ગાંધીનગર: રાજ્યમાં એક તરફ પાણીની તંગી છે ત્યારે સૌરાષ્ટ્રની જનતા માટે રાજ્યસરકારે ખુશીના સમાચાર આપ્યા છે. રૂપાણી સરકારે દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવવા માટે રાજ્યનો સૌ પ્રથમ ડી-સોલીનેશન પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આજરોજ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યપ્રધાનની હાજરીમાં MOU કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત દરરોજ 10 કરોડ લીટર દરિયાના પાણીને પીવાલાયક બનાવવામાં આવશે અને આ પાણીનો ઉપયોગ રાજકોટ જામનગર શહેર સહિત જિલ્લાના ગામો તથા મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવશે.
આ પ્લાન્ટનું કામકાજ આગામી 30 મહિનાના સમયગાળામાં પ્લાન્ટનું બાંધકામ પૂર્ણ થશે અને આ પ્લાન્ટ 2021-22થી કાર્યરત થશે. રાજ્યના પાયલોટ પ્રોજેક્ટ તરીકે સ્થપાનાર આ પ્રોજેક્ટ પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે રૂા. 700 કરોડના ખર્ચે સ્થપાશે.
આપને જણાવી દઇએ કે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ જ્યારે ભારતના મહેમાન બન્યા ત્યારે તેમણે ભારતને એક ખાસ જીપની ભેટ આપી હતી. આ જીપનું કામ દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાનું છે. ત્યારે ગુજરાતની રૂપાણી સરકારે પણ સૌરાષ્ટ્રની જનતા માટે પ્રાથમિક ધોરણે ડી-સોલીનેશન પ્લાન્ટ સ્થાપિત કરવાના MOU કરતા સૌરાષ્ટ્રની જનતામાં ખુશીની લહેર જોવા મળી હતી.