કોરોના વકરતાં ગીર સોમનાથના ઊના તાલુકામાં 6 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લગાવાયું, મંગળવારથી શનિવાર સુધી માત્ર દવા અને દૂધની દુકાનો જ ખુલ્લી રહેશે
ગીર સોમનાથની ઊનામાં 6 દિવસનું સ્વૈચ્છિક લૉકડાઉન
ઊના નગરપાલિકા અને ચેમ્બર ઓફ કોમર્સનો નિર્ણય
મંગળવારથી રવિવાર સુધી શહેરભરમાં લોકડાઉન
ગીર સોમનાથના ઊના તાલુકામાં કોરોના વકર્યો છે. કોરોના વકરતાં શહેરમાં 6 દિવસના સ્વૈચ્છિક લોકડાઉન લગાવાયું છે. શહેરમાં મંગળવારથી શનિવાર સુધી માત્ર દવા અને દૂધની દુકાનો જ ખુલ્લી રહેશે. બાકીની બજાર બંધ રહેશે. સંક્રમણ અટકાવવા માટે ઊના નગરપાલિકા અને ચેમ્બરઓફ કોમર્સે આ નિર્ણય લીધો છે.
ગીર સોમનાથની સાથે રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના વાયરસે માજા મુકી છે. પરંતુ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના વાયરસનો વ્યાપ વધી રહ્યો છે. જેને લઇ કેટલાક ગામડાઓ સ્વયંભૂ લોકડાઉન તરફ વળ્યાં છે. ત્યારે જેતપુરના વાડાસડા ગામમાં પણ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
આગામી 10 દિવસ ગ્રામપંચાયત દ્વારા સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન ગામની તમામ બજારો અને ધંધા રોજગાર બંધ રહેશે. એટલું જ નહીં બહારના કોઇ પણ વ્યક્તિને ગામમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. સાથે સાથે લોકોને ઘરમાં જ રહેવા માટે ગ્રામ પંચાયત દ્વારા અપીલ કરવામાં આવી છે. ગામના સરપંચનું કહેવું છે કે, હજી જરૂર પડશે તો વધુ લોકડાઉન લગાવીશું. મહત્વનું છે કે વાડાસડા ગામમાં 50થી વધુ કોરોનાના પોઝિટીવ કેસ નોંધાઇ ચૂક્યાં છે. જેને લઇ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટમાં વેપારી એસોસિએશન દ્વારા બંધનું એલાન
આજથી રાજકોટમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે. અલગ અલગ વેપારી એસોસિએશન દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે. સોની બજાર, પાન પાર્લર, ધર્મેન્દ્ર રોડ બે દિવસ બંધ રહેશે. ગુંદાવાડી અને પરા બજાર પણ બે દિવસ બંધ રહેશે. કોરોનાના કેસ વધતા વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. શનિ અને રવિવારે વેપારીઓ સ્વયંભૂ દુકાનો બંધ રાખશે.