રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગમાં સૌરાષ્ટ્ર હતું એપી સેન્ટર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં નવાજૂનીના એંધાણ દેખાઇ રહ્યાં છે. કારણ કે, સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના કેટલાંક ધારાસભ્યો ભાજપના રડારમાં છે. કેટલાંક નેતાઓ સાથે બેઠક બાદ કમલમમાંથી ગમે ત્યારે આદેશ આવે તેવા સંકેત જોવા મળી રહ્યાં છે.
સૌરાષ્ટ્રમાં કેટલાંક ધારાસભ્યો ભાજપની ગુડબુકમાં
સૌરાષ્ટ્રમાં 2017માં કોંગ્રેસના સારા દેખાવ પછી કેટલાંક ધારાસભ્યો ભાજપની ગુડબુકમાં છે. તમને જણાવી દઇએ કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગમાં સૌરાષ્ટ્ર એપી સેન્ટર રહ્યું હતું. 7 ધારાસભ્યોના ક્રોસ વોટિંગના સસ્પેન્સ વચ્ચે સૌરાષ્ટ્ર તરફ ભાજપની નજર રહી છે. ત્યારે ઉત્તર ગુજરાત પછી હવે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની વિકેટ પાડવાનો ભાજપનો પ્લાન છે.
કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર મિલિંદ દેવરા અને ટી.એસ સિંગદેવ આવશે ગુજરાત
વધુમાં જણાવી દઇએ કે, મિશન 2022ને લઈને કોંગ્રેસની ગતિ તેજ થઈ છે. ત્યારે સિનિયર ઓબ્ઝર્વર મિલિંદ દેવરા અને ટી.એસ સિંગદેવ આજે ગુજરાત આવશે. આજ રોજ પ્રદેશ કોંગ્રેસ ખાતે બેઠકનો ધમધમાટ શરૂ થશે. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ 2022ની ચૂંટણી રણનીતિને આખરી ઓપ અપાશે. એ સિવાય લોકસભા બેઠક દીઠ નિમણૂંક સિનિયર નિરીક્ષકોને માર્ગદર્શન પણ આપશે.
કોંગ્રેસના 2 દિગ્ગજ નેતાઓના 17મી ઓગસ્ટે કેસરિયા
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત રાજકારણમાં અનેક મોટા ફેરફારના એંધાણ દેખાઇ રહ્યાં છે. ત્યારે કોંગ્રેસના સિનિયર નેતા નરેશ રાવલે ગઇકાલે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું હતું. ત્યારે નરેશ રાવલ અને રાજ્યસભાના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દલિત નેતા રાજુ પરમાર હવે કેસરિયો ધારણ કરશે. કોંગ્રેસના આ 2 દિગ્ગજ નેતાઓ આગામી તારીખ 17મી ઓગસ્ટે વિધિવત રીતે ભાજપમાં જોડાશે.
17 ઓગસ્ટના રોજ સવારના 11 વાગે આ બંને સિનિયર નેતાઓ ભાજપમાં જોડાશે. મહત્વનું છે કે, નરેશ રાવલે કોંગ્રેસમાંથી રાજીનામું આપવા અંગે નિવેદન આપતા જણાવ્યું કે, 'અમે બધા ઘણા વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા. અત્યારે મારે કારણમાં નથી પડવું. કોંગ્રેસમાં મને કડવા અનુભવ થયા છે. સાચી પરિસ્થિતિ સમજ્યા વગર કામ થાય છે. પ્રદેશ નેતાઓ અને હાઇકમાન્ડ દ્વારા કડવા અનુભવ થયા છે. PM નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હું અને રાજુ પરમાર ભાજપમાં જોડાશું. કોંગ્રેસમાં ટીમ વર્કનો મોટો અભાવ છે. કોંગ્રેસમાં એહમદ પટેલની કમી દેખાઈ છે.'