ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં નવા-જૂનીના એંધાણ. કોંગ્રેસના 6 ધારાસભ્યો ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં કરી શકે છે કેસરિયા.
સૌરાષ્ટ્રના કોંગ્રેસના 6 MLA ગમે ત્યારે કરી શકે છે કેસરિયા
ઉત્તર ગુજરાત પછી સૌરાષ્ટ્રમાં ભાજપનું કેસરિયા ઓપરેશન!
કોંગ્રેસના કેટલાંક MLA કન્ફ્રર્મ ટિકિટ સાથે ભાજપમાં જોડાશે-સૂત્ર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસને પક્ષપલટાનો આંચકો લાગી શકે છે. સૌરાષ્ટ્રના કોંગ્રેસના 6 MLA ગમે ત્યારે કેસરિયા કરી શકે છે.
17 ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં નવાજૂનીના સંકેત
જણાવી દઇએ કે, તારીખ 17 ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં નવાજૂનીના રાજકીય સંકેત દેખાઇ રહ્યાં છે. કોંગ્રેસના કેટલાંક MLAs (ધારાસભ્યો) કન્ફર્મ ટિકિટ સાથે ભાજપમાં જોડાશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં મજબૂત બેઠકના MLAની વિકેટ ખેડવવા ભાજપની વ્યૂહનીતિ તૈયાર કરી દેવાઇ છે. ઉત્તર ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં ભાજપનું કેસરિયા ઓપરેશન ચાલી રહ્યું છે. ભાજપના મોટા નેતાઓની હાજરીમાં કોંગ્રેસના MLA ભાજપમાં જોડાઇ શકે છે.
નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમાર પણ કેસરીયો ધારણ કરશે
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly election) નજીક આવતાની સાથે જ પક્ષપલ્ટાની મૌસમ પણ જામી છે, ત્યારે તાજેતરમાં જ કોંગ્રેસ (Congress) સાથે છેડો ફાડી રાજીનામું આપનાર પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમાર પણ ભાજપનો (BJP) કેસરીયો ધારણ કરશે.
ભાજપમાં જોડાનારા બે દિગ્ગજોએ CM સાથે કરી હતી મુલાકાત
આ બંને નેતાઓએ 6 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી અને PM મોદીના નેતૃત્વમાં તેઓએ ભાજપમાં જોડાઇ કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મહત્વનું છે કે આ બંને નેતાઓ 17 ઓગસ્ટે CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વિધિવત રીતે ભાજપમાં જોડાશે.
બે દિગ્ગજોએ PM સાથે પણ કરી હતી મુલાકાત
એ સિવાય આ બંને નેતાઓએ દિલ્હીમાં PM મોદી સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાતના ફોટો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યાં છે. મહત્વનું છે કે નરેશ રાવલ પૂર્વ ગૃહમંત્રી અને વિપક્ષ નેતા રહી ચૂક્યા છે જ્યારે રાજુ પરમાર કોંગ્રેસમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા