
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ રોગચાળાને લઇને એક એડવાઈઝરી નોટ બહાર પાડવામાં આવી છે. કોંગો વાઇરસ અગાઉ પણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભયાનક રૂપ દેખાડી ચુક્યો છે એટલે સાવચેતી જરૂરી છે. બહુ ઓછા લોકો એ જાણતા હશે કે, સૌરાષ્ટ્રના એક ગામમાં કોંગોના રોગે હાહાકાર મચાવ્યા બાદ આ ગામ આજે 'કોંગો વાળું' ગામથી ઓળખાય છે.
અમરેલીના બાબરા તાલુકાનું 'કરિયાણા'
ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લાના બાબરાથી માત્ર 7 કિલોમીટરના અંતરે 'કરિયાણા' ગામ છે. પાંચેક હાજરની વસ્તીવાળા આ કરિયાનામાં જુલાઈ 2013 માં કોંગોના ભયાનક રોગે ભરડો લીધો હતો. પશુઓમાં ઇતરડીથી ફેલાતા આ રોગે આ ગામમાં 7 જેટલા લોકોનો ભોગ લીધો હતો.
ગામની શાળાઓ દેખાતી ખાલી ખમ્મ
આરોગ્ય વિભાગ કોંગેને નાથવામાં નિષ્ફળ જતા એક તબક્કે 70 ટકા ગામ ખાલી થઇ ગયું હતું. ગામ નાનું હોવાથી લોકો હળી મળીને રહેતા હતા પણ આ વાઇરસ બાદ ગામ લોકો એક બીજાને મળવાનું ટાળતા હતા. લોકો ગામ છોડીને દિવસો સુધી જતા રહ્યા હતા. સ્થાનિક શાળા ખાલી ખમ્મ રહી હતી.
ફરી તાજી થઇ જૂની યાદો
કોઈ અજાણ્યો ગામમાં આવતા બીવે તેવી હાલત હતી. આ ગામ આજે પણ કરિયાણા કોંગોથી ઓળખાવા લાગ્યું હતુ. કોઈને આ ગામમાં જવું હોય તો કોંગો વાળું એવું આજે પણ કહે છે , હાલ સૌરાષ્ટ્રમાં ફરી કોંગોએ દેખા દીધી છે ત્યારે આ ગામમાં ફરી ફફટાડ ફેલાયો છે અને જૂની ભયાનક યાદો ફરી તાજી થઇ છે.
કેવી રીતે ફેલાય છે કોંગો ફિવર
આ રોગ ખાસ કરીને પશુઓ દ્વારા ફેલાતો હોય છે. પશુઓની ચામડી પર ચોંટેલા `હિમોરલ' નામના પરજીવી એ રોગના મૂળ વાહક છે. જેથી આ રોગનો ખતરો એવા લોકોને વધારે છે, જે ગાય, ભેંસ, બકરી, શ્વાન વગેરેના સંપર્કમાં રહે છે. ખાસ કરીને માલધારીઓ, પશુપાલકોને આ રોગ થવાની શકયતા વધી છે.
આ ખતરનાક વાયરસ દર્દીને તાવ લાવે છે. આ સાથે માંસ પેશિયોમાં દર્દ, પીઠમાં દર્દ, માથામાં દુ:ખાવો થવા લાગે છે અને કેટલાક દર્દીઓને ચક્કર પણ આવે છે. આંખોમાં બળતરા થાય છે અને ગળુ બેસી જાય છે.